લાલજીભાઈ અને લીલાવતી બહેન બન્ને પતિપત્ની હતા. તે બન્નેનો એક છોકરો પણ હતો. તે બન્ને સમાજસેવક હતા. એક દિવસ લાલજીભાઈ ઘરે ઉદાસ મોઢે આવ્યા. લીલાવતી બહેને જમવાનું પીરસ્યું પણ તે ખાઈ નહોતા રહ્યા. તેને લાલજીભાઈને પૂછ્યું, “શુ થયું? કેમ ખાઈ નથી રહ્યા? દુઃખી કેમ લાગો છો?”
લાલજીભાઈએ કહ્યું, “આજે જ્યારે હું ઘરે આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે વૃદ્ધ મા-બાપને ઘરેથી બહાર કાઢવામાં આવ્યા. અને તે લોકો પાસે રહેવા માટે કંઈ હતું પણ નહીં. એ જોઈને મને બહુ દુઃખ થયું.” લીલાવતી બહેને કહ્યું, “તે તો બહુ ખરાબ થયું. એક કામ કરીએ તો? આપણે તો સમાજસેવક છીએ તો એક વૃદ્ધાશ્રમ ખોલીએ ત્યાં બધાં વૃદ્ધ લોકો આવશે જેને આપણી જરૂર હશે.” લાલજીભાઈએ જવાબમાં કહ્યું, “હા! તે સારો વિચાર છે. અને એમાં પણ એવું કહેવાયને કે આપણે સારું કરીએ તો આપણી સાથે પણ કંઈક સારું થાય. તેથી આ સારું કર્મ આપણે જલ્દી માં જલ્દી કરીએ. થોડા દિવસ રહીને લાલજીભાઈ અને લીલાવતી બહેને મળીને વૃદ્ધાશ્રમ ખોલ્યું. એક બહું સારું કામ કર્યું. સમય આવી રીતે જ વીતવા લાગ્યો. છોકરાઓ મોટા થયા. લાલજીભાઈ અને લીલાવતી બહેનને ઘડપણ આવવા લાગ્યું. અને તેમનાં દિકરાને જુવાની. લાલજીભાઈમાં હવે કામ કરવા જેટલી હિંમત નહોતી રહી. હજુ વધારે ઘડપણ આવે તે પહેલાં દિકરાને પરણાવાનું વિચાર્યું. દિકરાને પરણાવ્યો. વહુ ઘરે આવી. થોડા દિવસો વીત્યા.
હવે લીલાવતી બહેનથી પણ કંઈ કામ થતું નહોતું. તેથી હવે વહુને જ બધુ કામ કરવું પડતું. તો બીજી બાજુ હવે કમાવાની બધી જવાબદારી લાલજીભાઈના દિકરા પર આવી ગઈ હતી. હવે તેમનાં દિકરાને તેઓ બોજ લાગતાં હતા. એક રાતનાં લાલજીભાઈ જ્યારે દિકરા અને વહુ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેને સાંભળ્યું કે તેઓ વાત કરી રહ્યા હતા કે, “હવે કાલે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું. તેમના જ બનાવેલા વૃદ્ધાશ્રમમાં આપણે તેને મોકલશું. પછી આપણે આપણી જિંદગી વિના કોઈ બોજે જીવી શકીશું. કંઈ જવાબદારી નહિ રહે.” આટલું સાંભળીને તે ચાલ્યા ગયા અને આ વાત લીલાવતી બહેનને કહી. અને કહ્યું, “આપણે જ જે વૃદ્ધાશ્રમ બનાવ્યું હતું તેમાં આપણે જ રહેવા જશું. આ કુદરતની કેવી માયા છે? મેં ત્યારે કહ્યું હતું કે આપણા સારા કર્મો આપણને કામ જરૂર આવે. હા! આજે મને મારુ જ બનાવેલું વૃદ્ધાશ્રમ કામ આવ્યું. આપણે બીજાનો સહારો બનવા ગયા અને આપણે પોતે જ પોતાનો સહારો બની ગયા.” આ સાંભળી લીલાવતી બહેન તો પોતાના આસું રોકી ન શક્યા. બીજે દિવસે દિકરો અને વહુ પોતાના સાસુ-સસરાને વૃદ્ધાશ્રમમાં ભરતી કરાવા ગયા. આજે વૃદ્ધાશ્રમના માલિકને જ વૃદ્ધાશ્રમની જરૂર પડી એમ વિચારતા ત્યાંના બધા વૃદ્ધ તેઓને તાકી રહ્યા.
Related