ચાલો આજે જાણીયે કે વિશ્વવિજેતા સિકંદર ના ચાર ફરમાન શું હતા
ફરમાન (૧)
મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો
મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો
અર્થાત…
જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો
અબજોની દોલત આપતાં પણ એ સિકંદર ના બચ્યો
ફરમાન (૨)
મારું મરણ થાતાં બધા હથિયાર લશ્કર લાવજો
પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો
અર્થાત…
આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું
વિકરાળ દળ ભૂપાળને નહિ કાળથી છોડાવી શક્યું
ફરમાન (૩)
મારા બધાં વૈદો હકીમોને અહીં બોલાવજો
મારો જનાજો એ જ વૈદોને ખભે ઉપડાવજો
અર્થાત…
કહો દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે?
દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે?
ફરમાન (૪)
ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાં આવતાં
ને ખાલી હાથે સૌ જનો આ જગતથી ચાલ્યા જતાં
અર્થાત…
યૌવન ફના, જીવન ફના, જર ને જવાહર છે ફના
પરલોકમાં પરિણામ ફળશે પુણ્યનાં ને પાપનાં