પ્રખ્યાત ગઝલકાર શૂન્ય પાલનપુરી (1922-1987)
અલી ખાન ઉસ્માન ખાન બલોચ, જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે. શૂન્ય પાલનપુરી ગુજરાતી ભાષાના ગઝલકાર હતા. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો. ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર શૂન્ય મોસાળમાં ઉછર્યા. શૂન્ય પાલનપુર નવાબના સલાહકાર તરીકે પણ કામ કરતા હતા.

નવાબ સાથે પ્રવાસ કરતા હતા ત્યારે એક વખત ડિસાના ગેસ્ટહાઉસમાં નવાબે તેમને કહ્યું કે “હજુ સુધી પાલનપુરનું નામ રોશન કરે એવી કોઈ વ્યક્તિ નથી થઈ.” આ વિચારે તેમણે પોતાની ઉર્દૂ ગઝલો ‘અઝલ પાલનપુરી’ નામ લખવાની શરૂ કરી હતી ત્યારે તેમની ઉંમર ફક્ત ૧૬ વર્ષની હતી. ૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ‘રુસ્વા’ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ, જેમણે ‘શૂન્ય’ ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું. તેઓ રૂસ્વા મઝલુમીનાં અંગત મંત્રી તરીકે પણ રહ્યા. પાલનપુરની “અમીરબાઈ મિડલ સ્કૂલ”માં શિક્ષક રહ્યા હતા. 1962 માં દૈનિક પત્રકાર તરીકે મુંબઈ સમાચારમાં જોડાયા અને મૃત્યુ પર્યંત ત્યાં નોકરી કરી. લગભગ અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈય્યામ તેમની તત્ત્વચિંતન ભરી ફારસી રૂબાઈઓ માટે દુનિયાભરમાં જાણીતા છે. તેમની રૂબાઈઓનું ગુજરાતીકરણ કરવાનું એક મહત્ત્વનું કામ શૂન્ય પાલનપુરીએ કર્યું. શૂન્ય પાલનપુરીની કેટલીક જાણીતી રચનાઓઃ
👉 પરિચય છે મંદીરમાં દેવોને મારો, મસ્જિદમાં ખુદા ઓળખે છે.
👉 તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારે
👉 અમે તો કવિ કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી
👉 તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા.
તેમના સર્જનમાં ૬ ગઝલસંગ્રહો અને અનુવાદનો સમાવેશ થાય છે.
ગઝલસંગ્રહો 👇
શૂન્યનું સર્જન (૧૯૫૨)
શન્યનું વિસર્જન (૧૯૫૬)
શૂન્યના અવશેષ (૧૯૬૪)
શૂન્યનું સ્મારક (૧૯૭૭)
શૂન્યની સ્મૃતિ (૧૯૮૩)
શૂન્યનો વૈભવ (૧૯૯૨) (સંગ્રહ)
અનુવાદ 👇
ખૈયામ અથવા રુબૈયાત
નજાકતભર્યા કવિ હ્રદય ધરાવતા શૂન્ય પાલનપુરીનું અવસાન તા. 17 માર્ચ 1987 ના દિવસે થયું. ભાવવંદન
Article by – Mansi Desai


















































