ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી?
ગણેશપુરાણમાં આપેલી કથાનુસાર દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં. મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી રહેલા મૂષકને પકડવા માટે પોતાનો પાશ નાંખ્યો. પાશે મૂષકનો પીછો કરીને પાતાળ લોક સુધી ગયો અને તેને બાંધીને ગણપતિ સમક્ષ રજૂ કર્યો. ગણપતિને સામે જોઈને મૂષક તેમની સ્તુતિ કરવા લાગ્યો.
ગણેશજીએ કહ્યું કે તમે મહર્ષિ પરાશરને ખૂબ રંજાડ્યા છે, પરંતુ હવે તમે મારી શરણમાં છો જેથી તમને ઈચ્છો તે માંગી લો. ગણેશજીના આવા વચન સાંભળીને મૂષકને અભિમાન થયું. તેને કહ્યું કે મારે તમારી પાસેથી કાઈ નથી જોઈતું. જો તમારે મારી પાસેથી કશું માગવું હોય તો માંગી લો. ગણેશજી સ્મિત કરીને મૂષકને કહ્યું કે તમે મારું વાહન બની જાઓ. આ રીતે મૂષક ગણેશજીનું વાહન બનીને તેમની સેવામાં લાગી ગયા. આની પાછળ પણ એક કથા ગણેશ પુરાણમાં આપેલી છે. વિશાળકાય મુશક એ વાસ્તવમાં પાછલા જન્મમાં એક દુષ્ટ ગાંધર્વ હતો, જેનું નામ ક્રોંચ હતું. એક વાર ક્રોંચ ઉતાવળે ઇન્દ્ર સભામાં જતો હતો ત્યારે એનો પગ મહામુનિ વામદેવને અડ્યો.
મુનિએ ક્રોધે ભરાઈને તેને મુષક થવાનો શ્રાપ આપ્યો અને ક્રોંચ ઉંદર થઈ મૂનિ પરાશરના આશ્રમમાં પડ્યો. આશ્રમમાં તેનો ઉપદ્રવ વધી ગયો. એના રોજે રોજના ત્રાસથી ગણેશજીએ તેને બરાબરનો આમળ્યો. હવે તે પોતાનું અભિમાન ઓગાળી વિનમ્ર થયો. ત્યારે એ ઉંદરે સ્તૃતિ કરી અને આમ શ્રાપિત મૂષક ગાંધર્વ ક્રોંચ ગણપતિનું વાહન બન્યો
~ લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી અનેરી