લેખિકા માનસી દેસાઈ
મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ (૧ જાન્યુઆરી, ૧૮૯૨ – ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨) સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.
સફળ વ્યક્તિ માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ‘તેની સફળતા તેના સેક્રેટરીની કાર્યક્ષમતા જેટલી સફળ હોય છે’. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત કરીએ તો, બાપુના જીવનમાં તેમના મુખ્ય સચિવ અને અંગત મદદનીશ તરીકે મહાદેવભાઈ દેસાઈએ જે મહત્વની ભૂમિકા ભજવી છે તે અકલ્પનીય છે. પહેલી જાન્યુઆરી, 1892ના રોજ સુરતના સરસ ગામના ઓલપાડ વિસ્તારમાં જન્મેલા અને એક શિક્ષક પિતાના આ પુત્ર સુરતની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ આગળનો અભ્યાસ કરવા માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયા હતા અને બાદમાં તેમણે LLB કર્યું હતું, આ સાથે તેમણે ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરી. તેમણે જોહ્ન મોર્લેની બૂક ‘ઓન કોમ્પ્રોમાઈઝ’નું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું અને આ માટે તેમને ગુજરાત ફોર્બ્સ સોસાયટી તરફથી પહેલું ઈનામ પણ મળ્યુ હતું. એ સમયે તેમને જાણ નહોતી કે તેઓ એક દિવસ ગાંધી બાપુની આત્મકથા ‘ધ સ્ટોરી ઓફ માય એક્સપરિમેન્ટ વિથ ધ ટ્રૂથ’નું ગુજરાતીમાં અનુવાદ કરશે.

મહાદેવભાઈ દેસાઈ નરહરિ પરિખની સાથે બાપુના શરૂઆતી અનુયાયીઓમાંથી એક હતા.યતેઓ 1917માં આશ્રમ સાથે જોડાયા હતા અને બાપુની સાથે રહેવા માટે તેઓ રોજનું 22 કિમી જેટલું ચાલતા હતા. તેઓ એક મહાન વકીલ, પત્રકાર અને સાહિત્યકાર બની શક્યા હોત પરંતુ તેમણે બાપુની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો. મહાદેવ દેસાઈ 16 કલાક કાર્ય કરતા હતા. મહાત્મા ગાંધીજીના કામ સિવાય તેઓ નવજીવન માટે લેખન, ડાયરી લેખન તથા અન્ય કાર્યોનો સમાવેશ થાય છે. ગાંધીજીની સાથે બ્રિટીશરોએ તેમની પણ ધરપકડ કરી હતી કારણ કે એમના આગઝરતા લેખોથી નવજીવન, યંગ ઇન્ડિયા, હરીજન બંધુ, ફ્રી પ્રેસ, ધ બોમ્બે ક્રોનિકલ, હિન્દુસ્તાન ટાઇમ્સ, ધ હિન્દુ અને અમૃતબઝાર પત્રિકામાં લેખ લખી લોકચેતના જગાડી હતી. આ જ કારણે તેઓ ગાંધીજીના પ્રિય અને વિશ્વસનિય હતાં. ગાંધીજી સાથે તેમનીમપહેલી મુલાકાત 3 નવેમ્બર 1917 ગોધરામાં થઈ હતી. ત્યારબાદ તેમની વચ્ચે એવો સંબંધ બંધાયો કે તે છેક 1942 સુધી જળવાઈ રહ્યો. ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાલથી તેમણે ડાયરી લખવાનુ શરૂ કરી દીધુ હતું અને આ ક્રમ તેમના મૃત્યુના એક દિવસ સુધી એટલે કે 14 ઓગષ્ટ સુધી ચાલુ રહ્યો. મહાદેવ દેસાઈની ડાયરી 20 ખંડમાં પ્રકાશિત થઈ છે. જે મહાત્મા ગાંધીના ચરિત્ર અને દર્શનને સમજવા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. દેસાઈએ મીઠાનો સત્યાગ્રહ, બારડોલી વગેરે જેવા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ભાવવંદન

















































