દાનથી કરુણા,સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાનો વિકાસ થાય છે. ધર્મ વિમુખ મનુષ્યને ધર્મપંથ પર લાવવા તે પણ દાનનો જ એક પ્રકાર છે. ધર્મનું દાન ઉત્કૃષ્ટ દાન છે કારણકે ધર્મનો રસ જ સર્વ રસોમાં શ્રેષ્ઠ છે. દાનનો સંબંધ ચારિત્ર સાથે છે. અન્નદાન, વસ્ત્રદાન, જળદાન, ઔષધદાન, અભયદાન, શક્તિદાન, વિદ્યાદાન, ધર્મદાન, આનંદદાન, ગજદાન, અશ્વદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે અનેક પ્રકારના દાનનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. દાનની અપાર શક્તિ વડે ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. દાન અસંખ્ય પાપોનો છેદ કરે છે તો ક્યારેક દાન પ્રાયશ્ચિતનું પાવન કાર્ય પણ કરી દે છે. દાનને આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર ગણવામાં આવે છે. જે દાન દેવાથી કોઈનું કલ્યાણ થાય તે દાન ઉગી નીકળ્યું કહેવાય.
દાન ગ્રહણ કરનાર પાસે દાતા પોતે જઇને દાન આપે તે ઉત્તમ દાન છે. જે દાન કર્તવ્ય સમજી અને ઉદારભાવથી આપવામાં આવે, દેશ,કાળ, પાત્રનો વિચાર કરીને આપવામાં આવે, જેણે પોતાના પર કોઈ ઉપકાર નથી કર્યો તેવી વ્યક્તિને આપવામાં આવે તે દાનને સાત્વિક દાન કહે છે. એ દાન શ્રેષ્ઠ છે જેનાથી દેનારના મનમાં અહંકાર ન પ્રગટે અને ગ્રહણ કરનારના મનમાં લઘુતાભાવ ન પ્રગટે. શ્રદ્ધા અને ત્યાગની ભાવના દાનક્રિયામાં ભળેલી હોય તો તે દાન સંપૂર્ણ સફળ રહે છે. જેમ મળત્યાગ પછી આપણે તેની સામે જોતા પણ નથી એવો જ ભાવ દાન બાદ રાખવો જોઈએ. ઉદાર વ્યક્તિમાં જ દાતા થવાની ક્ષમતા રહેલી હોય છે. દાન હંમેશા મધુરવચન સાથે આપવું જોઈએ. રક્તદાન, ચક્ષુદાન, દેહદાન પણ આધુનિકયુગની દાનભાવના છે. મહાત્મા ભર્તુહરિ જણાવે છે કે લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન છે, જો પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળેલ હોય તો બહેન સમાન ગણાય, જો અન્ય દ્વારા ઉત્પન્ન કરેલ હોય તો પરસ્ત્રી સમાન છે. આ ત્રણે સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. પરસ્ત્રી સમાન લક્ષ્મી તો અયોગ્ય છે જ પરંતુ પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તોપણ લાંબો સમય તેમને પિયરમાં રાખી શકાતી નથી તેનું પણ દાન (કન્યાદાન) કરવું જ પડે છે.
વાસ્તવમાં સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે. ૧) ભોગ ૨) ચોરી અને ૩) દાન. એટલે કે લક્ષ્મીનો ઉપયોગ આ સિવાયના કોઈ રસ્તે શક્ય જ નથી. લક્ષ્મી ખૂબ ચંચળ છે તે કદી એક સ્થાને ટકતી નથી એ કાં તો ભોગવિલાસમાં વપરાય અથવા ખરાબ રસ્તે જાય એટલે કે રોગોમાં વપરાય કે સટ્ટામાં વપરાય અથવા ચોરી થઈ જાય અને એનો સદુપયોગ એટલે દાન. આમ લક્ષ્મીની આ મુખ્ય ત્રણ ગતિ છે આ સિવાયની ચોથી કોઈ ગતિ છે જ નહિ જેથી એ વિચારવું આવશ્યક છે કે આપણે તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવા માંગીએ છીએ. લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તેનું દાન દિવ્યતાના દર્શન કરાવે છે. નૌકામાં પાણી વધી જાય તો ડૂબવાનો ભય છે જેથી તેને બંને હાથો વડે બહાર ઉલેચવાનું કાર્ય અનિવાર્ય છે તેવું જ સંપત્તિ બાબતે પણ છે. પ્રાર્થના ઈશ્વર તરફ અડધે રસ્તે લઈ જાય છે, ઉપવાસ ઈશ્વરના મહેલના દ્વાર સુધી પહોંચાડે છે જ્યારે દાનથી મહેલમાં પ્રવેશ શક્ય બને છે. દાન માત્ર ત્યાગ નથી એ તો વાવણી છે, જે અક્ષય બને છે એટલે તો અક્ષય તૃતીયાના દિવસે દાનનું ખુબ મહત્વ છે. દાન તો આપણું કર્તવ્ય છે. દાન દેનાર જેટલો મહાન છે તેટલો જ લેનાર ઉપકારી છે જે દેનારના પરિગ્રહમાં ઘટાડો કરી પુણ્ય ઉપાર્જિત કરવામાં નિમિત્ત બને છે. એકલપેટા થઈને એકલું ખાવું તે વિકૃતિ છે, સાથે મળીને વહેંચીને ખાવું તે પ્રકૃતિ છે, પોતે ભૂખ્યા રહીને પોતાનું અન્ન બીજાને આપી ખવડાવવાનો આનંદ લેવો તે સંસ્કૃતિ છે.
શુદ્ધ સાધનો દ્વારા મેળવેલ લક્ષ્મી, ન્યાયસંપન્ન આજીવિકા કે વૈભવમાંથી પોતાની જરૂરિયાત પૂરતી લક્ષ્મીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી વધારાનું દાન સુપાત્રને આપવાથી લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. જીવન વ્યવહાર અને દાનમાં ત્યાગ અને કર્તવ્યભાવ અભિપ્રેત હોય તો તેનું સાફલ્ય છે. આપેલું જ માણસને પાછું મળે છે, રાખેલું નાશ પામે છે જેથી અનુકૂળ કે પ્રતિકૂળ તમામ પરિસ્થિતિમાં દાન કરતા રહેવું. હૃદયના ઉમળકા સાથે પ્રસન્નતાપૂર્વક આપેલું દાન જ કલ્યાણનું કારક બને છે. ઉપકારના આશયથી ધન આદિ વસ્તુ આપવી તે દાન છે. જેનાથી પરોપકાર થાય તેનું નામ દાન. જ્યારે ધનની થેલી દાનમાં ખાલી થાય ત્યારે હૃદય સભર બને છે. લક્ષ્મીના ચાર પુત્રો છે ધર્મ, રાજા, અગ્નિ અને ચોર. જ્યારે પ્રથમ પુત્રનું અપમાન થાય છે ત્યારે બાકીના ત્રણ ક્રોધાયમાન થાય છે એટલે કે જો અયોગ્ય રસ્તે લક્ષ્મી ઘરમાં આવે તો કાં તો રાજા એટલે સરકારનો વરઘોડો ઘરે આવે અથવા અગ્નિના પ્રકોપથી કે ચોરના ત્રાસથી તે લક્ષ્મીનો સાથ આપોઆપ છૂટી જાય છે. પરોપકાર કે દાન-પુણ્ય કરવું એ જ લક્ષ્મીના જયેષ્ઠ પુત્રનું માન રાખ્યું કહેવાય. તમે જાતે પરસેવો પાડી જે ધન મેળવ્યું હોય તેનું દાન દેનાર જ સાચો દાનેશ્વરી ગણાય, અન્યનું શોષણ કરી એકત્ર કરેલા ધનમાંથી આપેલા દાનનો કોઈ અર્થ નથી. જેમ સાધ્ય શુદ્ધ હોવું જોઈએ એમ સાધન પણ શુદ્ધ હોવું જોઈએ.
આધ્યાત્મિક કે વ્યવહારિક બંને ક્ષેત્રમાં પૂર્ણ ત્યાગ રંકને રાય બનાવી દે છે. આધ્યાત્મિક ક્ષેત્રે ત્યાગ આપણામાં પાત્રતા પ્રગટાવે છે જે આત્મોથાન કરવામાં સહાયક થાય છે. જ્યારે વ્યવહારિક ક્ષેત્રે દાન એક રંકને રાય બનાવાની ક્ષમતા ધરાવે છે. પૂર્ણ ત્યાગ સાધુની ભૂમિકા છે જ્યારે ઇચ્છાને સીમિત કરી જરૂરથી વધારાનો ત્યાગ કરવો તે વૈષ્ણવ-જનની ભૂમિકા છે. ધર્મ અને નીતિથી કમાયેલા ધનનો હંમેશાં સદુપયોગ જ થાય છે. જેથી દાન કરતા પહેલા ધન નીતિથી કમાવવાની દ્રઢતા કેળવવી.


















































