જીવન ઈશ્વરની એક અમૂલ્ય સોગાત છે તેને કેવી રીતે જીવવી અને કેવી રીતે જીતવી તેની જાણકારી માત્ર મારી નજરમાં સાચું જ્ઞાન છે. એ દૃષ્ટિએ જિંદગી માણવાની નહીં જાણવાની ચીજ છે અને સાચું પૂછો તો આપણે વાસ્તવમાં બધું જ જાણીએ છીએ પરંતુ ક્યારેક માણવાના ચક્કરમાં જાણવાનું ભૂલી જઈએ છીએ.
શ્રદ્ધા એક એવું અમોઘશસ્ત્ર છે અથવા કહો કે શાસ્ત્ર છે જેના દ્વારા જિંદગી ઉત્તમ રીતે એટલે કે ખૂબ સલામતી અને શાંતિ સાથે જીવી તો શકાય જ છે પણ જીતી પણ શકાય છે. ક્ષણે ક્ષણે શ્રદ્ધારૂપી સાધન દ્વારા જિંદગી જીતી શકાય છે. શ્રદ્ધા એટલે અખૂટ વિશ્વાસ (સંપૂર્ણ પોઝિટિવિટી) પછી એ શ્રધ્ધા ઈશ્ર્વર પર હોઈ શકે, “સ્વ” પર હોઈ શકે એટલે કે પોતાની જાત પર હોઈ શકે અથવા અન્ય પર એટલે કે સંબંધોમાં પણ હોઈ શકે. ટૂંકમાં શ્રદ્ધા ઇશ્વર પરની હોય, “સ્વ” પરની હોય કે સંબંધોની હોય તે જીવનમાં પારાવાર શાંતિ અને સલામતી પ્રદાન કરે છે. કળિયુગના મુખ્ય રોગો જેવા કે અશાંતિ, હતાશા, ચિંતા, નિરાશા, તણાવ, ક્રોધ વગેરે અશ્રદ્ધાના પરિણામો છે. આપણામાં એટલી બધી નેગેટિવિટી વધી ગઈ છે કે આપણને ના સંબંધોમાં, ના “સ્વ”માં કે ના ઈશ્વરમાં ભરોસો રહ્યો છે. મને તો એવું સમજાય છે કે ઈશ્વરના ભરોસાથી “સ્વ” અને “સંબંધો”માં ભરોસો પ્રાપ્ત થાય છે એટલે કે ઈશ્વર કદી તેના બાળકો સાથે ખરાબ કરી શકે જ નહીં એ શ્રદ્ધા વ્યક્તિના સંબંધોને મજબૂત બનાવે છે અને ગમે તેવી દુઃખદ કે પીડાદાયક પરિસ્થિતિમાં પણ કોઈ ફરિયાદ રહેતી નથી. કેમ કે એ સ્વીકારાઈ ગયું હોય છે કે આપણી સાથે જે થાય છે તે સારા માટે જ થાય છે, ઈશ્વર આપણું ખરાબ કદી કરી શકે જ નહીં, એ દ્વારા સંબંધો તો સુધરે જ છે પરંતુ સ્વ પરનો ભરોસો એટલે કે આત્મવિશ્વાસ પણ વધે છે.
જે આપણામાં અકલ્પનીય શક્તિ ભરી દે છે અને વ્યક્તિ જીવન જીતી જાય છે. કારણ કે જે હાર ન સ્વીકારે અને ખુમારીથી લડતો રહે તેની તો કદી હાર થઈ શકે જ નહીં. વાસ્તવમાં આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે હાર સ્વીકારી લઈએ છીએ. “સ્વ” અને “સંબંધો” પરની શ્રદ્ધા એક એવું ઉત્તમ અને અનુકૂળ વાતાવરણ સર્જે છે કે ઈશ્વર અને તેના સામ્રાજ્ય પર પણ પ્રેમ ઉદભવે છે. જે ઇશ્વર પરની વ્યક્તિની શ્રદ્ધામાં અનેકગણો વધારો કરી દે છે. આમ ઈશ્વર પરની શ્રદ્ધાથી સ્વ’ અને સંબંધોમાં શ્રદ્ધા વધે છે અને સ્વ અને સંબંધો પરની શ્રદ્ધાથી ઈશ્વર પરની શ્રદ્ધા વધે છે. આ રીતે શ્રદ્ધા પરસ્પર સંકળાયેલ છે એ દૃષ્ટિએ ઈશ્વર પર શ્રધ્ધા રાખનાર મૂર્ખ કે અજ્ઞાની નથી તે તો ખુબ સમજદાર અને વૈજ્ઞાનિક અભિગમવાળી વ્યક્તિ છે. જે જીવનના સનાતન સત્યને જાણે છે. ટૂંકમાં આધ્યાત્મિક કે ધાર્મિક અભિગમવાળી વ્યક્તિ ઈશ્વરની શ્રદ્ધાથી યાત્રા શરૂ કરી “સ્વ” અને “સંબંધ”ની શ્રદ્ધા સુધી પહોંચે છે જ્યારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી નાસ્તિક વ્યક્તિ સ્વ કે સંબંધોથી શરૂ કરી ઈશ્વર સુધી પહોંચે છે. આમ યાત્રા પૂર્વથી શરૂ કરો કે પશ્ચિમથી મંઝિલ તો એક જ છે અને એ વાસ્તવિક મંઝિલ એટલે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી અને સ્નેહ. જે તમામ માત્રને માત્ર શ્રદ્ધા દ્વારા જ શક્ય છે. દાખલા તરીકે તમે જમીનમાં એક બીજ રોપ્યું કેમકે તમને ફળની અપેક્ષા છે પરંતુ જ્યારે તે બીજ અશ્રદ્ધા સાથે રોપાય એટલે કે થોડા-થોડા દિવસે જમીન ખોદી- ખોદીને જોયા કરીએ કે બીજ ઉગ્યું કે નહિ તો પરિણામ મળવું મુશ્કેલ છે વળી સતત એવું વિચારવામાં આવે કે બધું પ્રતિકૂળ છે, બીજ પણ બરાબર નથી, સૂર્યપ્રકાશ બરાબર નથી, ખાતર-પાણી પણ અયોગ્ય છે કેમ કે દુનિયામાં કશું સારું છે જ નહીં, તો તમને શું લાગે છે આવા વિચારો અને અવિશ્વાસને કારણે વારંવાર જમીન ખોદીને બીજને ચેક કરતા રહેવાથી બીજ વૃક્ષ બની શકશે? અને જો વૃક્ષ જ નહીં બને તો તમે ફળ મેળવી શકશો ખરા? એને બદલે જો સંપૂર્ણ શ્રદ્ધા સાથે એ બીજ રોપીને સતત ઉત્તમ વિચારો અને વિશ્વાસ સાથે ઉત્તમ ફળ અને ફૂલ આપનાર વૃક્ષની કલ્પના કરશો તો તમને નથી લાગતું એ બીજ વૃક્ષ બનશે ત્યાં સુધીની તમારી યાત્રા કે જીવન અશાંતિ, ક્રોધ, અવિશ્વાસ, હતાશા, ચિંતા અને તણાવથી મુક્ત રહેશે કેમ કે વારંવાર જમીન ખોદીને જોવું વળી સતત નકારાત્મક વિચાર કરી હતાશા, નિરાશા, ચિંતા અને તણાવ વધારવું એના કરતા ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે યોગ્ય હકારાત્મક કાર્યો કરતા રહેવું આપણી પોતાની જાત માટે પણ વધુ સલામત અને શાંતિમય છે. બીજને શ્રદ્ધા સાથે સિંચવાથી તે વૃક્ષ અવશ્ય બનવાનું જ છે અને ફળ પ્રદાન કરવાનું જ છે કેમ કે એ જ તો પ્રકૃતિનો નિયમ છે. પરંતુ આપણને સફળતા કે શાંતિ જીવનમાં પ્રાપ્ત ન થતી હોય તો મારા મતે મુખ્ય કારણ શ્રદ્ધાનો અભાવ છે. તે પછી ઈશ્વર પર ન હોય. સ્વ પરની હોય કે સંબંધોની હોય, તમામ તકલીફ- દુઃખ સમસ્યા કે પીડાનું મૂળભૂત કારણ અશ્રદ્ધા છે. જે આપણી પાસે બિનજરૂરી જમીન ખોદાવવા જેવા કાર્ય કરાવે છે અને જીવનમાં અશાંતિ, અસલામતી, નિરાશા, હતાશા અને તણાવ પેદા કરે છે. એટલા માટે શાસ્ત્રો કહે છે જીવન જીવવાની તેમ જ જીતવાની એક જ કળા કે રામબાણ ઈલાજ એટલે શ્રદ્ધા.
શ્રદ્ધા જ્યારે સ્વ અને સંબંધોમા હોય ત્યારે તે વ્યક્તિને ખૂબ શક્તિશાળી અને સલામત બનાવી દે છે. તમે જ વિચારો સ્વ પરની શ્રદ્ધા એટલે આત્મવિશ્વાસ, જે વગરનુ જીવન જીવવું કે જીતવું શક્ય છે ખરું? એ જ રીતે કોઈ પણ સંબંધની શરૂઆત જો અશ્રદ્ધા સાથે થાય તો તે કદી સુખ શાંતિ અને સલામતી આપી શકે ખરું? માની લો વ્યક્તિ લગ્નગ્રંથિથી કોઈની સાથે જોડાય અને શરૂઆત જ અવિશ્વાસ, શંકા કે નેગેટિવિટીથી કરે તો લગ્નજીવનમાં સફળ થવું શક્ય છે ખરું? વળી દરેક સ્ત્રી એમ વિચારે કે પુરુષ કદી સારા હોતા જ નથી અને પુરૂષો એમ વિચારે કે સ્ત્રી નર્કનું દ્વાર છે તો તમને શું લાગે છે જીવન સાર્થક થાય ખરું? વાસ્તવમાં આપણો મૂળભૂત સ્વભાવ જ વિશ્વાસ છે એટલે કે આત્માનો સ્વભાવ જ શ્રદ્ધા છે. એટલા માટે આપણે અજાણ્યા-માં-અજાણ્યા વ્યક્તિના શબ્દો પર પ્રથમ વાર તો ભરોસો કરી જ લઇએ છીએ. આપણા દરેકનો અનુભવ છે કે આપણે બજારમાં વસ્તુ લેવા જઈએ તો સામેવાળા પર ભરોસો રાખીને જ વસ્તુ લઈએ છીએ. સાચું પૂછો તો સવારથી રાત સુધી આપણે જે કોઈ વ્યવહારો કરીએ છીએ શું તે ભરોસા સાથે નથી કરતા? જન્મથી મૃત્યુપર્યંત દરેક કામ શ્રદ્ધાથી જ કરીએ છીએ એટલે તો આટલી બધી નેગેટિવિટી વચ્ચે કળિયુગમાં પણ લગ્ન, બાળકો, સંબંધોથી કોઈ સુખી ન હોવા છતાં આપણે તે તમામ કાર્યો સંપૂર્ણ શ્રદ્ધા સાથે કર્યા જ કરીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ કે આપણે નિષ્ફળ નહીં જઈએ. સામાન્ય ખરીદીમાં પણ વિશ્વાસનું તત્ત્વ તો હાજર જ હોય છે, આપણો એ ભરોસો છે કે આપણું ચીટીંગ નહીં થાય. ફરસાણવાળાને ત્યાંથી ખાવાની વસ્તુ ખરીદતી વખતે પણ આપણને ભરોસો હોય છે કે તેમાં કોઇ ઝેરીપદાર્થ નહીં હોય એટલે તો સંપૂર્ણ વિશ્વાસ સાથે આપણે આરોગીયે છીએ. તમને નથી લાગતું આ બધા ઉદાહરણો એ જ દર્શાવે છે કે આપણે જીવનની પળેપળ શ્રદ્ધા સાથે જીવીએ છીએ. પરંતુ કોઇ કારણોસર શ્રદ્ધા કે વિશ્વાસને ઠેસ પહોંચતા આપણે શંકા કરવા મજબૂર થઈ જઈએ છીએ અને આ શંકા આપણા જીવનની સુખ-શાંતિ, સલામતી અને સ્નેહ છીનવી લે છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે “કોઈને છેતરવા કરતા છેતરાવું સારું” કેમ કે એમાં નુકસાન ઓછું છે.
વિચારો માત્ર બધા આ વિધાનની ગહનતાને સમજી છેતરવાને બદલે છેતરાવવાનું પસંદ કરે તો તમને નથી લાગતું કળિયુગમાં સતયુગ સર્જાતા વાર ન લાગે. વાસ્તવમાં આપણી અશ્રદ્ધા અને નેગેટિવિટીએ જ સતયુગને કળયુગ બનાવ્યો છે. જેને આપણે પાછો સતયુગમાં પરિવર્તિત કરી શકીએ. હા અહીં એક વાતની કાળજી રાખવી આવશ્યક છે કે વાત શ્રદ્ધાની ચાલે છે અંધશ્રદ્ધાની નહીં. અંધશ્રદ્ધા કદી યોગ્ય ન હોઈ શકે. શ્રદ્ધા જ્યારે ઊંડી સમજણપૂર્વકની હોય ત્યારે તે કદી અંધ ન બની શકે. અંધશ્રદ્ધા શબ્દ પરથી જ સમજાય છે કે કોઈ સમજણ વગરની અયોગ્ય શ્રદ્ધા એટલે જ અંધશ્રદ્ધા. જે જીવનને ખૂબ જ ઝડપથી નર્ક બનાવે છે. જેથી સ્વ પર, સંબંધ પર કે ઈશ્વરપર અંધશ્રદ્ધા કદી ન રાખવી. ઊંડી સમજણ સાથે અંધશ્રદ્ધાને દૂર કરી શ્રદ્ધાની સમજણનો દીવો પ્રગટાવવો કારણ કે અંધમાણસ માટે મંઝિલની પ્રાપ્તિ મુશ્કેલ જ નહીં લગભગ અશક્ય હોય છે.


















































