શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ. આ દિવસે સમસ્ત ગુજરાતના લોકો નાગદેવતાની પૂજા કરે છે અને તેમના આશિર્વાદ મેળવે છે. ઘણી વાર વ્યક્તિના જીવનમાં આવનારા ઉતાર ચઢાવોનું કારણ કાલસર્પદોષ પણ હોય છે. ઘણીવાર જાણે અજાણે વ્યક્તિ કે તેના કોઈ પૂર્વજો દ્વારા સાપ કે નાગની હત્યા થઈ હોય ત્યારે વ્યક્તિના જીવનમાં કાલસર્પદોષનું નિર્માણ થાય છે.
જ્યારે જાતકની કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર તથા શનિ સહિતના તમામ ગ્રહો આવી જાય ત્યારે તે ગ્રહસ્થિતિને કાલસર્પદોષ કહેવામાં આવે છે. ઘણી કુંડળીમાં જો રાહુ અને કેતુની બહાર શનિ કે કોઈ ક્રૂર ગ્રહની હાજરી હોય તો તેવી સ્થિતિને અર્ધકાલસર્પદોષ કહેવામાં આવે છે પરંતુ હું અર્ધકાલસર્પદોષમાં માનતો નથી. રાહુ એ સર્પનું મસ્તક અને કેતુ એ સર્પની પુચ્છ ગણાય છે, જો સર્પને વચ્ચેથી અલગ કરી દઈએ તો યુતિભંગ થઈ જાય છે. આથી અર્ધકાલસર્પદોષ જેવો કોઈ યોગ હોતો જ નથી. લાલ કિતાબમાં આ ગ્રહાવસ્થાને નાગદોષ તરીકે કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષ મુજબ કાલસર્પદોષની વિધિ કરવાથી તેનું કાયમી નિવારણ થઈ જાય છે પરંતુ વાસ્તવિકતામાં મહત્તમ જાતકોના જીવનમાં તેની કાયમી અસર જોવા મળી છે. આથી જાતકોએ દર નાગપાંચમે નાગદેવતાનું પૂજન અર્ચન કરવું જોઈએ.
કાલસર્પ દોષનાં લક્ષણો:
- સખત પરિશ્રમના પૂર્ણ ફળ પ્રાપ્ત થતા નથી.
- ધંધામાં વારંવાર નુકસાન.
- પ્રિયજનો દ્વારા દગો થવો.
- કારણ વગર કલંકિત થવું.
- કોઈ બાળક ન થવું અથવા થાય તો તેના વિકાસમાં કોઈ વૃદ્ધિ નહીં.
- લગ્ન ન થવા અથવા લગ્નજીવનમાં મતભેદ રહેવા.
- ખરાબ આરોગ્ય.
- વારંવાર ઇજા-અકસ્માતો થવા.
- પોતે કરેલા સારા કાર્યોનો યશ બીજાને મળવો.
- ભયાનક સપના અને સ્વપ્નામાં વારંવાર નાગ નાગણ દેખાવા.
- કાળી રડતી વિધવા સ્ત્રી દેખાવી.
- મૃત વ્યક્તિ સ્વપ્નમાં કંઈક માંગે, પાણીમાં ડૂબી જવાનું સ્વપ્ન આવે અથવા વારંવાર પોતાને અંગહીન દશામાં જોવું.
- વારંવાર ગર્ભપાત કે કસુવાવડ થવી અથવા નિસંતાનપણું.
કાલસર્પ દોષના ઉપાયો :
- એક લાકડાના કે આરસના બાજોઠ કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરો. તેના પર ઘઉંની નાની ઢગલી કરી તેના પર ચાંદી કે તાંબાનું નાગ નાગણનું જોડું સ્થાપિત કરો. ત્યારબાદ નાગદેવતા સમક્ષ ઘીનો દીવો અને અગરબત્તી કરો. નાગદેવતાને મીઠું દૂધ પ્રસાદ તરીકે ચઢાવો અને પોતાના કે પોતાના પૂર્વજો દ્વારા થયેલી ભૂલની માફી માંગવી. ત્યારબાદ ધરાવેલો પ્રસાદ ગ્રહણ કરવો અને સૌને વહેંચવો. ત્યારબાદ નાગ નાગણનું જોડું અને સમગ્ર પૂજનસામગ્રી નદીના પાણીમાં વહેતી કરી દેવી.
- દર અમાસે એક શ્રીફળ અને એક મુટ્ઠી બદામ માથેથી સાતવાર ઓવારી નદીમાં વહેતી કરી દેવી.
- પીપળાને પાણી ચડાવવું અને તેની સેવા કરવી.
- મહાદેવજીનું પૂજન કરવું અને દર શનિ-રવિવારે દૂધમાં કાળા તલ મિશ્ર કરીને તેમનો અભિષેક કરવો.
– આદિત શાહ


















































