અત્યાર સુધી….
પૂરા અઢાર દિસ પછી સ્વીકૃતિના આવેલા ફોન એ અંજામની તમામ નારાજગી, એનો ગુસ્સો, એની કટુતા બધું જ નિચોવી નાખ્યું હતું. અઢાર દિવસની દૂરીએ બંનેને તાના પ્રેમનો એકરાર કરવા મજબૂર કરી દીધા હતા અને હવે એ મજબૂરી તેમની નિકટતાનું કારણ હતી તેમ છતાં એ સાંજની અધૂરી વાતો અને આટલી મૌનભરી રાતોનું કારણ અંજામ માટે જાણવું જરૂરી હતું. હવે આગળ….
પ્રકરણ – 7
“તે છેલ્લી સાંજ મારા માટે ખૂબ જ કપરી રહી હતી. કદાચ તેનું કારણ તું હજી સુધી નહિ જાણી શક્યો હોય. અંહીથી નીકળ્યા પછી, હું ઘરે જવા સુધીની હાલતમાં ન હતી. અહી તારી સામે જે રુદન દબાવી રાખ્યું હતું, ઘરે પહોંચતાની સાથે ધડાકાભેર તૂટી પડયું. તે રાતની એક એક ક્ષણ આંસુની નદીમાં વહી હતી. અંધકાર હવે ફક્ત તે રાત પૂરતું જ સીમિત નહોતું રહ્યું, પરંતુ તે પછીનું મારું પૂરું જીવન અંધકારમય બની ચૂક્યું હતું, માત્ર તે જ રાત્રિ નહીં, તે પછીની લગભગ બધી જ રાત્રિ, મારા માટે કાળરાત્રિ સમાન બની રહી હતી. હું સાચે જ હારી ગઈ હતી. દિવસ રાત રૂમમાં જ પુરાઈ રહેતી અને માત્ર રડ્યા કરતી, ના કોઇને મળતી, બસ ખુદને તારી ગુનેગાર ઠેરવ્યા કરતી અને તે પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ મારા મનમાં નવા નવા પ્રશ્નો ઉદભવતાં ગયા. તે દિવસની સાંજે જે કઈ પણ થયું, તે દ્રશ્ય હવે મને ભૂતકાળમાં જવા પ્રેરી રહ્યું હતું, કે જ્યાંથી આપણી કહાનીની શરૂઆત થઈ હતી.”, સ્વીકૃતિ હજી પણ સજલ આંખે અને રડમસ અવાજે પોતાની લાગણી શબ્દોમાં રજૂ કરી રહી હતી અને હજી પણ એ રજૂઆત ચાલુ જ હતી.
“હાં, એ તારું લખાણ કે જે સેતુ બંધ હતો, તારા અને મારા સંબંધ વચ્ચેનો. કે પછી કારણ એક આકર્ષણનું, મારા મનમાં તારા પ્રત્યેનું. અને તે પછીની આપણી મુલાકાત, તથાગતમાં મારું જોડાણ, આપણો એકબીજાં સાથે વધારે ને વધારે સમય વિતાવવો, એ દરરોજની મુલાકાતોથી તારા તરફનું મારું આકર્ષણ ગાઢ બનતું ગયું. કારણ, હું તારા લખાણથી આકર્ષાઈ હતી, અને તે તારા સ્વભાવ માં વણાયેલું હતું. જે મને તારી તરફ ખેંચી રહ્યું હતું. અને પછી જો સાચું કહું કે જે હું અત્યારે સમજી શકી છું, તે છે, મારા કે પછી આપણા મનમાં પ્રેમના બીજ રોપનાર આપણા મિત્રો, હાં, જાણે અજાણે તેઓએ મારા આકર્ષણને એક નામ આપ્યું હતું, અને મેં પણ તેને સહર્ષ સ્વીકાર્યું હતું. તે સમયે તો હું મનોમન ધારી બેઠી હતી કે, (એક ઉંડો શ્વાસ અને મીઠા સ્મિત સાથે) હાં, હું તને પ્રેમ કરું છું પણ શું એ સાચું છે? (શાંત અને ધીર ગંભીર સ્વરે) જે પ્રશ્ન મને હવે થયો. સાચે એ પ્રેમ હતો? જો હા, અર્થાત્, આકર્ષણનું બીજું નામ પ્રેમ છે તો પણ મને પ્રશ્ન એ થાય છે કે, જો, આ સત્ય છે તો પ્રેમ નું પણ બીજું નામ આકર્ષણ થયું કહેવાય ને.”
“અને જો હાં, તો આ આકર્ષણ મને મારા વડીલો, કે ભાઈ બહેન પ્રત્યે કેમ નથી?”
“કેફેમાં તારી સાથે જે સમય વિતાવ્યો હતો, તેટલો સમય તે જ જગ્યાએ મારા ભાઈ સાથે શા માટે નથી વિતાવ્યો?”
“તારા વિચારોમાં હું રાત દિવસ ખોવાયેલી રહું છું, તો શું કારણ છે કે, આટલા વિચારો મેં ક્યારેય મારા માતા પિતા ના નથી કર્યા? પ્રેમ તો હું તેમને પણ કરું જ છું ને, અને આ તો કોઈ આજકાલનો પ્રેમ નથી, મારા જન્મથી જોડાયેલો છે. તો પછી આ આકર્ષણ મારા મનમાં મારા માતા પિતા પ્રત્યે કેમ નથી?”
“હજારો સવાલ હતાં મારા મનમાં, અને જવાબ એકપણ નહીં”, સ્વીકૃતિની વાતોથી એ સ્પષ્ટ જણાઇ આવતું હતું કે, હવે તેની પાસે જવાબ છે, પણ શું?
“જ્યારે કોઈ સવાલનો જવાબ ના મળે ને ત્યારે, પોતાની સાથે વાર્તાલાપ કરવો ખૂબ જ અગત્યનું બની જાય છે. હું ભૂતકાળમાં તો પહોંચી ગઈ હતી, હવે મારા માટે એ જરૂરી હતું કે વાતની ઊંડાણમાં જવું. અને તેથી જ મેં સ્વયં સાથે સંવાદ રચવાનું શરૂ કર્યું.”
અંજામ પ્રશ્નાર્થ ભરી નજરે, સસ્મિત ચહેરે અને અચંબિત મને બધું જ સંભાળી રહ્યો હતો.
“તારું લખાણ, મારું વાંચન, તેમાંથી ઉદ્ભવેલું આકર્ષણ, તે પછીની મૈત્રી, આપણી નિકટતા, એ બધીજ વાતો, એ બધી જ પળો ફરી મેં ઊંડાણપૂર્વક માણી અને આખરે હું એ નિષ્કર્ષ પર આવી કે, (એક ખૂબ ઊંડા શ્વાસ સાથે) અંજામ, આ તારા પ્રત્યેનું એક પ્રકારનું મારું આકર્ષણ તો હતું, કારણ મને તારો સાથ ગમતો હતો, મને તારો સહકાર ગમતો હતો. હું તારી સાથે જેટલો પણ સમય રહેતી આનંદિત અને પ્રફુલ્લિત રહેતી અને તેને હું પ્રેમ સમજી બેઠી હતી. તમે કોઈ વ્યક્તિ સાથે દરરોજ વાત કરતા હોવ, તમારો મોટા ભાગનો સમય પણ તમે તેની સાથે વિતાવતા હોવ, તો તેની કેટલીક આદતો હોય કે પછી અમુક સ્વભાવ જે તમને પસંદ હોય અને તે તે વ્યક્તિમાં જોવા મળે, તો શક્ય છે કે તમે તેનો સાથ પસંદ કરવા લાગો, તમને તેની કંપની ગમવા લાગે, પણ આ પસંદગી પ્રેમ ના કહેવાય. આ વાત સમજી ગઈ છું.”
“હા અંજામ હું સમજી ગઈ છું કે, દરેક પસંદગી પ્રેમ હોય તે જરૂરી નથી.”
*** *** ***
“ઓહ.. તો ખરેખર, તમારી કોફી શોપમાં શરૂ થયેલી આ કહાની કોફીશોપમાં સમાઈ ગઈ એમ ને..” સ્નેહાએ નિરાશા સાથે કહ્યું.
“મેં તને કહ્યું હતું ને મારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનું કિરદાર માત્ર અમુક સમય પૂરતો જ સીમિત હોય છે. હું તો પહેલેથી જ માનસિક રીતે તૈયાર હતો અને આ રીતનો ઘાવ મળવો એ મારા માટે કોઈ નવી વાત ન હતી. જૂનો ઘાવ જે મારા માટે જીવલેણ હતો તેની સમકક્ષમાં આ તો ફક્ત ઉઝરડો પડવા બરાબર હતું. દરેક વ્યક્તિ તમારા જીવનમાં અમુક કારણોસર જ આવે છે. કુદરત ફક્ત એને નિમિત્ત બનાવીને તમારી પાસે મોકલે છે. યા તો એના લેખ સાચા પડાવવા યા તો તમને કઈંક શીખવવા. પણ એ આપણી મૂર્ખાઈ હોય છે કે આપણે એને પ્રેમ સમજી લઈએ છીએ. સ્વીકૃતિ પહેલા મારી જિંદગીમાં જે વ્યક્તિ હતી એ મારા માટે નિમિત્ત હતી અને સ્વીકૃતિ માટે હું નિમિત્ત હતો. અને ભૂલ અમે બંનેએ કરી હતી, એ નિમિત્તને પ્રેમ સમજી લેવાની. મેં એના પહેલા અને એણે મારા પછી. અમારી આ કથિત રિલેશનશિપમાંમે ઘણી વાર મારી રીતે તેને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો પણ કદાચ એ વખતે તે એ અરીસો જોવા સક્ષમ ન હતી અથવા જોવા માંગતી ન હતી. જો આવા સમયે હું એને સચ્ચાઈ બતાવતો તો કદાચ એ ફરી એ જ તકલીફમાં મૂકાઈ જતી જેમાંથી બહાર નીકળવા માટે એણે મારા તરફ હાથ લંબાવ્યો હતો. બીજી તરફ રાજશ્રીના કટાક્ષોએ મને પણ ક્યાંક ને ક્યાંક એ વિચારવા મજબૂર કરી દીધેલો કે શુ હું ખરેખર જીવી રહ્યો છું કે કેમ. આથી મેં પણ ધીમે ધીમે પણ મારી જાતને એ તરફ વાળી પણ સાથે એ સાવધાની પણ રાખી કે કોઈ ઘટના કે પગલું ઘટિત ન થાય જેના લીધે તેના ભવિષ્ય પર ખરાબ અસર પડે. એકબીજાની નજીક આવ્યા પછી પણ દૂરી રાખી જાણવી એ જરૂરી છે. આજકાલની યુવાપેઢી માટે રિલેશનશિપ કરતાં સેક્સ બહું મહત્વનું પાસુ બની જાય છે અને એને જ તેઓ તેમના સંબંધનો આધાર ગણે છે, જે અમારા સંબંધમાં ના પ્રસરે એનું અમે બંનેએ ખૂબ ધ્યાન રાખ્યું હતું. આખરે એ સમય પણ આવી ગયો જ્યારે એણે સ્વયં એ અરીસો જોઈ લીધો. એ અમારી અંતિમ મુલાકાત રહી હતી અને બસ…. એ ઘડી અને આજનો દિન… તથાગત સિવાય ક્યાંય જતો નથી, તથાગત સિવાય કોઈને મળતો નથી.”
“સ્વીકૃતિના કોઈ સમાચાર… ???”, સ્નેહાએ સવાલ કર્યો.
“સમાચાર તો નથી પણ એક દીકરો છે એને, જેનું નામ એણે તથાગત પાડ્યું છે.”
“પણ તમે તો એમના સંપર્કમાં હતા જ નહી તો તમને કઈ રીતે ખબર…???”
અંજામે એક બેલ વગાડી અને અંદર તથાગતની આખી ટીમ આવી પહોંચી અને અંજામને ઘેરી લીધો.
“બસ, આ જ મારો પરિવાર છે ને એ લોકો જાણકારી ક્યારેક આપી દે છે.”
“આવું ના ચાલે હો… આ બધા પરિવાર અને હું…???. હું પણ ઈન્ટર્ન છું અહીંની…” સ્નેહાએ બચ્ચાવેડા ચાલુ કર્યા.
“તું ઈન્ટર્ન નહી…તુ તો અમારું લિન્ટર્ન છે, ચાલ આવી જા આવી જા….”
…. અને ખડખડાટ હસતી સ્નેહા પણ તથાગતના પરિવારમાં સામેલ થઈ ગઈ.
**** *** ****
લેખકની કલમે…..
આ વાર્તા અર્ધસત્યઘટના આધારિત છે એમ કહી શકાય કારણ કે આ ઘટનાના અમુક અંશો મારી અને મારા ખાસ મિત્ર શુભમના અંગત જીવન સાથે જોડાયેલા છે.
સ્નેહા મારા માટે એક એવું કાલ્પનિક પાત્ર બની રહી જેણે વાંચન દરમ્યાન વાસ્તવિકતા ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો.
જાન્વી, નૈનેષ, ચિરાગ, નેહા, ખાન – આ તમામ મારા રોજના લોહી પીનારા મિત્રો છે જેઓ ક્યાંય મને અટકવા નથી દેતા.
સ્વીકૃતિ…. એક એવું વાસ્તવિક પાત્ર, જે વાર્તા અને જીવન બંનેમાં કાલ્પનિક સ્વરૂપે શામેલ છે. એક ઘણી સારી મિત્ર, સુરતી મિત્ર (ખાસ કહેવા માંગીશ) જે આજે પણ ક્યાંક ને ક્યાંક અંજામના પાત્ર સાથે ગહન રીતે જોડાયેલ છે
અને અંતે રાજશ્રી, જેનો હું આ કોલમનું સંપાદન કરવા બદલ દિલથી આભાર માનું છું. મારા વ્યસ્ત શિડ્યૂલને કમ્ફર્ટેબલ બનાવવા બદલ કોટિ કોટિ વંદન…
થેંક્સ અ લોટ ટુ ટીમ આઈગુજ્જુ આને વિઝન સર… સહયોગ બદલ અને સમયસર પબ્લિશ કરતા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર….
વાચકોને તેમના અવિરત પ્રેમ અને પ્રતિભાવ આપવા બદલ આભાર.


















































