કદાચ શીર્ષક જોતા એવું થાય કે વાસ્તવમાં આનંદ આસક્તિમાં રહેલો છે વળી કદાચ મનમાં વિચાર પણ આવે કે લેખિકા શિલ્પા શાહ સર્વ શાસ્ત્રોના વિધાનથી તદ્દન વિરુદ્ધનું લખાણ કેમ લખી રહ્યા હશે અથવા શાસ્ત્રો વિરુદ્ધનું તત્વજ્ઞાન કેમ સમજાવી રહ્યા છે. પરંતુ ખરેખર એવું નથી લખાણની દિશા એ જ છે જે શાસ્ત્રોએ વર્ણવી છે પરંતુ આપણા બધાનો જીવનપર્યંત એ અનુભવ રહ્યો છે કે આનંદ આપણને જુદી જુદી આસક્તિ દ્વારા જ મળે છે એટલે આ અંગે લખવાની ઇચ્છા થઈ.
આસક્તિ એટલે કહેવાતા સાંસારિક સ્નેહ સાથેનું ખેંચાણ. આપણને શરીર, સ્ત્રી, પુત્ર. સંપત્તિ, ઘર, સ્થાન, દેશ કર્મ-કાર્યો ઉપરાંત સંસારની અનેક ચીજવસ્તુઓનું ખેંચાણ છે, મોહ છે અને આવી સાંસારિક બાબતો પરની આસક્તિ જ જીવનપર્યંત આનંદ આપે છે અથવા કહો કે આનંદનો ભાસ કરાવે છે. ભલે દુન્યવી સંબંધો કે ચીજવસ્તુમાંથી મળતો આનંદ ક્ષણિક અને નાશવંત હોય પરંતુ તે અનુભવાય છે અને એટલે જ તેના તરફનું આકર્ષણ રહે છે. આનંદ આત્માનું મૂળભૂત સ્વરૂપ છે જેથી તેના તરફ ખેંચાણ સ્વાભાવિક છે. પરંતુ અજ્ઞાનવશ આપણને એ સમજાતું નથી કે જે ક્ષણિક આનંદ અનુભવાય છે તે કાયમી નથી અને એ દૃષ્ટિએ એ વાસ્તવિક નથી. આપણે અજ્ઞાનવશ ક્ષણિક આનંદને કાયમી અને સાચો સમજી બેસીએ છીએ જેથી આવા ક્ષણિક આનંદના વિયોગથી આપણે પારાવાર દુઃખ અનુભવીએ છીએ. પાણી વગર જેમ માછલી તરફડે તેમ આવા ક્ષણીક આસક્તિસભર આનંદનો વિયોગ થતા આપણે ઝટપટાહટ અનુભવીયે છીએ, તડપીએ છીએ કેમ કે વાસ્તવમાં આત્માને તેનું વાસ્તવિક સ્વરૂપ (આનંદસ્વરૂપ) પાછું મેળવવું છે જેના માટે જીવનપર્યંત તે પ્રયત્નશીલ રહે છે અને તેની પ્રાપ્તિનો ભાસ થતાં તે વધુ સક્રિય બને છે. પરંતુ આવો આનંદ આસક્તિસભર છે, તેનું વાસ્તવિક સ્વરૂપ જ ક્ષણિક અને નાશવંત છે, જે અંગેનું યથાર્થ જ્ઞાન આપણને ન હોવાને કારણે આપણે તેને કાયમી સમજી પ્રાપ્તિનો અવિરત પ્રયત્ન જીવનપર્યંત કરતા રહીએ છીએ. આવો પ્રયત્ન વાસ્તવમાં આપણે યુગોથી અનેક જન્મોથી કરતા આવ્યા છીએ. આવા સાધનજન્ય આનંદને મેળવવા કઠિન પરિશ્રમ કરીએ છીએ, વિહવળ બનીએ છીએ, અધીરા બન્યા છીએ કેમ કે આપણને થાય છે કે આપણી યુગોની અનેક જન્મોની દોડનો પ્રયત્નોનો આ અંત છે. જેથી તેની પ્રાપ્તિ (આસક્તિસભર આનંદની પ્રાપ્તિ) દ્વારા અતિશય આનંદ અનુભવીએ છીએ પરંતુ આ આનંદ ક્ષણિક અને નાશવંત હોવાથી તેનો વિયોગ ઝડપથી થાય છે. જેના કારણે આપણા મનમાં ક્રોધ, હતાશા, નિરાશા, ભય વગેરે પેદા થાય છે કારણ કે ક્યારેક ઇચ્છિત મંઝિલ કે સફળતા મળી ગઈ એવું લાગે અને તરત જ ખબર પડે કે ના આ તો ભ્રમ છે તો દુઃખ થવું તો સ્વાભાવિક જ છે. વળી ઇચ્છિત આનંદ શું ક્યારેય નહીં મળી શકે એવી લાગણી ઉદભવતા થોડી હતાશા, નિરાશા અને ભય ઉદભવે તે પણ વ્યાજબી જ છે.
શાસ્ત્રો કહે છે આસક્તિ જ મૃત્યુ છે. સાચું જ છે જે આનંદપ્રાપ્તિની આપણને ઝંખના છે (એ જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે) એની પ્રાપ્તિ માટે આપણે જીવન-મરણના અનેક ફેરા (શાસ્ત્રો અનુસાર ૮૪ લાખ ફેરા) ફરીએ છીએ, જેના માટે જ વારંવાર મૃત્યુની પીડા સહન કરવી પડે છે. તો આસક્તિ મૃત્યુ કહેવાય કે નહીં? વાસ્તવમાં આસક્તિ અયોગ્ય નથી તેની દિશા ખોટી છે એટલે કે આનંદની પ્રાપ્તિ માટે વલખા મારવા કોઈ રીતે અયોગ્ય નથી કેમકે દરેક જીવને પોતાનું ઓરીજનલ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો હક છે. જે આનંદ સ્વરૂપ છે અને એ મેળવવા માટે જ તો આપણે યુગોથી સક્રિય છીએ, ક્રિયાશીલ છીએ, પ્રયત્નશીલ છીએ. પરંતુ ઇન્દ્રિયોની મર્યાદાને કારણે આપણે સંસાર અને આત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકાતા નથી અને ભ્રમિત થઇ અયોગ્યને યોગ્ય સમજી બેસીએ છીએ. તેને મેળવવાની માથાકૂટમાં પડી જઈએ છીએ. થોડી મહેનત અને પ્રયત્નો પછી સમજાય છે કે ખોટી દિશાનો પ્રયત્ન કર્યો છે. જેથી સ્વાભાવિક હતાશ અને નિરાશ થવાય છે. પરંતુ ફરી પાછા ધ્યેયપ્રાપ્તિના કાર્યોમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ અને આ રીતે અથડાતા કૂટાતા પ્રયત્નો કર્યા જ કરીએ છીએ. મંઝિલ પ્રાપ્તિનું જ્ઞાન ન હોય, રસ્તાની સૂઝ ન હોય, કોઇ નકશાની હયાતી ન હોય, અન્ય કોઈ જરૂરી સાધનો કે મદદ ન હોય ત્યારે આ રીતે રઝળપાટ તો સ્વાભાવિક જ છે. પરંતુ નસીબના જોરે જો કોઇ મદદ મળી જાય, માર્ગદર્શન મળી જાય, સહાય મળી જાય, મંઝિલે પહોંચવા કોઇ સાધન મળી જાય તો આત્મા મૂળભૂત વાસ્તવિક ઠેકાણે (સ્વધામેં કે પરમલોકે) અવશ્ય પહોંચી જાય. જેના માટે આવશ્યક છે આસક્તિની દિશા બદલાવી કેમકે આસક્તિ અયોગ્ય નથી તેની દિશા અયોગ્ય છે. આસક્તિ તો બળ છે જેના કારણે જીવ જન્મોથી યુગોથી પ્રયત્નશીલ છે. માત્ર તેની દિશા અયોગ્ય હોવાથી મંઝિલ પ્રાપ્ત થઈ શકતી નથી. આસક્તિરૂપી મૂળભૂત બળ કે શક્તિનો ઉપયોગ જો સાંસારિક ચીજવસ્તુઓ જેવી કે શરીર, સંબંધો, ધન, પદ, પ્રતિષ્ઠાને બદલે પરમાત્માપ્રાપ્તિ માટે થાય તો ભટકવામાંથી મુક્તિ મળી શકે. જેને તેની ઇચ્છા છે, શોધ છે તે સહજતાથી પ્રાપ્ત થાય. અમદાવાદથી મુંબઇ જવું હોય અને પ્રયત્નો બધા ભુજના રસ્તે કરીએ તો સફળતા ક્યાંથી મળે.
ટૂંકમાં આસક્તિના ત્યાગની જરૂર નથી કેમકે તે તો આંતરિક બળ છે જે વ્યક્તિને ક્રિયાશીલ રાખે છે. માત્ર આસક્તિની દિશા બદલવાની જરૂર છે. સંસારની મોહ-માયાને બદલે પરમાત્માની મોહમાયા આવશ્યક છે. આમ પણ માનવ મનની એક વિશિષ્ટતા છે કે ખોટા તરફ કે માયા તરફ વધુ આકર્ષિત રહે છે, આનંદપ્રાપ્તિની ઈચ્છામાં ભ્રમિત વધુ રહે છે. દુર્ગુણો મનમાંથી જલ્દી કાઢવા શક્ય નથી પરંતુ તેના બદલે તેના વિરોધીગુણ પર સતત વિચાર કરી દિશા પરિવર્તન કરવું સરળ છે. વ્યક્તિને સંસારની આસક્તિમાં આનંદ દેખાય છે, ક્ષણીક આનંદ અનુભવાય છે જેથી તે તેના તરફ આકર્ષિત રહે છે. વિષયભોગના પદાર્થોમાં સતત દોષ જોવાની વૃત્તિથી મન તેનાથી સહજ રીતે અલગ પડે છે અને બ્રહ્મમાં એકાગ્ર થઈ જાય છે. મનમાંથી કામ, ક્રોધ, લોભ, તિરસ્કાર, અભિમાનના વિચારોને કાઢવા સહેલા નથી કેમ કે જેમ-જેમ તે અંગે સઘન પ્રયાસો કરવામાં આવે તેમ તેમ તેનો હુમલો વધુ તીવ્ર અને બળવાન બનતો હોય છે. જેથી આપણું મનોબળ, શક્તિ ઓછી પડવા લાગે છે. પરંતુ કોઈ વિચારને મનમાંથી કાઢવાને બદલે જો તેની દિશા બદલવામાં આવે તો સરળતા રહે જેમ કે કામના વિચારોને હાંકી કાઢવા સહેલા નથી પરંતુ બ્રહ્મચર્યના ફાયદા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો કામથી મુક્તિ અવશ્ય સરળ બને, એવી જ રીતે તિરસ્કાર અને ક્રોધને બદલે પ્રેમ, ક્ષમા, દયા, મૈત્રી, શાંતિ, ધૈર્ય પર મનને એકાગ્ર કરવામાં આવે તો પરિણામ સરળ તેમ જ ઝડપી બને. અભિમાનને દુર કરવા નમ્રતા અને વિનયનો અભ્યાસ વધારવો જોઈએ. લોભવૃદ્ધિ અતિશય હેરાન કરતી હોય તો દાન, ત્યાગ અને સંતોષના સદગુણોનો સતત વિચાર કરવો જોઈએ. મનુષ્ય જીવનનું ધ્યેય જ દિવ્યતાની પ્રાપ્તિ છે. જેના માટે આસક્તિ ઉપકારક થઈ શકે પરંતુ આસક્તિ સાચી દિશાની હોવી જોઈએ. એટલે કે આસક્તિ સંસાર પ્રત્યે નહીં પરમાત્મા પ્રત્યે હોવી જોઈએ.
ઉમદા ભવ્ય વિચારોના સેવનથી (એટલે કે ઉમદા ભવ્ય વિચારોની આસક્તિથી) દુર્ગુણો કે અયોગ્યની આસક્તિ સરળતાથી અને ઝડપથી છૂટી જાય છે. વળી ક્ષણિક આનંદને બદલે સ્વયંસિદ્ધ આનંદની પ્રાપ્તિ અવિરતપણે શક્ય બને છે. આનંદ બે પ્રકારના છે ૧) સાધનજન્ય આનંદ અને ૨) સ્વયંસિદ્ધ આનંદ. બંને માટે આસક્તિ અનિવાર્ય છે. આસક્તિ વગર ઈચ્છા ન જન્મે, ઈચ્છા વગર ગતિ કે કાર્ય સંભવ ન બને અને ગતિ કે કર્મ વગર આનંદપ્રાપ્તિ અશક્ય છે. આમ આસક્તિ આનંદ માટે અનિવાર્ય છે પરંતુ આનંદના બે પ્રકારમાંથી આપણે કયો આનંદ જોઈએ છે તે આપણે નક્કી કરવાનું છે. ઈશ્વરે પણ તે અંગેની સ્વતંત્રતા દરેકને પહેલેથી જ આપી છે. જો સાધનજન્ય આનંદ એટલે કે સાંસારીક આનંદ જોઈતો હોય તો સંસારના વિષયો અને પદાર્થો પ્રતિ આસક્તિ રાખી ક્ષણિક અને નાશવંત આનંદ મેળવતા રહેવું. પરંતુ જો સ્વયંસિદ્ધ આનંદ પ્રાપ્ત કરવો હોય તો આત્મા અને પરમાત્મા પ્રતિ આસક્તિ કેળવવી પડે જેથી કાયમી અવિરત આનંદ મળતો રહે. પરંતુ બંને આસક્તિ એક સાથે શક્ય નથી કેમ કે પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં એક સાથે ન જઈ શકાય. પૂર્વમાં જવું હોય અને પશ્ચિમની આસક્તિ રાખીએ તો બાવાના બેય બગડયા જેવો હાલ થાય. સંસારની આસક્તિ છોડવા ઇચ્છતી વ્યક્તિએ પરમાત્મા પ્રત્યે આસક્તિ વધારવી પડે કેમ કે તે જ સંસારની આસક્તિ છોડવાનો સરળ રસ્તો છે. કોઈપણ વસ્તુનો સદંતર ત્યાગ કે સન્યાસ થોડી અઘરી બાબત છે પરંતુ પ્રાપ્તિનો માત્ર હેતુ બદલવો ખૂબ સરળ છે. ટૂંકમાં આસક્તિ સંપૂર્ણ હાનિકારક નથી, તેની અયોગ્ય દિશા હાનિકારક છે.

પરમાત્માની પ્રકૃતિનું કોઈપણ તત્વ સંપૂર્ણ હાનિકારક છે જ નહીં, એ દ્રષ્ટિએ આસક્તિ પણ હાનિકારક નથી બાકી ઈશ્વર તેનું સર્જન કરે જ નહિ, એટલું જો સમજી લઈએ તો આપોઆપ ઉત્તમની પ્રાપ્તિ સહજ બને. માત્ર યથાર્થ દિશાની સાવચેતી રાખવી સમજદાર પ્રાણી તરીકે આપણી ગર્ભિત જવાબદારી બને છે. આત્મા સંસ્કૃત શબ્દ છે જે “અત” ધાતુ પરથી આવ્યો છે જેનો અર્થ છે સતત. (અત=સતત) કે જે પોતાનું સાચું તાત્ત્વિક સ્વરૂપ (જે સચિદાનંદ રૂપ છે) પ્રાપ્ત કરવા માટે સતત વિવિધ નામરૂપો દ્વારા સંસારમાં ભ્રમણ કરે છે અને તેને તેનું સાચું સ્વરૂપ માત્ર પરમાત્માની પ્રાપ્તિ થવાથી કે પરમાત્મામાં વિલીન થવાથી જ મળી શકે છે. જેના માટે પરમાત્મા ઉપર આસક્તિ થવી જરૂરી છે. પરંતુ કમનસીબી એ છે કે આપણને પરમાત્માના પ્રતિબિંબરૂપ અનેક છાયાઓ જેવી કે સંસારના સંબંધો, પ્રકૃતિના તત્વો અને સૃષ્ટિના પદાર્થો પરત્વે આસક્તિ જન્મે છે, જે પરમાત્મારૂપ જ છે પરંતુ પ્રતિબિંબ છે, આભાસ છે, વાસ્તવિકતા નથી અને આભાસ કે પ્રતિબિંબને કદી પામી ન શકાય. પરંતુ આપણે પ્રતિબિંબને સાચું સમજી પ્રાપ્તિના સતત પ્રયત્નો કરીએ છીએ જેમાં વાંક આપણો પણ નથી કેમકે આપણે જેને શોધતા હોઈએ જો તે દૂરથી અરીસામાં દેખાય તો આપણે તેને વાસ્તવિક સમજી તે તરફ દોડીએ એ તો સ્વાભાવિક જ છે. પરંતુ તે આભાસ હોવાથી આપણે તેને મેળવવામાં નિષ્ફળ રહીએ છીએ કેમ કે આભાસ એ મૃગજળ સમાન છે જેની પ્રાપ્તિ શક્ય નથી. જો આસક્તિની આપણી દિશા બદલાય તો અવિરત આનંદ કાયમી શક્ય અવશ્ય બને એવું મારૂ દ્રઢ પણે માનવું છે.


















































