બારે બુદ્ધિ, સોળે સાન અને વિસે વાન,
આવ્યું તો આવ્યું નહીં તો પછી થાઓ હેરાન.
અમુક વાતને અણસમજ કહેવાય, ઘેલછા કહેવાય કે પછી મનની મરજી એ તો જે તે વ્યક્તિ જ કહી શકે, અમુક ઉંમરે પહોંચ્યા પછી આપણા માં સાચા ખોટાના ભેદભાવને પારખવાની બુદ્ધિ આવી જાય છે, એક સ્ત્રી કે પુરુષ માટે પરણ્યા પછી પતિ/પત્ની, પરિવાર અને બાળકોથી વિશેષ મહત્વનું કંઈ જ નથી હોતું, સ્ત્રી ને આજનો સમાજ સન્માનથી બોલાવવાની વાત કરે છે, પણ કેવી સ્ત્રી ને સન્માન આપવું? જે સન્માનને લાયક હોય તેવી સ્ત્રી ને સન્માન આપવું, આજે પણ આપણા સમાજમાં અમુક એવી સ્ત્રીઓ જીવે છે જે સિક્કાની બે બાજુ જેવી હોય છે, પરિવાર સામે અલગ, સમાજ સામે અલગ અને પોતાની વ્યક્તિગત જીવનમાં અલગ. અમુક સ્ત્રીઓ આજે સમાજ માં એવી ઉદાહરણરૂપ બની જાય છે કે જેના કારણે આજનો સમાજ લગ્ન પછી સ્ત્રીને તેની સ્વતંત્રતા આપતા ખચકાય છે, એવી જ એક વર્ષ અગાઉ બનેલી સ્વતંત્ર સ્ત્રી ની સત્ય હકીકત આપની સમક્ષ વર્ણવું છું, વાંચીને તમે વિચારી પણ નહીં શકો કે ખુદ સર્જનહારે ઘડેલા સ્ત્રી ના પાત્રનું આવું ભયંકર રૂપ પણ હોઈ શકે.
નીતિન છોકરો ખૂબ ડાહ્યો, દેખાવે પણ નાજુક અને ખૂબ નમણો, સંસ્કારી અને સૌને આજ્ઞાકારી. ભણેલો ગણેલો અને ગાંધીનગર સચિવાલયમાં અંદાજીત પાસઠેક હજારનો પગાર, ઘર પરિવારમાં એક પોતાનાથી બે’ક વર્ષ નાની બહેન હેમાલી, મમ્મી ગયાયત્રીબેન અને પપ્પા રમેશભાઈ પુરો પરિવાર અમદાવાદ સ્થાયી થયો હતો.
પરિવારમાં ખૂબ સંપ હતો, અને એકબીજાને સ્વતંત્રતા પણ એટલી, નીતિન ઉંમર લાયક થતા રમેશભાઈ તેના માટે એક તેને યોગ્ય દીકરી શોધવા લાગ્યા, ઘણા વર્ષો પછી પરિવારમાં પ્રસંગ આવતો હોવાથી સૌ નિતીનના લગ્નની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, એવામાં રામેશભાઈનાં મિત્રએ નીતિનને યોગ્ય એવી દીકરીની વાત ચલાવી, નીતિન પોતાના જીવનમાં પ્રથમ પોતાની જીવનસંગીની ને જોવા જઈ રહ્યો હતો,
દીકરી નમ્રતા અનુસ્નાતક થયેલી, પરિવારની સૌથી નાની દીકરી એટલે સૌની લાડકી પણ હતી અને એના પરિવાર માટે પણ નમ્રતાના લગ્નનો પ્રસંગ એ છેલ્લો પ્રસંગ હતો, ભણવાની સાથે સાથે નમ્રતા રમતગમતમાં પણ ખૂબ આગળ પડતી હતી, દોડમાં મળેલા અસંખ્ય મેડલો અને સર્ટિફિકેટનો તો કબાટ ભરેલો હતો, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ ઘણી રમતો રમેલી અને શાળા તેમજ પરિવારનું નામ ખૂબ જ રોશન કરેલું, તેથી તેને સ્પોર્ટ્સક્વોટામાં પોસ્ટઓફિસમાં સરકારી નોકરી પણ મળેલી, નમ્રતાએ સમાજમાં એક અલગ વ્યક્તિત્વ અને એક અલગ જ ઓળખ ઉભી કરેલી.
નીતિન નમ્રતાને જોવા આવ્યો, બંને એકબીજાને ગમી ગયા તેથી પરિવારની સહમતીથી બંનેના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા, નમ્રતા ગામડું છોડીને અમદાવાદ શહેરમાં આવી, પોતાની સરકારી નોકરી અલગ શહેરમાં લાગી હોવાથી થોડો સમય પરિવારથી એકલું રહેવું પડયું પરંતુ તે શહેરમાં થોડા-થોડા સમયે ગાયત્રીબેન અને હેમાલી નમ્રતાને એકલું ના લાગે તે માટે આવ-જા કર્યા કરતા. દોઢેક વર્ષના અંતરાલ પછી નમ્રતાની નોકરી અમદાવાદ લાગી ગઈ એટલે નમ્રતા સસરાના ઘરે આવીને રહેવા લાગી, નીતિન અને નમ્રતા બંનેને ખૂબ બનતું, નમ્રતા અમદાવાદ આવી એટલે સૌ સગાસંબંધીઓ ગાયત્રીબેનને કહેવા લાગ્યા કે વહુને લઈ ને ઘરે ચા-પાણી પીવા અને જમવા આવો.
સૌના આગ્રહથી સહપરિવાર સગાસબંધીને ત્યાં જવા લાગ્યો, ગાયત્રીબેન નમ્રતાને સૌની ઓળખ કરાવતા જાય, નમ્રતા પણ સૌની સાથે આદરથી વાતચીત કરતી, એક દિવસ ગાયત્રીબેનની નાની બહેનના ખૂબ આગ્રહને લીધે સહપરિવાર ત્યાં જમવા ગયો, નાની બહેનને ત્યાં કરોડોની જાહોજલાલી હતી, પાણી માંગો’ને દૂધ મળે, લાખ માંગો’ને કરોડો મળે, સૌ સાથે જમ્યા અંગત વાતચિતો કરી એવામાં નમ્રતાના ડ્રેસ પર જમતા જમતા શાક ઢોળાયું, નાનીબેન ને ત્યાં પણ દીકરાની વહુ આવી ગયેલી એટલે નમ્રતાને પોતાના કપડાં ની એક જોડ આપીને ઉપર બેડરૂમમાં બદલવા જવાનું કહ્યું, નમ્રતા ઉપર ગઈ, થોડી વાર પછી નાનીબેનના પતિ પરેશભાઈ પણ ફોન પર વાત કરતા કરતા ઉપર રૂમ તરફ ગયા.
કપડાં બદલાવી રહેલી નમ્રતાનું એક અલગ રૂપ પરેશભાઈને મોહી ગયું, બારી માંથી નમ્રતાની નજર પણ પરેશભાઈ સાથે એક થઈ, નમ્રતાએ જાણે પોતાની મૌન ભાષામાં પરેશભાઈને પોતાની તરફ બોલાવતી હોય એમ પરેશભાઈ ખેંચાઈને રૂમમાં ગયા બારી દરવાજો બંધ કરીને નમ્રતાએ પહેરેલા અર્ધવસ્ત્રમાં જ પોતાની બાહોમાં જકડી લીધી, અને નમ્રતાને પણ જાણે પરેશભાઈનું આલિંગન ગમ્યું હોય તેમ તેણે પણ તેનો સાથ આપ્યો આશરે વીસેક મિનિટ બંને આ જ અવસ્થામાં રહ્યા ત્યારબાદ હોઠથી હોઠ મેળવી બંને વારાફરતી નીચે હોલમાં આવ્યા, કોઈ ગાર્ડનમાં હતું તો કોઈ રસોડામાં, કોઈ ટીવી જોતું હતું તો કોઈ હિંડોળે હીંચકતું હતું સૌ પોતપોતાનામાં વ્યસ્ત હતા તેથી નમ્રતા અને પરેશભાઈ પ્રત્યે કોઈનું ખાસ ધ્યાનના ખેંચાયું. પરિવાર સાથે રહેતી નમ્રતાનું એક અલગ જ સ્વરૂપ આજે જોવા મળ્યું, મોડે સુધી સૌ સાથે બેઠા પછી ગાયત્રીબેન અને સૌ પરિવાર પોતાના ઘરે પરત ફર્યો.
પેલી બાજુ પરેશભાઈ અને આ બાજુ નમ્રતા પુરી રાત ઊંઘી ના શક્યા, કારણ કે બંનેએ સાથે વિતાવેલી અંગત ક્ષણો એકબીજાને ઊંઘવા જ નહોતી દેતી, નમ્રતાએ પરેશભાઈને નિતીનને ખ્યાલ ન આવે તેમ રાત્રે બાલ્કની માં જઈ ને ત્રણેક વાગ્યે ફોન કર્યો, પરેશભાઈ પણ જાગતા જ હતા તેથી એક બે રિંગ વાગે ત્યાં જ ફોન ઉપાડી લીધો, નમ્રતાએ પૂછ્યું: “હજુ જાગતા જ હતા?” પરેશભાઈ બોલ્યા: “તું એવી માયા લગાડીને ગઈ છે કે હવે તો તારાથી દૂર રહેવું પણ જરાયે નથી ગમતું!” બંને હસી પડ્યા, થોડી વાતો કરી નમ્રતા ફરી પાછી હળવેકથી નીતિનની બાજુમાં આવીને ઊંઘી ગઈ, નમ્રતા નો પગાર પણ ઘણો સારો હતો સવારે દસ થી પાંચનો સમય અને પિસ્તાલીસ હજાર માસિક પગાર, છતાં પણ નમ્રતા ક્યાં કારણે પરેશભાઈની નજીક જઈ રહી હતી એ સમજવું ખૂબ મુશ્કેલ હતું.
સવાર પડતા ઘરનું કામકાજ પતાવી નમ્રતા તૈયાર થઈ નોકરીએ ઉપડી ગઈ, નોકરીના સમય દરમિયાન બંનેની વાતો સતત ચાલુ રહેતી, બંને એ બીજે જ દિવસે ફરી મળવાની તૈયારી દર્શાવી, પોતાના વિસ્તારથી દૂર એક હોટેલમાં મળવાનું નક્કી કર્યું, નમ્રતા નોકરી પરથી વહેલી નીકળી અને ઘરે જાણ કરી કે પોતાની ઓફિસમાં થોડું વધુ કામકાજ છે તેથી તેને થોડું મોડું થશે, પરિવારમાં ખૂબ સ્વતંત્રતા હતી માટે નમ્રતા ગમે તેટલા વાગ્યે ઘરે જાય તો પણ કોઈ તેને પૂછે તેમ નહોતું કે તે ક્યાં ગયેલી! પોતાની ગાડી લઈને બંને એ નિયત કરેલા સમયે નિયત કરેલી હોટેલમાં પહોંચ્યા. જાણે બંને વર્ષોની તરસ બુઝાવી રહ્યા હોય એમ રૂમમાં પહોંચી બંને એકબીજાને ગળે વળગી પડ્યા, બંને માંથી એક ને પણ એવું નહોતું લાગતું કે બંને સમાજને પરિવારને વિરુદ્ધ એવું કૃત્ય કરી રહ્યા છે બસ બંને એકબીજામાં ખોવાઈને ના ઓળંગવાની મર્યાદા ઓળંગી ગયા, પરેશભાઈ સંબંધથી તો તેના માસા-જી થાય પરંતુ નમ્રતા માટે નીતિનથી પણ વધુ ખાસ બની ગયા.
સાંજે સાડા સાતના સમયે નમ્રતા ઘરે પહોંચી, ગાયત્રીબેને રસોઈ બનાવી રાખેલી એટલે આવીને ફ્રેશ થઈને પરિવાર સાથે જમવા બેસી ગઈ, જમ્યા બાદ સહપરિવાર હોલમાં સાથે બેસતો પરંતુ આજે નમ્રતા પોતાના રૂમમાં ચાલી ગઈ, નિતીનને લાગ્યુ તે કામથી થાકી હશે માટે રૂમમાં જતી રહી, ધીરે ધીરે સમય વીતતો ગયો, નમ્રતા અને નિતીનના લગ્નના ચાર વર્ષ વીતી ગયા, નિતીનની ઈચ્છા હતી કે હવે બાળકનો વિચાર કરીએ એટલે તેણે પોતાની વાત નમ્રતા સમક્ષ રજુ કરી, થોડી વાર તો નમ્રતા ગુસ્સે થઈ ગઈ અને પોતાનું કરિયર બનાવવું છે એવું બહાનું કાઢી નિતીનની વાતને ટાળી દીધી, પરેશભાઈ અને નમ્રતાના સંબંધો ગાઢ બનતા ગયા, નમ્રતાએ બાળક વિશેની વાત પરેશભાઈને કરી તો પરેશભાઈ એ કહ્યું મળવા માટે તો જિંદગી પડી છે એક બાળક આવી જાય પછી તું છુટ્ટી અને એના બહાને મળવાનું વધશે, એટલે સાંજે નમ્રતાએ નિતીનને પોતે બાળક માટે તૈયાર છે એવી સહમતી દર્શાવી.
નમ્રતાને હરવું ફરવું, મુવી જોવા, હોટેલમાં જમવા જવું ખૂબ ગમતું પરંતુ પરેશભાઈના સંપર્કમાં આવ્યા બાદ તેણે નીતિન સાથે રહેવાનું ઓછું કરી દીધું, નીતિન ક્યારેક સામેથી ક્યાંય જવાનું કહેતો તો પણ ના કોઈને કોઈ બહાનું બનવું દેતી, થોડા જ મહિનામાં નમ્રતાને ગર્ભ રહ્યો, પરિવારમાં સૌ એક નવા મહેમાનના આગમનની તૈયારી કરવા લાગ્યા, સૌના હરખનો પાર નહોતો, ક્યાંથી હોય? વર્ષો પછી ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજવાની હતી, ગર્ભાવસ્થાની અવધિ પૂર્ણ થતાં નમ્રતાએ દીકરાને જન્મ આપ્યો જેનું નામ આલોક રાખ્યું, આલોક ડાઉન સિન્ડ્રોમ (મંદબુદ્ધિ) સાથે જન્મ્યો હતો, નીતિને તેની સારવાર કરવામાં દિનરાત એક કરી દીધા હતા, અને તેની સારવાર પાછળ આશરે પંદરેક લાખ ખર્ચી નાખ્યા હતા, હેમાલીએ તો પોતાના માસિક વિસ હજારની નોકરી પણ છોડી દીધી કે પોતે આલોકની સંભાળ રાખી શકે, પોતે લગ્ન નહીં કરે અને પોતાનું જીવન આલોક પાછળ વિતાવશે એટલો મોટો નિર્ણય પણ લઈ લીધો, દવાખાનાને બહાને આલોક માંડ એક મહિનાનો થયો હશે ત્યાં નમ્રતા ફરી પરેશભાઈ ને છુપી રીતે ક્યાંકને ક્યાંક મળવા લાગી. અને આલોક ચાર મહિનાનો થયો ત્યાં જ નમ્રતાએ ફરી નોકરી શરૂ કરી દીધી, પરિવાર ખૂબ જ આલોકને સાચવાતો,
આવી રીતે આલોક મોટો થવા લાગ્યો, અને ફેબ્રુઆરી 2019 માં આલોક 3 વર્ષનો પૂર્ણ થઈ ગયો, એક વાર પરેશભાઈ અને નમ્રતા મળ્યા હશે ત્યારે નમ્રતા આલોકના ભવિષ્યને લઈ ને પરેશભાઈ આગળ રડી પડેલી, તે જ રાત્રે નમ્રતા ફ્રેશ થવા ગઈ ત્યારે મોબાઈલમાં મેસેજ આવ્યો, દિકુ આપણો આલોક ખૂબ જલ્દી સારો થઈ જશે તું ખોટી ચિંતા ના કરતી, મેસેજ નીતિને જોયો તો પરેશભાઈનો હતો, પરેશભાઈના આવા મેસેજથી નીતિન તો આકુળ વ્યાકુળ બની ગયો, પરેશભાઈના ઉપરા ઉપર મેસેજ આવવા લાગ્યા કે આલોકને હું દુનિયા ની સારામાં સારી સારવાર અપાવીશ, તું દુઃખી થાય તો મને પણ જમવું નથી ભાવતું, તારાથી વિશેષ મારા માટે કંઈ પણ નથી, ફોનને લોક હતો તેથી સ્ક્રીન પર આવી રહેલા મેસેજ નીતિન વાંચી શકતો હતો, અંતે પરેશભાઈનો છેલ્લો મેસેજ આવ્યો કદાચ તું વ્યસ્ત છે એટલે મને જવાબ નથી આપતી પણ ચિંતા ના કરતી શાંતિથી સુઈ જજે, Love You Namrata. આવા મેસેજથી નીતિન અંદરથી જાણે ઉનાળે બરફનો પહાડ તૂટી પડે તેમ તૂટી પડ્યો, આજ પહેલા ક્યારેય આટલા વર્ષોમાં નીતિને નમ્રતાનો ફોન નહોતો જોયો, થોડી વારમાં નમ્રતા ફ્રેશ થઈને આવી જોયું તો પોતાનો ફોન નિતીનના હાથમાં હતો, ખૂબ ગુસ્સે થઈ ગઈ અને પોતાનો ફોન નીતિન પાસેથી છીનવી લીધો, અને બોલી આજ પછી ક્યારેય મારો ફોન ના અડતા. નીતિને નમ્રતાને પરેશભાઈ વિશે વાત કરી તો પોતે રૂમમાંથી બહાર આવી ઘરમાં સૌને કહેવા લાગી કે નીતિન પોતાના પર શંકા કરે છે, એટલે ગાયત્રીબેન અને રમેશભાઈ નિતીનને ખીજવા લાગ્યા, પરંતુ નીતિન સાચો સાબિત ના થઇ શક્યો.
એ રાત નીતિને કેમ પસાર કરી એ નીતિન જ જાણતો હતો, આખરે આ વિશે નીતિન વાત કોને કરે તે નહોતું સમજાતું, નીતિન સવારે તૈયાર થઈને ઘરની બહાર તો ગયો પરંતુ પોતાની નોકરીએ ના જઈ શક્યો, નમ્રતા જેવી ઓફીસ જવા નીકળી પછી પોતે ઘરે આવી ગયો અને રૂમમાં જઈ સુઈ ગયો, કેટલાયે વિચારોની વચ્ચે ઘેરાયેલો નીતિન આખરે શું સત્ય હશે તે સમજી નહોતો શકતો, બપોર પછીના ચાર વાગ્યા ત્યાં ગાયત્રીબેનના ફોનમાં નમ્રતાનો ફોન આવ્યો કે મારે આવવામાં થોડું મોડું થશે ઓફિસે થોડું કામ છે એટલે, ગાયત્રીબેને કહ્યું કંઇ વાંધો નહીં બેટા શાંતિથી આવજે, નીતિન સાડા પાંચે આલોકને દવાખાને લઈ જવાનું બહાનું બતાવી નમ્રતાની ઓફિસે ગયો, ત્યાં જોયું તો નમ્રતા નહોતી એટલે ઓફીસ સ્ટાફને પૂછ્યું તો જાણવા મળ્યું કે નમ્રતા કોઈ કામથી આજે વહેલી નીકળી ગઈ છે, ત્યાંના પત્તાવાળાને પૂછ્યું તો ખબર પડી કે મેડમ અઠવાડીયે એક બે વાર કોઈ કામથી વહેલા જતા રહે છે, નીતિને નમ્રતાને ફોન કર્યો અને પૂછ્યું કે કયા છે આજે મેં આલોકની અપોઈમેન્ટ લઈ રાખી છે દવાખાને જવું છે, તો નમ્રતાએ કહ્યું કે પોતે ઓફિસે જ છે અને કામ છે એટલે મોડું થશે, દવાખાને કાલ જશું, નિતીનને શંકા ગઈ કે નમ્રતા પોતાનાથી ખોટું બોલીને ક્યાં ગઈ હશે?
ઘરે આવીને નીતિને નમ્રતાની વાત ગયાત્રીબેન ને કરવાનું વિચાર્યું, હજુ તો નીતિન કંઈ બોલે એ પહેલા જ ગયાયત્રીબેન બોલ્યા નીતિન તું બોવ બદલાઈ ગયો છે જ્યારે હોય ત્યારે નમ્રતા જોડે ઝગડો જ કરતો હોય, બિચારીને કામનું ખૂબ ભારણ રહે છે, સરકારી નોકરી છે તો પણ કેટલીયે વાર ઓવરટાઈમ કામ કરવું પડે છે ઉપરથી થાકીપાકી ઘરે આવે ત્યાં તું ઝગડો કરે, પણ નીતિન અને ગાયત્રીબેન ક્યાં જાણતા જ હતા કે કોની સાથે નમ્રતા ઓવરટાઈમ કરી રહી છે!
નીતિને નમ્રતા જે ગાડી લઈને ઓફીસ જતી તેમા જીપીએસ સિસ્ટમ મૂકી દીધી, બે ચાર દિવસ વીત્યા ત્યાં નમ્રતા ફરી ઓફિસેથી વહેલી નીકળી પરેશભાઈ સાથે હોટેલમાં મળવા નીકળી, નીતિન ગાંધીનગરથી તાત્કાલિક અમદાવાદ આવવા નીકળ્યો, ચાર વાગ્યાથી લઈ ને સાંજના સાત વાગ્યા સુધી નમ્રતાનું લોકેશન એક હોટેલ પર જ બતાવ્યું, અમદાવાદ પહોંચી નીતિન લોકેશનના સ્થળે પહોંચ્યો, ત્યાં તેણે પાર્કિંગમાં નમ્રતા અને પરેશભાઈની ગાડી જોઈ, પોતે અંદર ગયો અને રૂમ બુક કરવાના બહાને રિસેપ્શન પર ગયો, ત્યાં જ ચાર એન્ટ્રી ઉપર પોતે પરેશભાઈના નામથી રૂમ બુક જોયો, આ જોવા માટે જ નીતિન રૂમબુક કરાવવા ગયો હતો, નીતિને ફોન કાઢીને એમજ કોઈ જોડે વાત કરવા લાગ્યો અને બોલ્યો હા હું બસ પહોંચું જ છું, એટલે રિસેપ્શન પર પોતાને રૂમ બુક નથી કરાવવો એવું કહી ત્યાંથી નીકળી ગયો, થોડી વારમાં નમ્રતા અને પરેશભાઈને બહાર નીકળતા જોયા, નીતિને ત્યાંના પત્તાવાળાને પાંચ હજાર રૂપિયા આપી બંને નો ફોટો બતાવીને પૂછ્યું આ બંનેને અહીં આવતા અગાઉ પણ જોયા છે? પટ્ટાવાળા એ કહ્યું હા સાહેબ આ મેડમ અને આ સાહેબ ચાર પાંચ દિવસે અહીં અલગ અલગ ગાડીમાં આવે છે.
પટ્ટાવાળાની આ વાત સાબિત કરવા પોતે પંદર દિવસની રાહ જોઈ, પંદર દિવસમાં નમ્રતાનું જીપીએસનું લોકેશન ચાર વાર તે જ હોટેલમાં જોવા મળ્યું, નિતીન પાસે હવે નમ્રતાની સાબિતી પણ હતી, નિતીનને યાદ આવ્યું કે એક વાર પરેશભાઈ નો એવો મેસેજ આવેલો કે આપણો આલોક ખૂબ જલ્દી સારો થઈ જશે, નિતીનને શંકા ગઈ કે આલોક પોતાનો અને નમ્રતાનો જ દીકરો છે કે નહીં? માટે ઉત્તરાયણની રજામાં નમ્રતાને અમદાવાદથી બહાર પોતાના મિત્રના ફાર્મ પર લઈ ગયો અને એના મિત્રને નીતિને દિલ ખોલીને વાત કરી, નીતિન તેના જીવનમાં કદી આટલું નહીં રડ્યો હોય એટલું આજે તેના મિત્રની સામે રડ્યો, તેનો મિત્ર લેબોરેટરી ચલાવતો હતો તેથી તેણે DNA ટેસ્ટ કરાવવાની સલાહ આપી, નીતિન, આલોક અને નમ્રતાના શરીરની કોઈને કોઈ વસ્તુ આપી નીતિને DNA ટેસ્ટ કરાવ્યો.
નીતિન નમ્રતાના ફોનમાં વાંચેલા મેસેજ પછી અંદાજીત છએક મહિના સુધી તેનું સત્ય સાબિત કરવા મહેનત કરતો હતો, બે દિવસ પછી મિત્રનો ફોન આવ્યો કે નીતિન તારા DNA આલોક સાથે મેચ નથી થતા, નિતીન અંદરથી એટલો તૂટી ગયો હતો કે એની વેદના એ એકલો જ સમજી શકતો હતો,
નીતિને આ રિપોર્ટ ઘરે મમ્મી ગાયત્રીબેન અને પપ્પા રમેશભાઈને બતાવ્યા, અને નમ્રતાની હોટેલ વાળી વાત પણ કહી પૂરા પરિવારને ખૂબ મોટો ઝટકો લાગ્યો, થોડી વાર તો કોઈ સ્વીકારવા જ તૈયાર નહોતું કે નમ્રતા અને પરેશભાઈ આવું ના કરી શકે, નમ્રતા ઓફિસેથી સાંજે ઘરે આવી કોઈ તેની સાથે બોલ્યું નહીં, એટલે નમ્રતા બોલી નીતિન પણ રોજ ઝગડો કરે હવે તમને બધાને શુ થઈ ગયું? કેમ કોઈ બોલતું નથી? એટલે નીતિને પેલા DNA ટેસ્ટ ના રિપોર્ટ નમ્રતાના હાથમાં મુક્યા અને બોલ્યો આલોક કોનો દીકરો છે, આજે તારું સત્ય અમે સૌ જાણીએ છીએ છુપાવીને કોઈ ફાયદો નથી, જે હોય તે સત્ય કહી દે હું અને પૂરો પરિવાર તને માફ કરી દઈશું.
નમ્રતા જે સત્યને જીવનભર ઘર પરિવારથી છુપાવીને મોજથી જીવવા માંગતી હતી તે સત્ય આજે સૌની સમક્ષ હતું, નમ્રતા બોલી, હા આલોક તમારો અને મારો છોકરો નથી, આલોક મારો અને……. નિતીન બોલ્યો, પરેશકાકા નો છોકરો છે. નમ્રતાને ખૂબ સમજાવી કે પોતે જે કરી રહી છે તે શા માટે? પરંતુ એનો જવાબ તો કદાચ નમ્રતા પાસે પણ નહોતો, એટલે જ આવું અક્ષમ્ય કૃત્ય કર્યું તેણે. નમ્રતા ઉંચા સ્વરમાં બોલી ઉઠી તમારે છૂટાછેડા આપવા હોય તો આપી દો, પણ હું પરેશથી દુર નહીં રહી શકું, મને એ ગમે છે અને એને હું, અમે એકબીજા સાથે ખુશ છીએ, અને હું એનાથી દૂર નથી રહેવા માંગતી, નમ્રતાના આવા જવાબથી પૂરો પરિવાર સ્તબ્ધ બની ગયો, રમેશભાઈ એ નમ્રતાના પિતાને ફોન કરી તમામ હકીકત જણાવી, અને નીતિને નિર્ણય કર્યો કે નમ્રતાને જેવી જિંદગી જીવવી હોય તેવી તે જીવી શકે છે આજ પછી પોતાની અને નમ્રતાની વચ્ચે કોઈ સંબંધ નથી, તેણે નમ્રતાને એક મોકો આપ્યો હતો આલોક માટે પરંતુ નમ્રતાના આવા જવાબથી તેને આલોક પ્રત્યેની માયા પણ દૂર થઈ ગઈ.
અને અંતે પ્રથમ ફેબ્રુઆરી 2020 ના રોજ નીતિન અને નમ્રતાના છૂટાછેડા થયા, નમ્રતાના પપ્પાએ તેને સ્વીકારવાની ના પાડી દીધી, તેથી તેણે બંને પરિવાર સાથે સબંધ કાપી નાખ્યા, અને એકલી પોતાનો સમાન લઈને ત્યાં જ નજીકના એરિયામાં મંદબુદ્ધિના ચાર વર્ષના આલોકને લઈ ને રહેવા જતી રહી, આલોકને ડે-કેર માં મૂકીને આજે પણ પોતાની નોકરી કરે છે, ગાયત્રીબેને પરેશભાઈને લીધે પોતાની બેન સાથે સબંધ કાપી નાખ્યો, આજે પણ નમ્રતા પરેશભાઈ સાથે શારીરિક સંબંધથી દુનિયાથી છુપીરીતે જોડાયેલી છે. નમ્રતાને કોઈ અફસોસ નથી કે પરિવારથી દૂર થયાનું દુઃખ નથી! આજે પણ પોતે કેટલીયે રાતો પરેશભાઈની સાથે વિતાવે છે, જે સ્ત્રી રાજ્યકક્ષા સુધી સન્માનિત થયેલી તે સ્ત્રી આજે એકલી પોતાનું જીવન જીવે છે, આજે એનું જેટલું માન હતું એ તમામ પાણી માં વહી ગયું, પોસ્ટઓફિસમાં સ્પોર્ટ્સલેડીથી સન્માનિત થઈ એવોર્ડ જીતેલી નમ્રતાને આજે પટ્ટાવાળા પણ સલામ નથી કરતા. આખરે નમ્રતાના જીવનમાં શુ ખોટ હતી કે તેને પરેશભાઈ જોડે આવા સંબંધો બાંધ્યા આ સવાલ તમારા મનને પણ વિચલિત કરી દેતો હશે! મારા મતે કહું તો અણસમજ, લાલચ, આકર્ષણ કે પછી શોખ જ હોઈ શકે.
નમ્રતા જેવી સ્ત્રીઓ આજે સમાજમાં સન્માનને પાત્ર નથી, આજે આવી સ્ત્રીઓને લીધે કેટલાયે પરિવાર પોતાની બેન દીકરી કે વહુને સ્વતંત્રતા આપતા ડરે છે, સ્ત્રી જ્યારે ઘરનું ઉંબર ઓળંગે ત્યારે જ તેને વિચારવું જોઈએ કે પોતે શુ કરવા જઈ રહી છે? કારણ કે એક સ્ત્રી સાથે બે પરિવારની મર્યાદા જોડાયેલી હોય છે.
પરિવારે આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ થાય જ કેમ? વ્હાલા લગ્નમાં સપ્તપદીએ લીધેલા વચન આપણે એક સ્ત્રી કે પુરુષ તરીકે ના નિભાવી શકીએ, પોતાની પત્ની/ પતિ, બાળકો અને પરિવાર પ્રત્યે વફાદાર ના બની શકીએ તો વ્યર્થ છે સંપૂર્ણ જીવન. ઘણીવાર ફોન માં કોઈ સાથે થયેલી વાતને ડીલીટ કરવી પડે છે, પતિ/ પત્ની એકબીજાના ફોન નથી અડી શકતા! શા માટે? કારણ કે મનમાં પાપ ભર્યું છે, એકબીજાથી વફાદાર નથી એટલા માટે, વ્હાલા જીવન એવી ખુલ્લી કિતાબ જેવુ હોવું જોઈએ કે જેને જે પાનું ખોલવું હોય તે ખોલે પરંતુ દરેક પાને માત્ર વફાદારી જ નીકળે.
કોઈ પણ કાર્ય કરતા પહેલા જો તેના પરિણામ વિશે એક વાર વિચાર આવે તો ખોટું કાર્ય થાય જ નહીં, તમારા એક કાર્યને લીધે કેટલાયેની જિંદગી વેરવિખેર થઈ જાય છે, વ્હાલા દુનિયાની સામે તમે ગમે તેવા બનીને રહો પરંતુ પરિવાર, બાળકો અને પતિ/ પત્ની સામે તો જીવનપર્યંત વફાદાર જ રહો………A+
જો મારી આ વાત આપને પ્રેરણાત્મક લાગી હોય તો શેર કરજો જેથી ઘણા પોતાના માર્ગથી ભટકેલા હોય તે પોતાના સાચા માર્ગ તરફ વળી જાય.
~ અંકિતા મુલાણી
રિચ થીંકર


















































