કોણ કહે છે કે ડૉક્ટર્સને નાનું કામ કરવામાં શરમ આવે છે? રાજકોટના ત્રણ સીનિયર ડૉક્ટર્સે આ વાતને તદ્દન ખોટી પાડી છે, અને ઓક્સિજન ઓપરેટરનું નાનું પણ મહત્વનું કામ કરીને ડૉક્ટરના વ્યવસાયને ઉચ્ચ પ્રકારન ગરિમા બક્ષી છે.
રાજકોટની પંડીત દીનદયાળ હોસ્પિટલ ખાતે આંખના સર્જન તરીકે કાર્યરત ડૉ. કમલ ડોડિયા, પેથોલોજિસ્ટ ડૉ. મિલન પુરોહિત અને બાયોકેમિસ્ટ્રી વિભાગના ટયુટર ડૉ. રાજેશ ડોબરિયા ડોટરના ઉમદા વ્યવસાય સાથે સંકળાયેલા માનવીય મસીહાઓ સાબિત થયા છે. હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ એ ન્યાયે આ ત્રણ ડૉક્ટર્સ તો પોતાની રોજિંદી તબીબી કામગીરી ઉપરાંતની માનવીય કામગીરીમાં વ્યસ્ત જ હોય છે, ત્યારે પોતે કરેલા ઉચ્ચ કક્ષાના માનવીય કાર્યની પ્રસિધ્ધિની ખેવના તો કયાંથી જ હોય? પરંતુ તેમની આ ઉત્તમ કામગીરી અંગે કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના નોડલ ઓફિસર ડૉ. ઇલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું કે, પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે હાલની ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જેને પોર્ટા ક્રાયો (PORTA CRYO) કહેવામાં આવે છે, જેમાં અતિ નીચા તાપમાને ઓક્સિજનનો સંગ્રહ કરવામાં આવે છે.
જ્યારે ઓક્સિજનની ટેન્કમાંથી આ ઓક્સિજનને રીલીઝ કરવામાં આવે છે, ત્યારે ઓક્સિજન ટેન્કની આજુબાજુ ફ્રોસ્ટીંગ થાય છે, મતલબ કે ઓક્સિજન ટેન્કની આસપાસ બરફની કરચો જમા થાય છે. આ કરચોને દૂર કરવા માટે તેની પર પાણી છાંટવું જરૂરી હોય છે, નહિંતર આ ફ્રોસ્ટીંગને લીધે બીજા ટેકનિકલ પ્રોબ્લેમ્સ ઉભા થઇ શકે છે. સામાન્ય રીતે આ કામ ઓક્સિજન ઓપરેટરનું હોય છે. પરંતુ હાલની કામના ભારણની પરિસ્થિતિમાં ડૉ. કમલ ડોડિયા, ડૉ. મિલન પુરોહિત અને ડૉ. રાજેશ ડોબરિયા બિલ્કુલ સહજ ભાવે પાણી છાંટીને આ ફ્રોસ્ટીંગ દૂર કરવા મંડી પડે છે, અને અન્ય ટેકનિકલ પ્રોબ્લેમ્સ ન ઉભા થાય તેનું સતત ધ્યાન રાખે છે…..!
VR Niti Sejpal


















































