મુરુભા માણેક 7/5/1868 ના રોજ પોરબંદર જિલ્લા ના વાચ્છોળાના પાદરમાં અંગ્રેજી શાસન સામેના બળવા માં વિરગતિ પામ્યા હતા. તેઓએ સતત 12 વર્ષ સુધી અંગ્રેજ હુકુમતને લોઢાના ચણા ચવાડયા હતા.
આપણા સૌરાષ્ટ્રનાં 1857ના વિપ્લવ માં એકમાત્ર ક્રાંતિકારી જુથ તરીકે વાઘેરોનો બળવો હતો, પોણી દુનિયા પર શાસન કરતી અંગ્રેજી હુકુમત સામે કોઈ આંખ ઉપાડી ને જોતું ન હતુ તેવા સંજોગોમાં ઓખામંડળનુ નાનુ એવું રજવાડુ જેમણે અંગ્રેજી શાસન સ્વીકાર્ય ન હતુ, જેથી 1857 વિપ્લવની તૈયારીમા જયારે નાના સાહેબ પેશ્ર્વા સાધુ વેશમાં દ્વારકા જોધાભા ને મળવા આવેલ ત્યારે જોધાભા એ પુરી તૈયારી સાથે વચન આપેલ અને એક નિર્ધારિત દિવસના રોજ સંકેત મળે એટલે હુમલો કરવાનો છે જેથી આખાય દેશમાં એક સાથે હુમલો થાતા અંગ્રેજ શાસનના મૂળીયા ઉખડી જાશે અને એક વખત પાછુ સ્વરાજ્યની સ્થાપના થશે, પણ કોઈ કારણસર હુમલો એક સાથે ના થયો અને બીજા સાથી રજવાડાઓ એ પણ સાથ ન આપેલ પણ જોધાભાની વચન એટલે મર્દ ની જુબાની જે થવું હોય તે થાય પણ નાના સાહેબ ના સંકેત મુજબ તેમમે કાર્ય કર્યુ (લે. દેવશંકર મહેતા, દરિયાને ખોળે)
આ લડતમાં ઓખામંડળના વાઘેરની સાથે દરેક સમાજના યુવાનો જોડાયા હતા, જેમાં આજેય મુરુભા, જોધાભા, દેવાભા, ની રણખાંભીની બાજુમાં અન્ય સમાજ ના વીરોની ખાંભી સાક્ષી પુરે છે, બાર વર્ષ ની આ લાંબી લડતમાં ઓખામંડળ પુરતું સીમીત ન હતું. બરડાના ડુંગરોમાં, અમરેલી, પોરબંદર, જામનગર, ઉના, દીવ, જુનાગઢ, અને છેક જાફરાબાદ સુધી અંગ્રેજ હુકુમતને લલકારી હતીં. તેમા ત્યાં વસવાટ કરતાં સમાજે તેમને સ્વીકારેલ હતાં જેમાં ચારણ, રબારી, પટેલ, મેર, આહિર, કોળી, કાઠી, મુસ્લિમ,મેઘવાર, સોની અને અન્ય સમાજો એ તેમને આ બાર વર્ષ ના લાંબા સમય માં આસરો આપેલ હતો, આ બળવો ઓખામંડળ પુરતુ કે વાઘેર સમાજ પુરતું નથી આ આખાય કાઠીયાવાડ ની લડત હતી અને દરેક સમાજ ની લડત હતી કેમ કે આ લડતમાં આખાય કાઠીયાવાડ નો હિસ્સો છે.
સૌજન્ય – અમર કથાઓ


















































