શું લઈને આવ્યા હતા, ને શું લઈને જવાનું છે?
જેવા આવ્યા હતા ,એવા જ પાછા જવાનું છે.
સંસારનું આ સત્ય ક્યારેય બદલાવાનું નથી,
કે! દુનિયામાં તારું પોતાનું કયારેય કોઈ થવાનું નથી…
કુદરતના ગોળા ઉપર વસવાટ કરતા દરેક મનુષ્યો સંસારના ઘેરામાં રહે છે.દરેક વ્યક્તિઓના અલગ-અલગ સંબંધો હોય છે અને દરેક સંબંધોના અલગ-અલગ નામ પણ હોય છે.સંબંધો અનુસાર દરેકની પોતપોતાની લાગણીઓ હોય છે.લાગણીથી આગળની જો વાત કરીએ તો,સમય જતા આપણને દરેક સંબંધમાં કોઈને કોઈ આશા બંધાઈ જાય છે.આપણી આશા પ્રમાણે જો કોઈ સંબંધ ન નીકળે તો આપણને ઘણું બધું દુખ થાય છે,અને આ જ આપણા જીવનની મોટામાં મોટી ભૂલ છે.જીવનમાં જેમ કોઈપણ પરિસ્થિતિ આપણી ઈચ્છા મુજબની નથી હોતી,તેમ કોઈ વ્યક્તિઓ કે કોઈ સંબંધો પણ આપણી ઈચ્છા મુજબના કયારેય નથી હોતા,પછી ભલેને એ ગમે તે સંબંધ કેમ ન હોય! આ જ બાબતના સંદર્ભમાં મને એક પુસ્તકમાં લખેલ વાત યાદ આવે છે.અમેરિકાના ન્યુયોર્કમાં બ્રોક્સ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયના અંતમાં મુલાકાતીઓ બહાર નીકળે તે જગ્યાએ એક ફૂલ સાઈઝનો અરીસો મુકવામાં આવ્યો હતો અને તેના ઉપર એક અંગ્રેજી વાક્ય લખ્યું હતું ,જેનું ગુજરાતી અનુવાદ કઈક આમ થતું હતું કે,”તમે દુનિયાના એવા ભયંકર પ્રાણી સામે જોઈ રહ્યા છો કે જે પૈસાને ખાતર પોતાની જાતિને મારે છે.” આપણી જ આજુબાજુમાં બનેલા ઘણા બધા કીસ્સાઓ આ વાક્યને યથાર્થ કરે છે.આ વાક્યમાં ઘણી ઊંડી સત્યતા રહેલી છે.મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.મૂંગા એવા એક જાનવરનો તમે વિશ્વાસ કરી શકો પરંતુ એક મનુષ્યનો તમે ક્યારેય વિશ્વાસ ન કરી શકો.આનો મતલબ એ નથી કે તમે પણ કોઇપણ સંબંધમાં વિશ્વાસ મુકવાનું કે લાગણી રાખવાનું બંધ કરી દો. અહી ફક્ત એક જ બાબત અનુસરવાની જરૂર છે,દરેક સંબંધ ઉપર વધારે પડતી આશા રાખવાનું કે દરેક સંબંધો તમારી ઈચ્છા પ્રમાણેના જ હોય એવું વિચારવાનું બંધ કરી દો.ક્યારેક કોઈ સંબંધમાં કોઈ કડવો અનુભવ થાય તો જીવનમાં અટકવાની જરૂર નથી.એ વીતેલી દુ:ખની પળોને ભૂલીને આગળ વધતા રહો.સંસારનું આ કડવું સત્ય ક્યારેય બદલાવાનું નથી કે “કોઈ કોઈનું નથી રે…”
એક કીર્તનના રૂપમાં સુંદર રીતે વર્ણવાયેલી સંસારની વાતો કે જેને મેં મારા આ લેખના શીર્ષકના રૂપમાં લીધું છે કે,કોઈ કોઈનું નથી રે…સંસારની દરેક કડવી સત્યતાઓ ખુબ સુંદર રીતે આ કીર્તનમાં રજુ કરવામાં આવી છે.આ વાત એકદમ સચોટ છે કે આ સંસારમાં કોઈ કોઈનું નથી.બધા સ્વાર્થના જ સગા છે, ને છતાય જગતના જીવો એકબીજા માટે મહેનત કરી- કરીને થાકી જાય છે.એકવખત મોબાઈલમાં આવેલ મેસેજમાં મેં એક પ્રસંગ વાંચ્યો હતો, જેમાં વાત હતી ચાઈનાના એક દંપતિની.ઘરમાં પતિ-પત્ની અને સાથે ઘરનું બધું જ કામ કરવા ચોવીસ કલાક માટે એક નોકર રાખ્યો હતો.નોકર પોતે ઘરના જ એક servant રૂમમાં એ દંપતી સાથે જ રહેતો હતો.ઘરનો માલિક આખો દિવસ ખુબ મહેનત કરીને ઢગલો રૂપિયા કમાતો.એક દિવસ અચાનક જ ઘરના માલિકનું મૃત્યુ થઇ ગયુ.માલિક તેની પાછળ પોતાની પત્ની માટે અબજોની સંપતી મુકીને ગયો હતો.પતિના મૃત્યુના થોડા જ સમય પછી તેની પત્ની ઘરમાં કામ કરતા એ નોકર સાથે લગ્ન કરી લે છે.નોકર પોતે રાતોરાત અબજોપતિ બનતા એક વાક્ય બોલે છે કે “હું મારા માલિક માટે કામ કરતો હતો કે મારા માલિક મારા માટે કામ કરતા હતા?” પતિએ આખી જિંદગી મહેનત કરી-કરીને પોતાની પત્ની માટે ધન ભેગું કર્યું અને તેની જ પત્નીએ પોતાના સંબંધની કોઇપણ કદર કર્યા વિના તેના ઘરના નોકર સાથે લગ્ન કરી લીધા. આવા કિસ્સાઓ ફક્ત વિદેશમાં જ બને છે એવું નથી.આપણો ભારત દેશ પણ કઈ આ બાબતમાં વંચિત નથી.આપણા દેશમાં પણ આવા કેટલાય બનાવો બન્યા છે કે જેમાં માનવીએ પોતાના જ અંગત સંબંધોની સીમા ઓળંગવામાં કોઈ હદ નથી રાખી.એક માનવી જયારે પોતાના જ સંબંધની ગરીમા ઓળખી શકતો નથી ત્યારે એ સંબંધ સાથે સંકળાયેલ વ્યક્તિને દુઃખ થાય એ સ્વાભાવિક બાબત છે.જીવનની આ કડવી સત્યતા જેટલી જલ્દી સ્વીકારીશું એટલું જ આપણા જીવન માટે યોગ્ય રહેશે.સંબંધોની સીમા ઓળંગતો એક હૃદયદ્રાવક પ્રસંગ મને અહી યાદ આવે છે.આ કિસ્સો છે એક પરિવારનો,કે જેંમાં માતા-પિતા અને સાથે તેમના બે બાળકો રહેતા.એક દિવસ આ પરિવારનો નાનો બાળક તેના ગુરુના દર્શને જાય છે.દર્શન કરતી વેળાએ તે બાળક પોતાના ગુરુને વિનંતી છે કે મારે તમારી સાથે એકાંતમાં એક વાત કરવી છે ,જો તમે મને થોડો સમય આપો તો! ગુરુજી એ બાળકનું દ્વીધાથી ભરેલું મુખ જોઈ તે બાળકને શાંતિથી બેસાડે છે અને પછી બાળકને તેની સમસ્યા વિષે પૂછે છે.બાળક એ જ ક્ષણે ગુરુજીના ખોળામાં માથું મુકીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડે છે.ગુરુજી બાળકને શાંત કરીને તેની સમસ્યા જણાવા કહે છે.બાળક વિગતસર આખી વાત વર્ણવે છે.એક રાત્રે હું,મારો ભાઈ અને મારા પિતા ત્રણેય જણા સુતા હતા.હું આડો પડેલો પણ મને હજુ ઊંઘ નહોતી આવતી.મારા પિતા અને મારો ભાઈ એકદમ ઊંડી નિંદ્રામાં હતા.અંધારામાં મારી માતા જ્યાં મારા પિતા બારી પાસે સુતા હતા ત્યાં મને જતા દેખાઈ.અચાનક જ અંધારામાં અમારી બારી પાસે એક માણસ મને ઉભેલો દેખાયો. બારીની બહાર ઉભેલા એ માણસે બારીમાંથી અંદર અમારા ઘરમાં એક દોરડું નાખ્યું અને મારી માએ એ દોરડું લઇ મારા પિતા જ્યાં બારી પાસે સુતા હતા,તેમના ગળામાં વીંટાળી દીધું.અચાનક જ મારી નજર સામે આવું બનતા જોઈ હું એકદમ બેબાકળો થઇ ગયો.મારી મા અને એ અજાણ્યો માણસ બંને મળી મારા પિતાનો જીવ લઇ રહ્યા હતા.હું ખુબ ગભરાઈ ગયો અને ગભરાતા-ગભરાતા મેં મારી બાજુમાં સુતેલા મારા ભાઈને જગાડવા માંડ્યો.અમારી પથારી બારીથી થોડી દુર હતી,એટલે મારી મને ખ્યાલ ન આવ્યો કે હું આ બધું જોઈ રહ્યો છું.મેં મારા ભાઈને કહ્યુ કે ભાઈ જો! આપણી માં કોઈની સાથે મળીને આપણા પિતાનો જીવ લઇ રહી છે.મારો ભાઈ મારાથી સહેજ મોટો છે,તેણે અચાનક જ મારું મોઢું દબાવી મને આખો બંધ કરીને પડ્યા રહેવાનું કહયુ.મારો ભાઈ મને ધીમે રહીને જણાવે છે કે આપણી માતાના આ અનૈતિક સંબંધોની જાણ મને પહેલેથી જ હતી,પરંતુ આપણી માં આ હદ સુધી જશે તેનો મને સપનેય ખ્યાલ ન હતો.અત્યારે જો આપણે કઈ પણ બોલીશું તો તેઓ આપણી હાલત પણ આપણા પિતા જેવી જ કરશે.હું અને મારો ભાઈ એ સમયે ઉભા થવાની કે મારા પિતાને બચાવવાની હિંમત કરી જ ન શક્યા.એ રાતે બધું એટલું અચાનક થયું ,અને મારી ઉમર પણ નાની, હું એ વખતે કઈ સમજી જ ના શક્યો.મારી નજરની સામે જ મારી જ માતાએ મારા પિતાની જિંદગી ખતમ કરી નાખી.એ રાત્રે મને ખુબ જ આઘાત લાગ્યો.બીજા દિવસે વહેલી સવારે મારી માએ રોકકળ શરુ કરી દીધી અને બધાને ભેગા કરી,પોતે ભાંગી પડી હોય એમ છાતી કુટી અને ખોટું નાટક કરવા લાગી.અચાનક મારા પતિને શું થઇ ગયું એમ મોટે-મોટેથી બોલીને બધાની સામે ખોટો કલ્પાંત કરવા લાગી.મારી નજરની સામે તો મારી માતાનું એ ઘાતકી રૂપ જ મને દેખાઈ રહ્યું હતું.મારા પિતાની મૃત્યુંને કુદરતી મોત જાહેર કરી તેણે હમેશા માટે મારા પિતાને આ દુનિયામાંથી મોકલી દીધા.પોતાના અનૈતિક સંબંધો માટે થઈને તે મારા પિતાનો જીવ કેવી રીતે લઇ શકે?ગુરુજી એ બાળકની મનોસ્થિતિ બરાબર સમજી ચુક્યા હતા,બાળકની ઉમર પણ એટલી નાની હતી કે અત્યારે તેને બીજું કઈ જ સમજાવાય એમ ન હતું.ગુરુજી એ બાળકને શાંત કરીને જણાવે છે કે,મનુષ્ય ગમે તેટલો પ્રયત્ન કરે પણ પોતાના કરેલા ગુનાઓને ક્યારેય છુપાવી શકતો નથી.આજ નહી તો કાલ તેને પોતાના કર્મોનો બદલો ચૂકવવો જ પડશે.તારા પિતા સાથે જે થયું તે ખુબ ખોટું થયું પરંતુ જે થઇ ગયું તેને તો બદલાઈ એમ નથી,પરંતુ તારી માતાને એના કર્મોની સજા જરૂર મળશે.ગુરુજીના આ શાંતિ ભર્યા જવાબે એ ક્ષણે બાળકને બિલકુલ શાંત કરી દીધો,પરંતુ એના મનની અંદર એ સવાલ જરૂર ઉદભવતો હશે કે દુનિયામાં કોનો વિશ્વાસ કરવો અને કોનો ન કરવો? આ નાનકડા બાળક પાસે તો એવા વિશ્વાસપાત્ર ગુરુ હતા કે જ્યાં જઈને તે પોતાના મનની મુજવણ કહી શક્યો.બીજા જે બાળકોની સાથે આવું કઈક બન્યું હશે તેઓ તો મનમાં જ મુંજાયા કરતા હશે ને!દરેક સંબંધો ઉપરથી તેમનો વિશ્વાસ ઉઠી જ ગયો હશે ને! જીવનમાં કોઈ બીજાના પ્રસંગો સાંભળીને ઘણીવાર આપણને પણ એવો ડર રહ્યા કરે છે કે,કદાચ મારી સાથે તો આવું કઈક નહી બને ને! આપણા પોતાના ડરને લીધે કોઈ સંબંધને ત્યજી પણ નહી શકાય કે સંબંધો બાંધવાનું બંધ પણ નહી કરી શકાય.અકસ્માતના ડરે આપણે રોડ ઉપર ગાડી ચલાવવાનું તો બંધ નથી જ કરી દેતા ને! આપણે ફક્ત સાવચેત થઈને આપણું વાહન ચલાવીએ છીએ કે જેથી આપણને કોઈ અકસ્માત ન નડે.
સંબંધોમાં કોઈ શંકા કે કુશંકાઓ કરવાની જરૂર નથી, સંબંધ બાંધતા પહેલા કે પછી કોઈ એવી બાબત જો તમારી નજરે ચડે તો ફક્ત સચેત થવાની જરૂર છે.ક્યારેક અચાનક આંખે ચડતી કોઈ ગંભીર બાબતને ક્યારેય અવગણશો નહી.તમારી પોતાની નજરે ચડેલી વાતની ખાતરી કરવામાં પણ કઈ ખોટું નથી.પરંતુ એક વાત હંમેશા યાદ રાખો કે,તમારા મનની ઉપજ કે મનના વહેમ ક્યારેય ઉભા કરશો નહી.દરેક સંબંધમાં સારા અને ખોટા દરેક પ્રકારના અનુભવો રહેલા જ છે.સંબંધોમાં ખોટી મોટી-મોટી આશાઓ રાખવાનું બંધ કરી દો.તમે તમાર સંબંધમાં ખુબ વફાદાર છો અને સામેવાળું પાત્ર પણ એવું જ હશે,એવો મનને ખોટો દિલાસો આપવાનું બંધ કરી દો.જીવન એક સુખ-દુઃખનો દરિયો છે,તેમાં જેને તરતા આવડતું હશે એ જ પાર નીકળી જશે.અને જો તરતા નહી આવડે તો આ દરિયો તમને ડુબાડીને ક્યાય બહાર ફેકી દેશે.દુનિયામાં આપણે ઘણીવાર એવું બનતા જોયું છે કે,એક માં આખી જિંદગી પોતાના બાળક માટે અર્પી દે છે અને છતાય એ જ બાળક જયારે મોટું થાય છે ત્યારે પોતાના જીવનની એક ક્ષણ પણ પોતાની માતા માટે આપવી તેને નથી ગમતી.હું એમ નથી કહેતી કે બધા બાળકો આવા જ હોય છે.પરંતુ એ પણ સત્યતા છે કે ઘણા બાળકોને મોટા થઈને પોતાના જ માતા-પિતા સામું જોવું પણ નથી ગમતું.જો આપણું બાળક આવું નીકળે તો આ કડવું સત્ય સ્વીકારવા વગર કોઈ છૂટકો જ નથી.પોતાનું બાળક આવું કેમ થયું એવું વિચારીને કયાં સુધી દુખી થઈને બેસી રહેશો.સંબંધોમાં સ્વાર્થની કોઈ જ સીમા નથી,આખરે એ જ એક પરમ સત્ય છે.
આજે મેં આપની સમક્ષ આ સંસારમાં રહેલી મુસીબતોનું વર્ણન કર્યું,પણ આજે તેની સાથે મારા આ લેખ દ્વારા હું તમને આ સંસારના દુઃખોથી બચવા એક સચોટ ઉપાય આપવા માંગું છું. આ સંસારમાં વસનાર કોઈ વ્યક્તિ ઉપર કદાચ ભરોસો નહી થાય,પરંતુ આ સંસારનો જે સર્જનહાર છે તેના ઉપર તો આપણે સંપૂર્ણ ભરોસો મૂકી શકીએ એમ છીએ.સંસારના સર્જનહાર એટલે પ્રભુ.આપણા દરેકના જીવનની એક મોટામાં મોટી ખામી છે કે જેમના લીધે આપણને આ મોંઘો મનુષ્ય જન્મ મળ્યો એમને જ આપણે આ દુનિયામાં આવીને ભૂલી જઈએ છીએ .સંસારના દરેક કાર્યો માટે આપણી પાસે સમય છે,પરંતુ જેમને લઈને આપણું જીવન છે એમના માટે જ આપણી પાસે સમય નથી.પ્રભુએ જ સર્જેલો મનુષ્ય પોતાના જ સર્જનહારને ભૂલી જાય છે.આપણે જેવું પ્રભુ સાથે કરીએ છીએ એવું જ આપણે આ સંસારમાં પામીએ છીએ.ભગવાન જો આપણા જીવનનાં કર્તા બનશે તો દરેક દુઃખથી આપણી રક્ષા જરૂર થશે.સ્વાર્થના એ સગા માટે આપણે આખી જિંદગી વેડફી શકીએ છીએ તો શું પ્રભુ માટે આપણા જીવનની અમુક ક્ષણો પણ અર્પણ ન કરી શકીએ?
– ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ


















































