શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, બ્રહ્માજીના આદેશથી જળપ્રલય બાદ સૃષ્ટિના પુનઃ નવસર્જનની શરૂવાત ચૈત્રમહિનાની એકમ એટલે કે ગુડીપડવાને દિવસે કરવામાં આવી હતી. હિન્દુ પૌરાણિક કથા અનુસાર, બ્રહ્મા દ્વારા ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે બ્રહ્મા દ્વારા બ્રહ્માંડની રચના શરૂ કરવામાં આવી હતી, જે સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલની વચ્ચે આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માએ દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષોની ગણત્રી રજૂ કરી હતી. આ દિવસને બ્રહ્માંડની સૃષ્ટિનો પ્રથમ દિવસ માનવામાં આવે છે અને તે જ કારણ છે કે ભગવાન બ્રહ્માની ગુડીપડવાના પર્વ પર પૂજા કરવામાં આવે છે.
ગુડીપડવો એ ચૈત્ર શુક્લા પ્રતીપદા માટે સંસ્કૃત નામ છે. “પડવો” શબ્દ સંસ્કૃત શબ્દમાંથી આવ્યો છે, જે સંસ્કૃતમાં પ્રતીપદા તરીકે ઓળખાતા ચંદ્રના તેજસ્વી સમયના મુખ્ય દિવસ માટે વપરાય છે. ચંદ્રકળા અનુસાર નવા ચંદ્રદિનનું એસ્ટ્રોનોમી વ્યૂ પોઇન્ટથી અનોખું મહત્વ છે, જે વસંતનું પ્રથમ આગમન પણ દર્શાવે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મેરિડિઅન્સ સાથે વિષુવવૃત્તનું આંતરછેદ એ ચૈત્રની શરૂઆતમાં એક મોટી વૈજ્ઞાનિક ઘટના છે. આ આંતરછેદને વસંત તરીકે ઓળખવામાં આવે છે, વસંત એક આનંદદાયી અને તાજગીસભર ઋતુની સુખદ શરુવાતના સંદેશ આપે છે. પ્રકૃતિ પોતાને એક અલગ વશીકરણ અને સંતોષકારક વાતાવરણ ફેલાવીને તાજગી આપે છે. આ કુદરતી આનંદની ઉજવણી માટે ગુડીપડવાનો તહેવાર યથાર્થ છે. ગુડીપડવો આ આનંદકારક મોસમી ફેરફારને યથાર્થ રીતે રજૂ પણ કરે છે.
મહાન ભારતીય ગણિતશાસ્ત્રી ભાસ્કરચાર્યના જણાવ્યા મુજબ ગુડિપડવાના દિવસે સૂર્યનો ઉદય એ નવા વર્ષનો પ્રારંભ છે કારણ કે પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણાનું એક વર્ષ પૂર્ણ કરે છે. ઉંચ્ચ તાપમાન પ્રારંભ થવાને કારણે કદાચ માનવો માટે થોડી અગવડતા કે સમસ્યા ગણી શકાય પરંતુ આ રીતે પૃથ્વી ચાર્જ થાય છે જે સમગ્ર સુખાકારી માટે જરૂરી છે.
ઐતિહાસિક રીતે “ગુડીપડવો” રાવણ પર ભગવાન રામની જીત અને ત્યારબાદની ખુશી અને ઉજવણીનું પ્રતીક છે. વિજયનું પ્રતીક હંમેશાં ઊંચું હોય છે, તેથી “ગુડી” ને એક ઉંચ્ચ ધ્વજ તરીકે રખાય છે. ચૌદ વર્ષના વનવાસ બાદ આયોધ્યા પરત ફરેલ રામના રાજ્યાભિષેકની ઉજવણી પણ આ તહેવાર દ્વારા થયેલી એવું માનવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ગુડીપડવાના તહેવારનું વિશિષ્ટ મહત્વ છે. ગુડિપડવો મરાઠી નવું વર્ષ છે. ગુડિપડવો એ વસંતનો તહેવાર છે અને કેટલાક વિશિષ્ટ પાક જેવા કે ઘઉં, જવ, ઓટ, કઠોળ સરસવની લણણી કરવામાં આવે છે. ગુડિપડવાને દિવસે રંગબેરંગી ફૂલો તેમ જ કેરી અને લીમડાના પાંદડાઓની માળા સાથે જરીવાળું રેશનનું કપડુ ખાસ ચાંદી અથવા તાંબાના લોટા સાથે ધ્વજરૂપે મુકવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગુડિપડ્વાનો તહેવારનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે ગુડિ દુષ્ટતાને દૂર કરી, સમૃદ્ધિ અને સારા નસીબને આમંત્રણ આપે છે.
વાસ્તવમાં ગુડી પડવાના ઉત્સવ પાછળ અતિસૂક્ષ્મ વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. આપણે જાણીએ છીએ કે નવરાત્રીના હવન પછી શુદ્ધ થયેલ વાતાવરણ બ્રહ્માંડના શુભ તરંગોને પૃથ્વી તરફ ખેંચી લાવે છે. જેથી દશેરાના આખા દિવસને વણજોયાં મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે હોળીના સાર્વજનિક હવન કે હોલિકાદહન પછી પણ એવી જ શુદ્ધતા વાતાવરણમાં સર્જાય છે. જે બ્રહ્માંડના શુભ તરંગોને પૃથ્વી તરફ લાવે છે. આ દિવ્ય તરંગોને જો એન્ટીના દ્વારા પકડી શકાય તો તેનો વિશેષ લાભ સમગ્ર સમાજ મેળવી શકે. ગુડીપડવાને દિવસે ઉપયોગમાં લેવાતી ગુડી આવા તરંગોને ખેંચવાનું જ કાર્ય કરે છે. એ દ્રષ્ટિએ ગુડીપડવાનો દિવસ શ્રેષ્ઠ મનાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસે વાસના લાકડા પર જરી વાળું રેશમી કપડું બાંધી તેના પર ચાંદી કે તાંબાનો લોટો મૂકી ખડીસાકર, લીમડા કે આંબાના પાન, ફૂલ વગેરે લગાડવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ચાંદી, તાંબુ અને રેશમ વાતાવરણમાં રહેલા હકારાત્મક તરંગોને ખેંચવાની વિશિષ્ટ શક્તિ કે સક્રિય તત્વ ધરાવે છે. આમ ગુડી હકારાત્મક તરંગોને ઘર સુધી પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુડીપડવાના દિવસે વપરાતી ગુડીની બનાવટમાં વપરાતી મુખ્ય ત્રણ વસ્તુઓ જેવી કે ચાંદી, તાંબુ અને રેશમ અનેક વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. જેમકે રેશમ આપોઆપ સ્વચ્છ થવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે તે હવાના સંસર્ગથી સ્વચ્છ થાય છે. રેશમની ભેજ ગ્રહણ કરવાની શક્તિ અદભૂત છે. જેના કારણે અનેક પ્રકારના બેક્ટેરિયાને તે દૂર રાખે છે. રેશમ નકારાત્મક તરંગો સાથે અપાકર્ષણ અને હકારાત્મક તરંગો સાથે આકર્ષણ ધરાવે છે. જેથી કલ્યાણકારી તરંગોને તે ઝડપથી આકર્ષે છે. જેનો લાભ કુટુંબ અને સમાજ તેના ઉપયોગ દ્વારા લઇ શકે છે. એ જ રીતે તાંબુ અતિ ક્રિયાશીલ ધાતુ છે. તાંબુ પાણીનું શુદ્ધિકરણ અન્ય ધાતુઓની સરખામણીમાં ખૂબ જ ઝડપથી કરે છે. તાંબામાં ગ્રાસ્પિંગ પાવરનો ગુણ છે. જે હકારાત્મક તરંગોનો સંગ્રહ મહત્તમ કરી શકે છે. એ જ પ્રકારનો ગુણ ચાંદી પણ ધરાવે છે. ગુડિપડવાના તહેવારમાં લીમડો અને કેરીના પાનનું મિશ્રણ ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. બંને છોડમાં ઘણા ઔષધિય મૂલ્યો છે. બંને છોડમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-ટોક્સિન, એન્ટી ફંગલ ગુણધર્મો છે. લીમડાનો ઉપયોગ ગ્રામજનો દ્વારા ચિકન પોક્સના ઇલાજ માટે, વાયરલ ફિવર, મેલેરિયા, ડાયાબિટીઝ મેલીટસની સારવાર માટે પણ કરવામાં આવે છે.
ટૂંકમાં ગુડીપડવાના દિવસે આવી વિશિષ્ટ ગુડીના ઉપયોગ દ્વારા બ્રહ્માંડની દિવ્યશક્તિને પોતાના તરફ આકર્ષવાના કાર્યમાં વિલંબ ન કરતા વૈજ્ઞાનિક સમજણ સાથે, ઈશ્વરકૃપાના આહ્વાવન દ્વારા કુટુંબ અને સમાજને હકારાત્મક અને શુદ્ધ બનાવતું કાર્ય કરવાનું ચૂકશો નહીં.



















































