કોરોના મહામારીને આજે એક વર્ષ પૂરું થયું છે અને મને હવે એવું લાગી રહ્યું છે કે કોરોના એ કદાચ હજુ કશું જ હકારાત્મક આપણને શીખવાડ્યું નથી. આમ તો કોરોનાની શરૂઆતમાં મેં અનેક કોરોના ને લગતા પોસિટીવ આર્ટીકલ લખેલા જે લોકોએ અનહદ પસંદ પણ કરેલા. આપણે બધા લગભગ એક વર્ષ સુધી એવું બોલતાં અને સમજતા પણ રહ્યા કે કોરોના એ ઘણું બધું શીખવાડી દીધું છે. પરંતુ ખબર નહીં હવે મને એવું લાગી રહ્યું છે કે માણસ ક્યારેય કશું કાયમી ધોરણે શીખતો જ નથી. કટોકટીના સમયે મજબૂરીમાં હંગામી ધોરણે જરૂરી એવું કંઈ શીખે છે અને થોડા સમય પછી પાછો તે બધું ભૂલી હતો એવો ને એવો થઈ જાય છે.
અનહદ નકારાત્મકતા કોરોનાકાળમાં વર્તમાન સમયે અનુભવાઇ રહી છે. આપણે દરેક સતત કોરોના સંક્રમણ અંગે દોષનો ટોપલો બીજા પર ઢોળતા રહીએ છીએ. અનેક લોકોને તમે વાતો કરતા સાંભળ્યા હશે કે ચૂંટણીના કારણે કોરોના વધ્યો છે, વળી લોકો એમ પણ માને છે કે ચૂંટણી યોજવા માટે સરકારે કોરોના સંક્રમણ ડેટા છુપાવ્યા હતા અથવા ખોટા જાહેર કર્યા હતા. ક્યારેક તો થાય કે કોરોના સંક્રમણ અટકાવવા સરકાર જો કડક પગલાં જેવા કે હેવી પેનલ્ટી, લોકડાઉન અમલમાં મૂકે તો તે મેજોરીટી લોકોને માફક આવતું નથી કેમ કે બંનેમાં આર્થિક ફટકો પડે છે અને પૈસા વગરનું કે ઓછા પૈસાવાળુ જીવન કદાચ આપણને સૌને માફક આવતું નથી અથવા કહો કે આપણે તે માટે ટેવાયેલા નથી. હવે કામ પણ ન કરવું પડે અને આવક પણ અવરોધાય નહીં એ કેવી રીતે શક્ય બને?
સામાન્ય રીતે કોઈપણ ઓથોરિટી ઈમોશનલ નિર્ણયો લે તે જનસમુદાયને પસંદ પડતું હોય છે પરંતુ ખૂબ વ્યવહારિક કે સમગ્રની દ્રષ્ટિએ વિચારીને કોઈ કડક નિર્ણય લેવામાં આવે તે વ્યક્તિગત ધોરણે કદાચ પસંદ ન પડવાની શક્યતા વધી જતી હોય છે. જેમ કે ટ્રમ્પે જે તે સમયે દેશનો વિકાસ રુંધાઈ નહીં તે હેતુથી લાંબા સમય માટે લોકડાઉનને પસંદ નોહતો કર્યો તો લાગણીની દ્રષ્ટિએ તે નિર્ણય ટીકાપાત્ર બન્યો કે દેશના પ્રમુખને પ્રજા કરતા વધુ રસ આર્થિક સધ્ધારતામાં છે અને નરેન્દ્ર મોદીએ પોતાની પ્રજાને સંક્રમણથી બચાવવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું તે ટૂંકા ગાળા માટે સરાહનીય બન્યું. પરંતુ ભારત જેવા વિકસતા ગરીબ દેશ માટે આજીવિકાનો પ્રશ્ન મોટો છે અને દેશની મોટાભાગની ગરીબ પ્રજા રોજનું કમાવવા વાળી પ્રજા માટે લોકડાઉન કદાચ કોરોના કરતાં વધુ જોખમી સાબિત થવાના ભય લોકડાઉન ખોલવું જરૂરી બન્યું. આપણે એવા ઘણા વિડીયો કે સમાચાર જોયા હશે કે જેમાં કારીગર કે મજૂર વર્ગના લોકો એ કહ્યું કે ઘરમાં રહીશું તો ભૂખથી મરીશું અને બહાર નીકળીશું તો કોરોનાથી, પરંતુ બહાર નીકળી કોરોના સંક્રમણથી બચવાની સંભાવના ખરી પરંતુ ઘરમાં રહીને તો ચોક્કસ ભૂખથી મરવાનું જ છે. વળી આટલી મોટી વસ્તી ધરાવતા દરેક માટે કાયમી ધોરણે સહાય સરકાર માટે લગભગ અશક્ય જેવી વાત છે. જેથી કોઈક નિર્ણય પર તો આવવું જ પડે અને એને સમજવાની અને સ્વીકારવાની થોડીક આંતરિક તૈયારી દેશના દરેક નાગરિકે દર્શાવી પડે.
હવે વાત કરીએ અમીરો કે સુખી પરિવારની તો જેટલી જરૂર ગરીબોને આવકની છે તેટલી જ આવકની જરૂરિયાત અમીર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોની પણ હોય એ તો સમજવું જ રહ્યું. અરે કરોડોનો બિઝનેસ ધરાવતા લોકોના ઓવરહેડ ખર્ચા પણ એટલા જ ઊંચા હોય છે તેમણે પણ ખૂબ લાંબા સમય સુધી ઉત્પાદન કે વ્યવસાય બંધ રાખી ઝીરો આવક સાથે વેપાર-ધંધાના ફિક્સ ખર્ચાઓ સહન કરવા શક્ય નથી લગભગ દરેકનું મંતવ્ય છે કે મલ્ટિપ્લેક્સ, મોલ, શાળા-કોલેજો, ગાર્ડન-પાર્ક કે જ્યાં મોટી સંખ્યામાં લોકોનું ગેધરીંગ થાય છે તે જગ્યા ન ખોલવી જોઈએ. પરંતુ મને લાગે છે કે એ વિચારવું પણ એટલું જ જરૂરી છે કે આ બધા પણ આખરે તો વેપાર-ધંધા જ છે, જે બંધ થવાથી પણ કોઈને કોઈ કુટુંબ પર અવશ્ય અસર પડશે. માત્ર ગરીબ તરફ જોયા કરવાની કે સમાજના એક જ વર્ગ તરફ સહાનુભૂતિ રાખવાની આદત હવે બદલવાનો સમય પાકી ગયો છે. એ તો સર્વવિદિત છે કે દુનિયાના દરેક ગરીબઘરમાં રોટલો કે આવક કહેવાતા પૈસાદાર વેપારીવર્ગ કે વેપારધંધામાંથી જ આવે છે. તેઓના વેપાર-ધંધા ખતમ થતાંની સાથે જ આપોઆપ દેશના તમામ નોકરિયાત વર્ગ પર અસર અવશ્ય પડશે.
સરકાર જેટલી ખમતીધર પાર્ટી પણ જો હવેના સમયમાં શિક્ષણ-હેલ્થ જેવા બીજા અનેક અનિવાર્ય ક્ષેત્રોમાંથી કે બીઝનેસમાંથી પીછેહઠ કરતી હોય તો બીજા સામાન્ય લખપતિ કે કરોડપતિ પણ productive કાર્ય વગર સતત પગાર ચાલુ રાખીને કેવી રીતે જીવી શકશે. આપણા દરેકનો એક સૌથી મોટી મર્યાદા એ છે કે આપણને અન્યની તકલીફ જોવાની આદત જ નથી. માત્ર પોતાની સમસ્યાઓને દૂર કરવામાં રસ છે અને તે પણ જો અન્યની સમસ્યાઓ વધારીને દૂર થતી હોય તો પણ આપણને તેમાં ખાસ વાંધો નથી. સાચું પૂછો તો અન્યની તકલીફો વધારીને આપણી દૂર કરવાની આવડત આપણને માફક આવી ગઇ છે. ક્યાંસુધી અન્યને દોષ આપી પોતાની જાતને justify કર્યા કરીશું.
કોરોના સિવાયની અન્ય સમસ્યા કે અન્ય બિમારીઓના આંકડા તેમજ વાર્ષિક મૃત્યુદર ધ્યાન પર લેવામાં આવે તો સમજાશે કે તે કોરોના કરતા અનેકગણા છે, છતાં ચોવીસ કલાક માત્ર કોરોનાની જ ચર્ચા અને કોરોનાનો ડર શા માટે? કોરોનાને નામે આપણે સમગ્ર સમાજને સાયકીક બનાવી દીધો હોય તેમ લાગે છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાના નામે માનસિક બીમારી અને અશક્તિ જોવા મળે છે. દરેક ઘરમાં બાળકો અને કાચી વયના યુવાનોમાં ડરના કારણે સાયકોલોજીકલ કેસ વધ્યા છે. જે આવનાર સમયમાં સમાજ માટે મોટું જોખમ બની શકે. શરુવાતમાં મને લાગતું કે કોરોનાને કારણે ઘરમાં રહેવાથી અનુકૂળતાને લીધે કુટુંબ સાથે ક્વોલિટી ટાઇમ મળશે, પ્રેમભાવનું વાતાવરણ સર્જાશે અને કંઈક ઉત્તમ થશે. પરંતુ માતા-પિતા બાળકો પતિ પત્ની વગેરે વચ્ચેના ઝગડાઓ અને સંઘર્ષ કોરોનાકાળમાં અતિશય વધ્યો છે એ તો સર્વવિદિત હશે જ કેમકે ચોવીસ કલાક કોઈ કામ વગર સતત ઘરમાં રહેવાનું કિસ્મત સર્જાયું છે અને આપણે જાણીએ છીએ દરેક રીલેશનમાં એક અનિવાર્ય સ્પેસની આવશ્યકતા રહે છે. જેમ દેશમાં દરેક એકબીજા પર દોષારોપણ કરે છે તે જ રીતે કુટુંબના સભ્યો પણ દરેક પીડાઓ માટે એકબીજાને જવાબદાર કે દોષી સમજી રહ્યા છે. કોઇપણ સમસ્યા માટે સતત અવિરત એકબીજાને દોષી સમજી ટીકા ટીપ્પણી કરતા રહેવાથી સમસ્યાનું નિવારણ શક્ય નથી.
મને લાગે છે વર્તમાન સમયે દરેકે કમ-સે-કમ એક બાબત તો નક્કી કરવી જ પડશે કે જીવનમાં કોરોના સંક્રમણ (શારીરિક તકલીફો) થી બચવું છે કે આવક અને રોજગારી-ધંધાને જતા કરવા છે. આજે એવી પરિસ્થિતિ છે કે જેનો પગાર કપાતો નથી તેવા લોકો લોકડાઉનની તરફેણ કરે છે પરંતુ જેને નોકરીનું જોખમ છે તે લોકડાઉન યોગ્ય હોવાની રજૂઆત કરે છે. તમને નથી લાગતું સરકારે એક વિકલ્પ દરેકને આપવો જોઇએ અને દરેક વેપારધંધામાં પણ એવો વિકલ્પ પ્રાપ્ય હોવો જોઈએ કે સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી વ્યક્તિની (નોકરીને સંપૂર્ણ સલામતી અંતર્ગત) કપાત પગાર કે અડધા પગારની વ્યવસ્થા રહે, વ્યક્તિને જ્યારે વાતાવરણ સલામત લાગે ત્યારે નોકરી પુનઃ જોઈન્ટ કરી શકે અને જેને સ્વાસ્થ્ય સંબંધી જોખમ લેવામાં વાંધો નથી તે નીતિ-નિયમોના કડક પાલન હેઠળ કાર્યરત રહી શકે.
આજની શિક્ષિત દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું ભલું-બુરું વિચારવા માટે સક્ષમ છે એ દૃષ્ટિએ નિર્ણય વ્યક્તિગત ઈચ્છા પર છોડી દેવો જોઇએ. ભગવાન પણ કોઇની વ્યક્તિગત ઈચ્છામાં માથું મારતો નથી. તેણે પણ જીવમાત્રને કર્મ કરવાની અને પોતાની દુનિયા પસંદ કરવાની સ્વતંત્રતા આપેલી છે. તે જ કાર્ય દેશની તમામ ઓથોરિટી કરી શકે. વાસ્તવમાં તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ નિયમો બે વ્યક્તિ માટે અલગ બને છે જેમ કે માસ્ક વગર ફરવા માટે એક વ્યક્તિને (સામાન્ય હોવાના કારણે) હજાર રૂપિયા દંડ ભરવો પડે અને બીજી વ્યક્તિ (ખાસ હોવાને કારણે) 500 ભરે ત્યાંથી સંઘર્ષ શરૂ થાય છે. વળી એક બંધ કારમાં જો એક જ વ્યક્તિ સફર કરતી હોય તો તેના માટે માસ્કનો આગ્રહ યોગ્ય લાગતું નથી. પરંતુ સામાન્ય રીતે જ્યારે કોઈ બાબત આપણને ન સમજાય કે યોગ્ય ન લાગે ત્યારે વિરોધનું કારણ મળી જતું હોય છે. પરંતુ જીવનમાં બધું જ સમગ્રની દ્રષ્ટિએ સમજાય એ જરૂરી નથી અને આપણને ન સમજાય તે ખોટું જ હોય તે પણ જરૂરી નથી. એટલા માટે કમસે કમ એકબીજા પર દોષારોપણ કરવાનું તો અવશ્ય બંધ કરવું જોઈએ.
સરકાર પ્રજા પર અને પ્રજા સરકાર પર સતત અવિરત દોષારોપણ જ કર્યા કરશે તો પરિણામ મળવું મુશ્કેલ છે કેમ કે દેશ તો બંનેનો એક જ છે. વળી બંને (પ્રજા અને સરકાર) એક જ દેશના નાગરિક હોવાને નાતે એક જ કુટુંબના સભ્યો કહી શકાય. વળી કોરોના ચેપી રોગ છે જે આપણે સૌ જાણીએ છીએ જેથી કુટુંબના એક સભ્યને સંક્રમિત કરશે અને બીજાને છોડી દેશે તેવું તો બનવાનું નથી, તો પછી એકબીજા પર દોષારોપણ કરી સમાજની નેગેટિવિટીમાં વધારો શા માટે કરવો જોઈએ? જીવનમાં વ્યક્તિગત ધોરણે કે સમગ્રની દ્રષ્ટિ એ ક્યારેય કોઈ સંપૂર્ણ સાચું હોતું જ નથી અને અન્યને ખોટા સાબિત કરવાથી સમસ્યાનું નિવારણ થઈ પણ શકતું નથી. હા પોતાના અંગત વ્યક્તિ તરીકે કોઈની ભૂલ તરફ વિનમ્ર ઈશારો અવશ્ય કરી શકાય જેથી કદાચ જો તેને સમજાય તો સમગ્રનું રક્ષણ શક્ય બને.
જો ચૂંટણીને કારણે કોરોના વધ્યો એમ આપણે માનતા હોઈએ અને સરકારે ચૂંટણી મોકૂફ ન રાખી તો આપણે સંયુક્ત રીતે ચૂંટણી બહિષ્કાર કરી શક્યા હોત. ચૂંટણી પ્રક્રિયાથી દુર પણ રહી શક્યા હોત. તે જ રીતે ક્રિકેટ મેચને કારણે કે તહેવારો કે લગ્ન પ્રસંગોને કારણે જો આપણને લાગતું હોય કે કોરોના સંક્રમણ વધ્યું તો આપણે દરેક વ્યક્તિગત ધોરણે તમામ પ્રક્રિયાથી દુર અવશ્ય રહી શકીએ. કેમકે જો બધા જ કૂવામાં પડતા હોય તો આપણે પણ પડવું જરૂરી નથી, એટલી સમજણ અને મેચ્યોરિટીની અપેક્ષા તો ભણેલા ગણેલા માણસ પાસે રાખી જ શકાય. સરકારે મોલ-મલ્ટિપ્લેક્સ ખોલ્યા પરંતુ આપણે તેનાથી દૂર રહી શકીએ. પરંતુ મનોરંજનનું વધુ પડતું ગાંડપણ આપણને છે જેને સંયમિત આપણે કરી શકતા નથી અને પછી પોતાની પીડાનો દોષ અન્યને શિરે ખસેડીએ છીએ. જે મને તો કોઈ રીતે યોગ્ય લાગતું નથી.
મને લાગે છે કદાચ અન્યને દોષ દેવાથી આપણે એક છૂપી ખુશી અને નિરાંત અનુભવીએ છીએ કે વાંક મારો નથી જેથી સતત અવિરત જાણે-અજાણે પળે-પળે કૌટુંબિક જીવનમાં કે વ્યાવસાયિક જીવનમાં અન્યને દોષ દઇ, અન્યની ટીકા કરી આપણે વિકૃત નિરાંત અનુભવીએ છીએ. આવી બિમાર માનસિકતા બદલવી જોઈએ કેમકે નિર્ણય લેનાર ઓથોરિટી પણ મૂળભૂત રીતે એક વ્યક્તિ કે મનુષ્ય છે, જેનામાં પણ આપણા જેવા જ ગુણો અને માનસિકતા રહેવાની. વાસ્તવમાં વર્તમાન તકલીફ કોરોનાની નથી પરંતુ અન્યને દોષી સમજવાની આપણી મૂળભૂત આદત કે સ્વભાવની ગુલામીની છે. વિષયોની ભૂખ, ધનની ભૂખ એ હાઈટની છે કે હવે આપણને જો આપણે પોતે નહિ બચાવીએ તો ભગવાન પણ બચાવી નહિ શકે. જીભ કે સ્વાદ એ હદનો બેકાબુ બન્યો છે કે જંકફૂડની લારી કોરોનાકાળમાં પણ ખાલી જોવા મળી નથી. રેસ્ટોરન્ટનો શોખ હજુ જતો નથી કેમકે આ તમામને આપણે જીવનનું સુખ સમજી બેઠા છીએ અને તે મેળવવા ફાંફાં મારીએ છીએ. જંકફૂડ ખાધા પછી તબિયત બગડે તો સરકારને દોષ દઈએ છીએ કે કોરોના જેવા કપરાકાળમાં ખરેખર સરકારે આ બધું બંધ કરી દેવું જોઈએ. પરંતુ મને થાય કે સરકાર ભલે ને ચાલુ રાખે આપણે આપણી જીભ કે સ્વાદ પર કાબુ રાખીયે એવું ન બની શકે. જો સરકાર આ તમામ રોજગાર ધંધા બંધ કરે તો લોકો કહેશે કે સરકારને કોઈના રોજગાર ધંધાની પરવા જ નથી. આ તો એવી વાત થઇ કે પ્રોબ્લેમ આપણો છે જે ગર્ભિત રીતે આપણે જાણીએ છીએ પરંતુ પોતાની નબળાઈ છુપાવવા અન્યને દોષ દઇ લોકોની નજરમાં સારા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રકારની વ્યક્તિગત દંભવૃત્તિ (સરકાર અને પ્રજા બંનેની) કોઈ રીતે યોગ્ય નથી એટલું તો હું ચોક્કસ કહીશ.
ડાયાબિટીસ આપણને થયો છે જેનાથી બચવા ગળપણ આપણે છોડવું પડે આ તો ડાયાબીટિસથી બચવુ છે પણ ગળપણ છોડવું નથી એ કેમ બને. એ જ રીતે જો કોરોનાથી બચવું હોય તો આપણે જ નીતિ-નિયમો પાળવા પડે. જ્યાં સુધી વ્યક્તિ નહીં સુધરે ત્યાં સુધી સમાજ કદી સુધરી નહીં શકે કેમ કે સમાજ એટલે કોણ? સમાજ એટલે તમારા ને મારા જેવા વ્યક્તિઓનો સમૂહ. સમૂહને બદલવા માટે શરૂઆત તો વ્યક્તિથી જ થવી જોઈએ અથવા કરવી પડે. આમ દોષારોપણ કરવાને બદલે પોતાની જાતથી પરિવર્તન શરૂ કરવું વધુ સલાહભર્યું છે અને એનાથી પરિણામ ધાર્યા બહારનું મળશે એની મને ખાતરી છે. આપણે બધા (સરકાર કે પ્રજા, એમ્પ્લોયર કે એમ્પ્લોઈ) અંતે તો એક જ કોમ્યુનિટી (માનવસમાજ) ના સભ્યો છીએ, એકને ખતમ કરી બીજાનું અસ્તિત્વ અવશ્ય જોખમમાં રહેશે. કમ-સે-કમ કંઇ ન થઈ શકે તો એકબીજા પર દોષારોપણ કરવાની આદતથી મુક્ત બનીએ.
આમ તો યુગોથી અનેક લેખકો અને તત્વચિંતક લખ્યા જ કરે છે કે સમજાવ્યા જ કરે છે છતાં સમાજમાં આજ સુધી કોઈ ફરક પડયો નથી એ હું જાણું છું છતાં એક આશા સાથે લખ્યા કરું છું કે કદાચ ક્યારેક હૃદય પરિવર્તન થશે અને મનુષ્ય પોતાની જ જાળમાંથી મુક્ત બનશે.
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ


















































