ઈશ્વર નામસ્મરણથી પરમાત્મામાં સ્થિતિ થાય છે એટલે કે ઇશ્વરમાં એકાકાર થઈ શકાય છે. પૂર્ણ શ્રદ્ધા સાથે થતાં નામસ્મરણથી પરબ્રહ્મમાં સ્થિરતા કે એકાગ્રતા પ્રાપ્ત કરવી સરળ અને શક્ય બને છે. જે વૈરાગ્ય, સંયમ અને અવિરત અભ્યાસ જેવા સાધનો દ્વારા પણ સંભવ છે. આપણે સૌ જાણીએ છીએ કે જન્મ-મરણના ફેરા પાછળ મુખ્યત્વે અજ્ઞાન, અહંકાર અને રાગ-દ્વેષ જવાબદાર છે કેમ કે આવા કષાયો કર્મફળ પેદા કરે છે, જે જન્મ-મરણના ફેરા માટે જવાબદાર છે. મુક્તિ માટે દુર્ગુણો પર નિયંત્રણ આવશ્યક છે. જે વૈરાગ્ય, સંયમ અને અભ્યાસ દ્વારા શક્ય છે. જ્યાં સુધી સંસારના વિષયોમાં રસ છે, ઇન્દ્રિયો ભોગવૃત્તિમાં લીન છે અને પરબ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા જન્મી નથી ત્યાં સુધી પરમાત્મામાં સ્થિત શક્ય નથી. વળી વૈરાગ્ય જન્મ્યા પછી પણ સતત સંયમનો અભ્યાસ તેમ જ સાતત્યયોગની આવશ્યકતા તો રહેલી છે જ નહિ તો ભટકી જવાનો, ભૂલા પડવાનો કે લપસી જવાનો ભય રહ્યા કરે છે. એટલા માટે પરબ્રહ્મની પ્રાપ્તિ અર્થે શાસ્ત્રો વૈરાગ્ય, સંયમ અને સાતત્યપૂર્ણ અભ્યાસની સલાહ આપે છે જે ખૂબ તાર્કિક છે. આ ત્રણે બાબતોમાં કુશળતા પ્રાપ્ત થયા બાદ જીવને ઈશ્વર સુધી પહોચતા કોઈ રોકી શકતું નથી. જે નામસ્મરણથી સહજ બને છે. એકની એક વાતનું પુનરાવર્તન કરો તો તે આવડી જાય જેને અભ્યાસ કહેવાય અને જેના પર ખુબ પ્રેમભાવ હોય ત્યા મન સ્વાભાવિક રીતે ચોટેલું રહે છે. આમ સતત નામસ્મરણના પુનરાવર્તનથી ઈશ્વર તરફની એકાગ્રતા અને પ્રેમ વધે છે. અન્ય તરફ વૈરાગ્યની ભાવના વિકસતા આપોઆપ ઈશ્વર તરફનો પ્રેમ વધે છે અને પરમાત્મામાં એકાગ્રતા સધાય છે. દરરોજ અડધો કલાક સંસારને ભૂલી પ્રભુ સાનિધ્યમાં રહેવું આત્મા માટે ઉપકારક છે. સવારથી રાત સુધી જે કોઈ કર્મો આપણે હાથે થાય તે દરેકમાં ઈશ્વરનું અનુસંધાન હોવું જોઈએ. ઊઠવું ઈશ્વરના નામથી, સ્નાન ઇશ્વરના નામ સાથે, ભોજન ઈશ્વરને સમર્પિત કર્યા બાદ ગ્રહણ કરવું તેમજ અન્ય તમામ કામો કરતાં પ્રભુના નામથી દૂર થવું નહીં. અવિરત હરિનામસ્મરણ ઈશ્વરપ્રણીધાન કે પરમાત્મામાં સ્થિતિ માટે ખૂબ ઉપયોગી છે. ટૂંકમાં દરેક કર્મમાં ભક્તિ ભેળવવાની વ્યવસ્થા એટલે ઈશ્વર નામસ્મરણ

ઈશ્વર નામસ્મરણ એટલે માત્ર યાંત્રિક રટણ નહીં. સ્મરણનો મતલબ છે કંઈ પણ કરતાં પહેલા ઈશ્વરને યાદ કરવા અને દરેક જગ્યાએ ઈશ્વરની હયાતીનો અહેસાસ કરવો તેમજ દરેક કર્મોમાં ઈશ્વરનો ડર રાખવો કેમ કે ઈશ્વર વગરનું જગતમાં કોઈ સ્થાન જ નથી. જેના કારણે વ્યક્તિ પાપ કરતા અટકે છે. આમ પણ આપણા સૌનો અનુભવ છે કે આપણને કોઈ જોતું હોય ત્યારે આપણે ખૂબ સારા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર આપણને અને આપણાં કર્મોને અવિરત નિહાળે છે એવા ભાવથી દુષ્કૃત્ય થતું અટકે છે. સતત નામસ્મરણથી જીવ અને ઈશ્વર વચ્ચે પુલ તૈયાર થાય છે જે ઝડપથી ઈશ્વર સુધી પહોચડે છે. ઓછામાં ઓછું ત્રિકાલસંધ્યા તો કરવી જ જોઈએ. જેમાં દિવસમાં ત્રણવાર ઈશ્વરને યાદ કરવાના હોય છે. સવારે ઉઠતાની સાથે કે હે ઈશ્વર તે મને ઉઠાડયો તે બદલ આભાર, હવેનો આખો દિવસ તને સમર્પિત, યોગ્ય કરવાની સમજણ અને શક્તિ આપજે અને ક્ષણે-ક્ષણે મારી સાથે રહેજે. ત્યારબાદ બપોરે જમતા પહેલા કે હે પ્રભુ તે મને અન્ન આપ્યું, ભૂખ આપી અને પચાવવાની શક્તિ આપી તે બદલ તારો આભાર અને તારું આપેલું તને સમર્પિત. અંતે રાત્રે સૂતા પહેલા જાણે-અજાણે થયેલ ભૂલોની માફી માંગી, પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરવી. જેથી સારી ઊંઘ આવે અને સ્વસ્થતા વધે.
સામાન્ય રીતે આપણા કોઈપણ કાર્યોમાં, આચરણમાં, પ્રયત્નોમાં, ચિંતનમાં (કર્મયોગમાં) અનેક પ્રકારની ખામીઓ, ત્રુટિઓ અને વિગુણતા રહી જાય છે. આવી તમામ ન્યૂનતા કે ખામીની પૂર્તિ હરિનામસ્મરણથી થાય છે એટલે કે નામથી ખૂટતું પુરાય છે. કોઈપણ પ્રકારના કર્મોમાં ત્રુટીઓ કે ખામી પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે કર્મ કરતી વખતે બેધ્યાનપણું, કર્મ કરવામાં પ્રમાદ, જ્ઞાનની ઉણપ એટલે કે ઊંડી સમજણ વગર કર્મ કરવાની આદત વગેરે અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ પ્રકારની કમી, ત્રુટી કે ખામીનું ફળ તો ભોગવવું જ પડતું હોય છે જેમ કે ખેતરમાં વાવણી કરતી વખતે કોઈ ઉણપ રહી જાય તો પાકમાં તે અવશ્ય દેખાશે. નામસ્મરણથી દરેક કાર્યની કમી કે ખામી પુરાય છે અને ગુણવતી બની જાય છે. આમ નામસ્મરણની વિશેષતા એ છે કે તેના પ્રતાપથી કર્મયોગની અપૂર્ણતા પુરાઈ જાય છે.
નામસ્મરણ સાધકની આંતરિક સાધનાને પૂર્ણ કરે છે. હરીનામથી આંતરિક અને બાહ્ય બંને પ્રકારના સદગુણ સધાય છે. નામસ્મરણ એટલે આપણા એકેએક કાર્યનો ઈશ્વર સાથે સંબંધ જોડવો. આપણે જ્યારે આપણા દરેક કાર્યને ઈશ્વર સાથે જોડીયે છીએ ત્યારે જીવનમાંથી ચિંતા, રાગ-દ્વેષ વગેરે ખતમ થાય છે. વળી નામસ્મરણ સૌથી સુલભ, ઉત્તમ અને સહેલામાં સહેલી પ્રક્રિયા છે જે દરેક માટે સરળ છે અને વધારે ઝડપી પરિણામ લાવનાર છે. જીવનની દરેક દૈનિકક્રિયા જેવી કે ખાવું-પીવું, ઊંઘવું, ન્હાવું-ધોવું વગેરે ઈશ્વર સાથે સાંકળી લેતા સમગ્ર જીવન દિવ્ય બની જાય છે. શાસ્ત્રો અનુસાર કર્મવિપાકને તોડનારી જો કોઈ પ્રક્રિયા હોય તો તે નામસ્મરણ છે જે ઈશ્વરપ્રાપ્તિનો ઉત્તમ, ઝડપી અને સરળ માર્ગ છે.
નામસ્મરણ અંગે અમેરિકામાં થયેલ અનેક સંશોધનો અન્વયે હજાર-હજાર વ્યક્તિઓના ચાર ગ્રુપ ઉંમર અનુસાર જુદા પાડવામાં આવ્યા અને દરેક ગ્રુપને માત્ર બાર મિનીટ દરરોજ આઠ અઠવાડિયા સુધી નિયમિત પોતાના ઇષ્ટદેવનું નામસ્મરણ કરવાનું જણાવવામાં આવ્યું ત્યારબાદ શરીર અને મનના પરીક્ષણ દ્વારા એટલે કે વૈજ્ઞાનિક ટેસ્ટ દ્વારા જાણવા મળ્યું કે પ્રથમ ગ્રુપના (બાર વર્ષથી નાના) બાળકોની યાદશક્તિમાં પચ્ચીસ ટકાનો વધારો થયો. બીજું ગ્રુપ કે જે યુવાન તરુણોનું હતું જેની ઉમર તેરથી પચ્ચીસ સુધીની હતી તેમનામાં આત્મવિશ્વાસ પંદરથી પચ્ચીસ ટકા વધ્યો. ત્રીજું ગ્રુપ કે જે પચ્ચ્સીથી પચાસની વયનું હતું તેમનામાં સમસ્યાઓ સહન કરવાની શક્તિમાં પંદરથી પચ્ચીસ ટકાનો વધારો જણાયો અને સીનીયર સીટીઝનના ગ્રુપની રોગપ્રતિકારકશક્તિમાં સત્તર-અઢાર ટકાનો વધારો જણાયો. આમ વૈજ્ઞાનિક સંશોધનો સાબિત કરે છે કે ખૂબ ઓછા સમય માટે કરેલું ઈશ્વર નામસ્મરણ પણ અકલ્પનીય ફાયદો કરે છે. તો વિચારો સતત અવિરત શાસ્ત્રોની આજ્ઞા અનુસાર કરેલું પ્રભુસ્મરણ કેટલું લાભદાયી નીવડી શકે? તમે જ વિચારો યાદશક્તિ, સહનશક્તિ, આત્મવિશ્વાસ અને રોગપ્રતિકારકશક્તિથી વિશેષ અગત્યનું જીવનમાં બીજું શું હોઈ શકે? કેમ કે તમામ પ્રકારની સફળતા આ ચાર ગુણો દ્વારા સરળ અને સહજ બને છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જીવનમાં સુખ-શાંતિ, સફળતા, સમૃદ્ધિ અને સંરક્ષણ માટેની જો કોઈ પૂર્વશરત હોય તો તે ઈશ્વરનામસ્મરણ છે.
ઉત્તમ શબ્દો કે નામની વિશિષ્ટ ગોઠવણથી શક્તિશાળી મંત્રો તૈયાર થાય છે જે જીવની શક્તિમાં વધારો કરે છે. મંત્ર મનુષ્યને દુઃખમુક્ત કરવાની શક્તિ ધરાવે છે. મંત્રમાં બે અક્ષર હોય છે – ‘મન’ જેનો અર્થ છે વિચારવું અને ‘ત્ર’ નો અર્થ છે મુક્ત કરવું. આમ મંત્રનો અર્થ થાય છે એક વિચાર જે મુક્ત કરે. ધર્મોમાં મંત્રને મુક્તિનો કારક માન્યો છે. મંત્ર પવિત્ર નામો અથવા શ્રુતિઓનો એક એવો સમૂહ છે જેની વિશિષ્ટ સંરચના લોહચુમ્બકની જેમ આધ્યાત્મિક શક્તિને આકર્ષે છે. મંત્રમાં સર્જન તેમજ વિનાશ કરવાની શક્તિ છે. જો કોઈ મંત્ર પવિત્રતાપૂર્વક, સાચી રીતે અને આનંદપૂર્વક બોલવામાં આવે તો તમે જેને બોલાવો છો તે અસ્તિત્વને તમારા તરફ આકર્ષિત કરે છે. મંત્રોનું ઉચ્ચારણ આધ્યાત્મિક શક્તિઓને અંતરમાં કેન્દ્રિત કરે છે અને પરિણામે કુંડલીની શક્તિ (શરીરમાં રહેલી નિષ્ક્રિય સુષુપ્ત શક્તિ) જાગૃત થાય છે. મંત્રોચારની પ્રક્રિયા નિયમિત અને અવિરત કરવામાં આવે તો ત્રીજું નેત્ર (પ્રજ્ઞાબુધ્ધિ) ઉઘડે છે જે મુક્તિ કે મોક્ષનો પ્રવેશદ્વાર ખોલી આપે છે. મંત્ર આત્માને દુનિયાની દોડધામમાંથી બહાર લાવી નિમ્ન સ્વત્વને ઉચ્ચ સ્વત્વ સાથે જોડી આપે છે. મંત્ર એ કોઈ સામાન્ય શબ્દ નથી, જયારે કોઈ શબ્દમાં સત્યનુ તત્વ ભળે, સર્વના કલ્યાણની ભાવના ભળે, જેમાં સમગ્ર અસ્તિત્વનો પુકાર હોય ત્યારે તે શબ્દ મંત્ર બને છે. ઈશ્વરનામસ્મરણ મંત્ર સમાન અદભૂત શક્તિ ધરાવે છે. તો આવો આજથી જીવનમાં નિયમ લઈએ કે દરરોજ ઓછામાં ઓછું પંદર મિનિટ એકાંત સ્થાને બેસી મનને શાંત અને વિકલ્પમુક્ત કરી ઈશ્વર નામસ્મરણ અવશ્ય કરીશું.
~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ


















































