માનવસૃષ્ટિમાં બાળક નાનું હોય ત્યારથી જ એને પાપ-પુણ્ય જેવા શબ્દો કાને પડતા હોય છે. યોગ્ય-અયોગ્ય, અપરાધ, ગુનાહિત કાર્યો, do’s and don’ts વગેરેની સમજણ કુટુંબ, સમાજ, શિક્ષણસંસ્થા દ્વારા અપાતી રહે છે. છતાં ભાગ્યે જ કોઈ દેશ કે સમાજ અપરાધ શૂન્ય જોવા મળે છે. આવું કેમ? મારે આજે વાત એવા સાત ખતરનાક કે જઘન્ય અપરાધની કરવી છે જેને કદાચ આપણે પાપ કે અપરાધ તરીકે જોયા ન નથી. અપરાધ કે પાપની તીવ્રતા સમજવા માટે પણ પહેલા એ તો સમજવું પડે કે અપરાધ (પાપ) કહેવાય કોને? ઉપરાંત એવા કયા પાપ કે અપરાધ છે જે આપણે જાણે અજાણે અવિરત કરતા જ રહીએ છીએ? વળી તેની પાછળ કયા કારણો અને પરિબળો જવાબદાર છે?
તો આવો પ્રથમ અપરાધ કે પાપ કોને કહેવાય તે સમજીએ. ત્યારબાદ અતિ તીવ્ર ભયંકર કે જઘન્ય સાત અપરાધ કે પાપનો પરિચય મેળવીએ. જેથી તેના ત્યાગ તરફ અગ્રેસર થઈ શકાય. ધાર્મિક દ્રષ્ટિએ નિષિદ્ધ કર્મ એટલે પાપ. અર્થાત એવા કર્મો કે જે કરવાની શાસ્ત્રો આજ્ઞા નથી આપતા. જે કર્મ કર્યા બાદ વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ કે દુનિયાની પીડામાં વધારો થાય તેવું આચરણ એટલે પાપ કે અપરાધ. ટૂંકમાં આપણા કોઈપણ કાર્ય કે ક્રિયા જો અન્ય માટે બાધક કે દુખદ બને કે જેના દ્વારા તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ તકલીફો અને સમસ્યાઓનું સર્જન થાય તો તેને પાપ કે અપરાધ ગણી શકાય. કારણકે દેશ, દુનિયા કે પરમેશ્વરની સૃષ્ટિના એક ભાગ તરીકે આપણને અન્યને દુખી કરવાનો કોઈ હક નથી અને જો એવું કાર્ય થઈ જાય તો તે ઈશ્વરની નજરમાં માફીને પત્ર નથી તેમ જ સમાજ કે કાયદાની નજરમાં તમે અપરાધી છો. અયોગ્ય કે અભદ્ર વાણી વર્તન કે વિચારની મનુષ્યને છૂટ નથી કેમકે વાણી વર્તન વિચાર વડે જ બે વ્યક્તિ બે કુટુંબ બે સમૂહ કે બે દેશો વચ્ચે સંવાદિતા સધાઈ શકે છે. વાણી-વર્તન-વિચારના પૂર્વનિર્ધારિત નિયમો એ બીજું કાંઇ નહીં પરંતુ સ્વનિયંત્રણના નિયમો છે. જે માનવસમાજને અસલામતી અને અશાંતિથી બચાવે છે. હિંસા, અસત્ય, ચોરી, સંગ્રહ જેવા કર્મોને શાસ્ત્રો નિષિદ્ધ કર્મ કહે છે જે પાપ છે અપરાધ છે.
જીવનમાં વ્યક્તિ જ્યારે સ્વાર્થી બની સિદ્ધાંતોને નેવે મુકે, ચારિત્ર ગુમાવે, આળસુ બની નીતિમત્તાનો ત્યાગ કરે, અન્યાય અને માનવતા વિરુદ્ધનું કાર્ય કરે, કોઈપણ ભોગે સુખ મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે તે પોતાના અને અન્યના જીવનને સ્થિર, શાંત, સ્વસ્થ રાખવામાં નિષ્ફળ નીવડે છે અને પાપ કે અપરાધની ખાઈમાં ડૂબી જાય છે. જે દ્વારા તેનું પોતાનું જીવન તો અસ્થિર, અસલામત, અશાંત, અસ્વસ્થ બને જ છે પરંતુ તેની સાથે જોડાયેલા અનેકના જીવન બરબાદ થઈ જાય છે. વળી તકલીફ તો એ વાતની છે કે વ્યક્તિને મોટેભાગે એની જાણકારી પણ હોતી નથી. સાચું પૂછો તો અક્ષમ્ય એવા સાત જઘન્ય અપરાધ કે જે આપણે અવિરત જાણે-અજાણે કરતા જ રહીએ છીએ ટે નીચે મુજબ છે. જેની જાણકારી ન હોવાને કારણે આપણે તેને અટકાવવાનો પ્રયન્ત કરી શકતા નથી કે કર્યા બાદ પ્રાયશ્ચિત કરવાની બાબતમાં પણ બેદરકાર રહીએ છીએ.
૧) શ્રમ વિનાની સંપત્તિ જે વાસ્તવમાં જઘન્ય અપરાધ છે. કળિયુગની આ સૌથી મોટી આપત્તિ છે કે કોઈને શ્રમ ગમતો નથી. કોમ્પ્યુટરયુગમાં બધું જ બેઠા-બેઠા કરવાની આદત વધી ગઈ છે. આળસ અને પ્રમાદ વધતા દરે વધી રહ્યા છે. પરંતુ સંપત્તિની ઘેલછામાં ઘટાડો થયો નથી એટલે બેઠા-બેઠા વધુ સંપત્તિ એકત્રિત કરવાના પ્રયત્નોમાં હિંસા-જુઠ-ચોરી-કોઈનો હક છીનવી લેવા જેવા પાપકર્મ સ્વભાવિક બન્યા છે. વાસ્તવમાં ઈશ્વરે બનાવેલ માનવશરીરરૂપી યંત્ર શ્રમ કે કાર્ય વગર સ્વસ્થ રહી શકે તેમ છે જ નહીં એ આપણે સૌ જાણીએ છીએ છતાં બેધ્યાન રહીએ છીએ. શ્રમના અભાવમાં કે આળસયુક્ત જીવનમાં સ્વાભાવિક રીતે જ અનેક શારીરિક માનસિક વ્યાધિ વધે છે જે દ્વારા વ્યક્તિની કાર્યક્ષમતા (શારીરિક-માનસિક-બૌદ્ધિક-આત્મિક) ઘટી રહી છે. વળી એ તો સર્વવિદિત છે કે શ્રમવગરની સંપત્તિ કદી સાચો આનંદ આપી શકે નહીં. જેથી જીવનમાં આનંદની પણ કમી વર્તાય છે. કઠિન મહેનતના અંતે મળતું ફળ જેટલું મીઠું લાગે એટલું વગર મહેનતે મળેલું ફળ લાગી શકે નહીં એ વાત કમનશીબે આપણે ક્યારેય સમજી શકતા જ નથી. અંતે આવી શ્રમવગરની સંપત્તિ કાં તો દવાખાનામાં વપરાય છે અથવા અનૈતિક રસ્તે વપરાય છે. જે બંને લક્ષ્મીની અયોગ્ય ગતિ દર્શાવે છે. જે લક્ષ્મી જેવા રસ્તે આવે તેવા રસ્તે જ સામાન્ય રીતે વપરાતી હોય છે એવો આપણા સૌનો અનુભવ છે. કમનશીબે આપણે ક્યારેય શ્રમવગરની સંપત્તિને પાપ કે અપરાધ રૂપે જોઈ છે ખરી? ત્યાં જ આપણી ખામી છે, એ આપણો દ્રષ્ટિદોષ છે કે જેના દ્વારા સમાજમાં વારંવાર પ્રશ્નો સર્જાતા હોવા છતાં આપણે તેને પાપ કે અપરાધ તરીકે સ્વીકારી જ શકતા નથી. જેથી તેને રોકવાનો પ્રયત્ન પણ કેવી રીતે થાય? આ સમાજની એ જ સૌથી મોટી કમનસીબી છે.
૨) આત્મા વિનાનો આનંદ એ પણ સાચું પૂછો તો અક્ષમ્ય કે જઘન્ય અપરાધ છે. જ્યાં આત્માનું અનુસંધાન ન હોય ત્યાં આનંદનો અનુભવ થાય જ કેવી રીતે? એ સમજણ પ્રાપ્ત કર્યા વગર દુનિયાનો કોઈ વ્યક્તિ ખુશ રહી શકે જ નહીં. આત્માની હયાતી જ્યાં હોય ત્યાં જ સ્વયંસિધ્ધ આનંદ ઉદભવી શકે એ વાત કદાચ આપણી સમજણ બહાર છે. એટલે જ કદાચ આનંદની શોધમાં આપણે આજીવન ભટકિયે છીએ છતાં તેને મેળવી શકતા નથી કેમ કે આપણે આત્માને ઓળખી પણ શકતા નથી કે ન તો આત્માના અવાજને સાંભળવાની દરકાર કરીએ છીએ. અવિરત કૃત્રિમ ખુશીની શોધમાં અમૂલ્ય જીવન વેડફી નાખીએ છીએ. સ્વ સાથે કે આત્મા સાથે સંવાદ કરવાની દરકાર મને તો ખૂબ આવશ્યક લાગે છે. આનંદ વાસ્તવમાં બે પ્રકારના હોય છે ૧) સાધનજન્ય આનંદ કે જે વિષયોમાંથી મળતો આનંદ છે. જે નાશવંત સ્વરૂપ ધરાવે છે એટલે કે સાધનોનો નાશ થતાં આનંદ પણ ખતમ થઇ જાય છે. ૨) સ્વયંસિદ્ધ આનંદ સાધનજન્ય આનંદ એવો આનંદ કે જે અંદરથી સ્વમાંથી આવે છે, જે અવિનાશી અને પરમ સ્વરૂપ છે. સ્વયંસિદ્ધ આનંદ એ જ મેળવી શકે જેને આત્માનું જ્ઞાન હોય. આમ આનંદપ્રાપ્તિની પૂર્વ શરત છે આત્માનું જ્ઞાન. વિધાતાએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, જેથી અંદરનો આત્મા દેખાતો નથી. જ્યારે તે અંર્તમુખ બને ત્યારે જ આત્માના દર્શન શક્ય બને અને આનંદની યાત્રા શરૂ થાય છે. ટૂંકમાં આત્મા વિનાનો આનંદ મેળવવાની જંખના એક અજ્ઞાન છે જે અનેક પાપો કરાવે છે જેથી તેને અપરાધ તરીકે સ્વીકારવાની દ્રષ્ટિ કેળવવી જ રહી.
૩) માનવતા વિનાનું વિજ્ઞાન એ પણ એક જઘન્ય અપરાધ છે. વિજ્ઞાન ગમે તેટલા ઉત્તમ આવિષ્કાર કરે કે હાઇટેક મશીનો દ્વારા શ્રમ ન્યૂનતમ કરી મનુષ્યજીવનને પારાવાર અનુકૂળતા અને સગવડો પ્રદાન કરે પરંતુ જ્યાં સુધી વિજ્ઞાનના સંશોધનોમાં માનવતાનું તત્વ નહિ ઉમેરાઈ ત્યાં સુધી જીવનમાં સુખ-શાંતિ કે સલામતી શક્ય બનશે નહીં. વિજ્ઞાન સમાજની હોશિયારી કુશળતા કે આવડત દર્શાવે છે જ્યારે માનવતા સમાજના મૂલ્યો અને સારાઈનું દર્શન કરાવે છે. સાચું પૂછો તો જીવનમાં હોશિયારી કરતાં વધુ જરૂર સારાઈની છે એ તો સ્વીકારવું જ રહ્યું. આજનો યુગ ટેકનોલોજીની બાબતમાં ખૂબ હાઈટેક, એડવાન્સ અને વિકસિત માનવામાં આવે છે પરંતુ જો તે ટેકનોલોજીનો વિવેકપૂર્ણ અને માનવતાસભર ઉપયોગ ન થાય તો સમાજકલ્યાણ સાથેના વિકાસનું સ્વપ્ન સાકાર થઇ શકે ખરું? તમામ પ્રકારની કુશળતા, હોશિયારી, બુદ્ધિમત્તા અને આવડતનો ઉપયોગ જો ઉમદા માનવતાના હેતુ માટે સમાજહિતમાં થાય તો જ સમગ્ર જનસમુદાયનું જીવન સ્વર્ગ સમાન બની શકે. અતિ હોશિયાર કુશળ શિક્ષક, ડોક્ટર કે નેતા જો ભ્રષ્ટ, અનૈતિક, સ્વાર્થી અને માનવતાવિહોણો હોય તો સમાજને ઉપયોગી ખરો? ટૂંકમાં વ્યક્તિ ગમે તેટલો કુશળ કે બુધ્ધિશાળી હોય પરંતુ જો માનવતા જેવા ઉત્તમ ગુણોનો માલિક ન હોય તો તે માનવસૃષ્ટિનો અપરાધી છે જેમ ટેકનોલોજીનો નિષ્ણાત જો હેકર બને અને હોશિયારીનો દૂરોપયોગ કરે તો તે સમાજ દેશ અને દુનિયાનો અપરાધી છે એ તો સમજી શકાય એવિ વાત છે.
૪) ચારિત્ર્ય વિનાનું જ્ઞાન એ પણ જઘન્ય અપરાધ કે પાપ છે. એ તો સર્વવિદિત છે કે જીવનની દરેક પીડા દુઃખ અને સમસ્યાનું એકમાત્ર મારણ છે જ્ઞાન. જ્ઞાન દ્વારા જીવનને સલામત શાંત અને સ્વસ્થ બનાવી શકાય છે. પરંતુ જો એ જ્ઞાન ગોખણિયું કે પુસ્તકિયું હોય કે જેને ચારિત્ર સાથે કોઈ નાહવાનિચોવાનો સંબંધ ન હોય તો તે જ્ઞાનની જીવનમાં કોઈ કિંમત નથી. આવા જ્ઞાનથી માત્ર વ્યક્તિનો અહંકાર પોષાય છે જે પતનની પ્રથમ સીડી છે. વળી આપણે અનુભવ છે કે જ્ઞાનની શુષ્ક વાતો કરનાર સદાચરણ વગરનો વ્યક્તિ સમાજને ક્યારેય પસંદ પડતો નથી. ચારિત્ર એટલે code of conduct એટલે કે આચરણના નિયમો. જેની વાણી વર્તનમાં સામ્યતા હોય, પારદર્શિતા હોય, ગંદા રાજકારણથી તે કોષો દૂર હોય, સરળ હોય, પવિત્ર હોય, જીવમાત્ર પર દયા અને સહાનુભૂતિ ધરાવતો હોય એવો વ્યક્તિ સાચો જ્ઞાની કહેવાય. પરંતુ કળિયુગમાં તો કહેવાતા બુદ્ધિશાળી વિદ્વાન જ્ઞાનીઓનું ઘોડાપુર આવ્યું છે પરંતુ ચારિત્રનો અકાળ જોવા મળે છે. ધર્મગુરૂ, સંતોમહંતો, વડીલો, શિક્ષકો વગેરે તમામ કદાચ બુદ્ધિશાળી કુશળ વિદ્વાન શાસ્ત્રોના જાણકાર અવશ્ય હશે. પરંતુ અનુકરણ થઈ શકે તેવા શુદ્ધ ચારિત્રવાળા વ્યક્તિનો સમાજમાં દુકાળ જોવા મળે છે. ચરિત્રવગરના જ્ઞાની સમાજ માટે હાનિકારક છે. ચારિત્ર વગરનું જ્ઞાન સમાજની જીવસૃષ્ટિની પીડામાં અસહ્ય વધારો કરતું હોવાથી તેને પાપ કે અપરાધ તરીકે જોવું આવશ્યક બને છે. જવાબદારી વગરનું જ્ઞાન વ્યર્થ છે.
૫) સિદ્ધાંતો વગરનું રાજકારણ પણ એક જઘન્ય અપરાધ છે. પ્રવર્તમાન સમજણ અનુસાર રાજકારણ એટલે પદ કે ગાદી માટેની સ્વાર્થી ભ્રષ્ટ અને ગંદી રાજરમત, જેમાં સિદ્ધાંતો તો હોઇ જ કેવી રીતે? કેમ કે સિદ્ધાંતનો તો અર્થ જ છે સમગ્રલક્ષી કલ્યાણકારી વિચારસરણી. જેને સ્વાર્થ કે અંગત લાભ સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી. સિદ્ધાંતોના ભોગે મળતી સફળતા કે ગાદી એ વાસ્તવિક સફળતા નથી એ તો અસ્તિત્વ સાથેનું સમાધાન છે. સમાધાન ક્યારેય ઇચ્છવાયોગ્ય હોતું નથી કેમકે તે પ્રકૃતિગત હોતું નથી અને પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ લાંબો સમય ટકી શકે નહીં એ તો સર્વવિદિત છે. રાજધર્મ એક ઉમદા ધર્મ છે જેમાં પ્રજારક્ષણ, ન્યાય અને સમાજની ઉન્નતિનો ઉદેશ્ય હોવો જ જોઈએ. રાજકારણ વાસ્તવમાં જવાબદારી વહન કરવા માટેની તેમ જ સમાજસેવા માટેની ઉમદા વ્યવસ્થા છે. જે ચોક્કસ સિધ્ધાંતોને વરેલી હોવી જ જોઈએ. જો રાજકારણ સિદ્ધાંતો વગરનું હોય તો તેને જઘન્ય અપરાધ ગણવો જોઈએ અને કડી સજાની જોગવાઈ બંધારણમાં હોવી જોઈએ.
૬) નીતિમત્તા વિનાનો વેપાર પણ જઘન્ય અપરાધ છે. વેપાર જનજીવનને હર્યુભર્યું રાખે છે, આજીવિકા પુરી પાડે છે જે દ્વારા સમાજને ગતિ મળે છે, જેનાથી સમગ્ર સમાજની પ્રગતિ શક્ય બને છે. પરંતુ શરત એ છે કે આવો વેપાર નૈતિક અને મૂલ્યવાન હોવો જોઈએ. વેપારમાં વ્યાજબી નફો મેળવવાની છૂટ છે પરંતુ તે અકલ્પનિય વધુ ન હોઈ શકે કે જેમાં શોષણની બદબૂ આવે. કળિયુગના તમામ વેપાર-ધંધા સંપૂર્ણ નીતિમત્તા વિનાના જોવા મળે છે. જેમાં સમગ્રનું નુકસાન કરી સ્વના ફાયદાની વાત વધુ જોવા મળે છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે, જોખમી દવાઓ બનાવી જીવનને વિષયુક્ત કરાય એ શું અપરાધ ન કહેવાય? વિકાસના નામે પાણી પ્રદૂષિત, હવા પ્રદૂષિત, સમગ્ર જીવસૃષ્ટિને ખતમ કરતો વિકાસ અને વેપાર એક સેકન્ડ માટે પણ આપણને અયોગ્ય લાગતો નથી એનાથી મોટી બીજી કરુણતા કઇ હોઇ શકે? વેપારના નામે અયોગ્ય વજન, અયોગ્ય હાનિકારક વસ્તુ, ગુણવત્તાનો અભાવ, અતિ ઊંચી કિંમત, સાધનોનું શોષણ વગેરે શું અપરાધ કે પાપ ન કહેવાય? એની કડક સજા ન હોવી જોઈએ?
૭) ત્યાગ બલિદાન વિનાની પૂજા-અર્ચના પણ પાપ કે અપરાધ જ ગણાય. ચોક્કસ પ્રકારના કપડાં, ગળામાં માળા, કપાળે ટીલા-ટપકા, દેખાડાના ધાર્મિક ક્રિયાકાંડ જેવી બાબતો દ્વારા વ્યક્તિની ધાર્મિકતાનો તાગ ન મેળવી શકાય. સાચી પૂજાની ઓળખ તો ત્યાગ અને બલિદાન દ્વારા જ થઈ શકે. સમગ્ર સૃષ્ટિચક્રને ખલેલ ન પહોંચે તે રીતે જીવવું એ જ સાચી પૂજા છે, જે ત્યાગ કે બલિદાન વગર અસંભવ છે. ત્યાગથી અહંકારનું વિસર્જન થાય છે. ત્યાગથી પાપનું મૂળધન સમાપ્ત થાય છે. વિકારભાવ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા છોડવા એ જ સાચો ત્યાગ છે. જે માગે છે તે ભિખારી છે જે ત્યાગે છે તે શ્રીમંત છે. સમગ્ર પ્રકૃતિનો અફર નિયમ જ ત્યાગ છે. સમગ્ર સંસાર ત્યાગથી જ ચાલે છે, જેમ કે વૃક્ષ ફળ ત્યાગે, નદી જળ ત્યાગે, અગ્નિ ઉષ્મા ત્યાગે, સૂર્ય પ્રકાશ ત્યાગે છે. વિચારો કે આ કોઈ કંઈ ત્યાગે જ નહીં તો સૃષ્ટિનું શું થાય? ત્યાગ પ્રકૃતિનો શાશ્વત નિયમ છે. સમગ્ર પ્રકૃતિ સતત ત્યાગનો જ સંદેશ આપે છે કે જો તમે ગ્રહણ કર્યું છે તો તેનો ત્યાગ પણ કરવો જ રહ્યો તો જ અસ્તિત્વ ટકી શકે. શ્વાસ લઈને શ્વાસ છોડવો પણ પડે એ આપણે સૌ જાણીએ છીએ. વાસ્તવમાં મારાપણું છોડવું એ સાચો ત્યાગ છે. હું અને મારાનો વિસ્તાર અટકાવો એ ત્યાગ છે. જે મુક્તિનો કારક છે અને પરમશાંતિનો માર્ગ છે. અને એ જ સાચી પૂજા-અર્ચના છે. જો આપણે ત્યાગ કે બલિદાન વગરની પૂજા-અર્ચના કરીયે છીએ તો સમજો કે પાપ કરીયે છીએ. જે અક્ષમ્ય અપરાધ છે.
હવે વિચારો આપણે ક્યારેય કલ્પના કરી છે કે ઉપર પ્રમાણેના સાત કાર્યો અપરાધની કેટેગરીમા આવે છે. જેમાં સજાની કોઈ જોગવાઈ આપણી કોર્ટમા નથી. પરંતુ આ સાત જઘન્ય અપરાધ સમગ્ર જનજીવન કે જીવસૃષ્ટિને છિન્નભિન્ન કરી દે છે એ તો હકીકત છે અને કમનશીબે આપણે તે તરફ ક્યારેય લક્ષ્ય પણ આપતા નથી એનાથી મોટી કરુણતા કહો બીજી કઈ હોઇ શકે?
શિલ્પા શાહ