લેખક, ચિત્રકાર અને નર્મદા ભકત અમૃતલાલ વેગડ (1928-2018) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ગોવામલ જીવણ વેગડને ત્યાં થયો હતો. તેમના પિતા માધાપર, કચ્છના વતની હતા અને જબલપુરમાં આવીને વસ્યા હતા. તેઓ અન્ય મિસ્ત્રી સમુદાય સાથે બંગાળ નાગપુર રેલ્વે લાઇનના ગોંદિયા-જબલપુર ભાગમાં રેલ્વે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરતા ૧૯૦૬માં ત્યાં સ્થાયી થયા હતા. અમૃતલાલ વેગડે તેમનો અભ્યાસ વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતન ખાતે કર્યો હતો અને તેમણે નંદલાલ બોઝ જેવા શિક્ષકોના હાથ નીચે ૧૯૪૮ થી ૧૯૫૩ દરમિયાન તાલીમ મેળવી હતી. નંદલાલ બોઝ પાસે તેઓ પ્રકૃત્તિ અને તેની સુંદરતાનો આદર કરવાનું શીખ્યા.
તેઓ પાણીના રંગો વડે ચિત્રકામ શીખ્યા હતા પરંતુ તૈલી રંગો (ઓઇલ કલર) વડે પણ ચિત્રો દોરતા હતા. જબલપુરમાં પાછા ફર્યા બાદ, તેઓ ત્યાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઇન આર્ટ્સમાં શિક્ષક તરીકે જોડાયા. શાંતિનિકેતનમાં અભ્યાસ દરમિયાન લખેલો તેમનો નિબંધ – ઇન્ટ્રોડ્યુશિંગ અહિંસા ટુ ધ બેટલફિલ્ડ – ૧૯૬૮માં પ્રકાશિત લોકપ્રિય ગાંધી-ગંગા પુસ્તકનો ભાગ બન્યો હતો. અમૃતલાલ વેગડને તેમનાં પ્રવાસવર્ણન સૌંદર્યની નદી નર્મદા માટે ૨૦૦૪નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો અને તેમના વિવિધ સર્જન માટે મધ્ય પ્રદેશ રાજ્ય સાહિત્ય પુરસ્કાર અને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યા હતા. હિંદી માટે તેમને મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તેમના સૌથી પ્રખ્યાત પુસ્તકોમાં હિંદીમાં લખેલ નર્મદા કી પરક્રમા અને ગુજરાતીમાં સૌંદર્યની નદી નર્મદા (પ્રવાસવર્ણન) અને પરિક્રમા નર્મદા મૈયાનીનો સમાવેશ થાય છે, જેના માટે તેમને વિવિધ પુરસ્કારો મળ્યા છે. વધુમાં તેમણે ગુજરાતીમાં લોક વાર્તાઓ અને નિબંધો થોડું સોનું, થોડું રૂપું નામના પુસ્તક રૂપે લખ્યા છે. તેમના અન્ય પુસ્તકોમાં અમૃતસ્ય નર્મદા અને તીરે તીરે નર્મદાનો સમાવેશ થાય છે. આ પુસ્તકોનું ભાષાંતર ગુજરાતી (તેમનાં જ દ્વારા), અંગ્રેજી, બંગાળી અને મરાઠીમાં થયું છે. તેમણે આ પુસ્તકો ત્રીસ વર્ષોથી તેમના દ્રારા કરાતી નર્મદાના કિનારાની તેમની અંગત પદયાત્રાઓ – નર્મદાના મૂળ અમરકંટકથી લઇને ભરૂચના દરિયા સુધીના અનુભવથી લખ્યા છે.
નર્મદા પર તેમનું પ્રથમ પુસ્તક – રીવર ઓફ બ્યુટી હતું. નર્મદાના માર્ગ પર તેમણે તેમની પ્રથમ પદ યાત્રા ૧૯૭૭માં ૪૯ વર્ષની ઉંમરે કરી હતી. છેલ્લી યાત્રા તેમણે ૭૧ વર્ષની ઉંમરે ૧૯૯૯માં કરી હતી. તેમનાં આ પ્રવાસોમાં તેમની પત્નિએ પણ સાથ આપ્યો હતો.રતેમનાં પુસ્તકો પ્રવાસ દરમિયાન તેમનાં જ દ્વારા દોરેલા રેખાચિત્રો અને ચિત્રો ધરાવે છે, જે કળા વિવેચકો દ્વારા અત્યંત વખાણવામાં આવ્યા છે. અમૃતલાલ વેગડ પર્યાવરણ ચળવળકાર તરીકે પણ કાર્ય કરેલું જેમાં તેમણે મધ્ય પ્રદેશમાં નર્મદા અને અન્ય નદીઓમાં થતાં પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તેઓ નર્મદા સમગ્રના પ્રમુખ રહ્યા હતા, જે નદીઓના પ્રદૂષણ વિરુદ્ધ અને નદી કિનારા નજીક જાહેર શૌચાલયોના બાંધકામો માટે કાર્ય કરે છે, જેથી નદી કિનારા અને નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરી શકાય. પર્યાવરણ રક્ષક એવા અમૃતલાલનું 6 જુલાઈ 2018 ના દિવસે અવસાન થયું હતું.
માનસી દેસાઈ