બહુ જ જૂજ માણસોને ખબર હશે કે સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાન માટે “અગ્નિ” ઘરેથી શા માટે લઈ જવાય છે.
આપણાં પૂર્વજ રૂષિ-મુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ. મુખ્ય વાત એમ છે કે જુનાં જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને “સપ્તપદી” બોલાવીને મંગળનાં ચાર ફેરા ફેરવે છે જેમાં,
•૧ પહેલો ફેરો “ધર્મ” નો
•૨ બીજો ફેરો “અર્થ” નો
•૩ ત્રીજો ફેરો “કામ” નો
•૪ ચોથો ફેરો “મોક્ષ” નો.
મોક્ષનાં ચોથા ફેરામાં “સ્ત્રી” પોતાનાં પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે. જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે. તે અગ્નિ બુઝાવા નહોતી દેવાતી. જ્યારે જાન પરણીને વિદાય થાય, ત્યારે “વર” પક્ષવાળાને તે અગ્નિ માટીનાં દોણામાં ભરીને આપવામાં આવે છે. વખત જતાં પતરાનાં ચોરસ ફાનસ આવ્યા, અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો જેને રમણ દીવો કહેવાય છે.
જ્યારે જાન પરણીને ઘરે પહોંચે, ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેવતા જીવીત રહેતા. તે દેવતા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો. તે અગ્નિમાં રસોઈ પકાવીને ખવાતી પછી અગ્નિને ચુલામાં રાખથી ભંડારી દેતા. સવારે પાછો એ જ અગ્નિ જીવીત કરાતો. આ ક્રમ જીવનપર્યંત ચાલતો. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એજ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે. અને તેજ અગ્નિથી દેહને અગ્નિદાહ આપાય છે.
મૃત્યુ પછીનાં ચાર વિસામાઓ કહેવાય છે.
•૧ પહેલો વિસામો ઘર આંગણે
•૨ બીજો વિસામો ઝાંપા બહાર
•૩ ત્રીજો વિસામો ગામનાં ગોંદરે
•૪ ચોથો વિસામો સ્મશાનમાં.
•ધર્મ
•અર્થ
•કામ
•મોક્ષ
જેવી રીતે મોક્ષનાં આ ચાર વિસામા છે. એ જ રીતે મૃતદેહને ચાર પ્રદક્ષિણા છે.
ત્રણ સંપૂર્ણ અને ચોથી પગેથી પાછા વળવાની. આથી જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો તે શિવ-મય બની ગયો. શિવનાં ચરણ કદાપી ઓળંગી ન શકાય.
અગ્નિદાહથી જળ, થળ, અગ્નિ, આકાશ અને પવન આ પાંચ તત્વ પોત-પોતાનાંમાં ભળી જાય છે, તેને ભગવાનમાં વિલીન થયા કહેવાય છે. હવે તેનાં દર્શન કરવા હોય તો શિવાલયે જવાનું. દીવાનાં દર્શને એટલા માટે જ કરવામાં આવે છે.
આત્માં અમર છે “જીવ” મરતો નથી. જળ, થળ, અગ્નિ, આકાશ, પવન પોત-પોતાનામાં ભળી જાય છે. જે જ્યાંથી આવ્યો હતો ત્યાં.
અર્થ:- માણસ મરતો જ નથી ફર્ક માત્ર એ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપ માં હવે તે નથી.
ભગવાન એટલે શું ?
•ભ – ભૂમિ
•ગ – ગગન
•વ – વાયુ
•આ – આનલ (તેજ)
•ન – નીર
મુખ્ય સાર :- પ્રકૃતિ એજ ભગવાન છે.