બિગ બોસ 10ના પ્રતિયોગી સ્વામી ઓમનું નિધન થયું છે. ત્રણ મહિના પહેલા તેઓ કોરોના સંક્રમિત થયા હતા અને છેલ્લા થોડા મહિનાથી બીમાર હતા. દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બુધવારે (3 ફેબ્રુઆરી) સવારે દિલ્હીની હોસ્પિટલમાં સ્વામી ઓમે છેલ્લા શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, 15 દિવસ પહેલા તેમને લકવો થયો હતો અને ત્યારબાદ તેમની સ્થિતિ સતત કથળતી ગઈ.સ્વામી ઓમના દીકરા અર્જુન જૈને એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેઓ કોરોનાથી સાજા થયા હતા. પરંતુ શરીરમાં ખૂબ નબળાઈ આવી હતી. જો કે, લકવો થયા બાદ ચાલવામાં તકલીફ થઈ રહી હતી. રિપોર્ટ પ્રમાણે, આજે બપોરે દોઢ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, સ્વામી ઓમ બિગ બોસની 10મી સીઝનમાં જોવા મળ્યા હતા. તેઓ ઘણી બાબતોના કારણે વિવાદમાં રહ્યા છે અને પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા.
બિગ બોસની 10મી સીઝનમાં એક ટાસ્ક દરમિયાન તેમણે તમામ હદ પાર કરી હતી. બિગ બોસના ઘરમાં હતા ત્યારે એક વાસણમાં પોતાનું યૂરિન કાઢ્યું હતું અને સાથી કન્ટેસ્ટન્ટ બાની જે અને રોહન મહેરા પર ફેંક્યું હતું. બાદમાં શોના મેકર્સ તેમને ઘરની બહાર હાંકી કાઢ્યા હતા. બિગ બોસનો હોસ્ટ સલમાન ખાન પણ તેમની હરકતોથી ચીડાયો હતો.જણાવી દઈએ કે, એક ટીવી ચેનલ પર મહિલા સાથે મારામારી કરવાના કારણે પણ સ્વામી ઓમ ચર્ચામાં રહ્યા હતા. આ લાઈવ શોમાં રાધે માના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. દરમિયાન સ્વામી ઓમ રાધે માની તરફદારી કરતા હતા. એ વખતે શોના અન્ય મહિલા ગેસ્ટે તેમની વાતનો વિરોધ કર્યો તો તેમણે મહિલાની અંગત જિંદગી વિશે બકવાસ કરી હતી. ગુસ્સામાં મહિલાએ સ્વામી પર હાથ ઉઠાવવાની કોશિશ કરી તો તેઓ મારામારી કરવા લાગ્યા હતા.
VR Dhiren Jadav