પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રીમદ્ ભગવત ગીતાજી નું રસપાન કરવાનું કેવી રીતે ભૂલાય? ગીતાજીનો પંદરમો અધ્યાય એટલે પુરુષોત્તમ યોગ. આ પંદરમા અધ્યાયમાં કુલ 20 શ્લોક છે. તેમાં 1 થી 15 શ્લોકમાં આ સંસારરૂપી વૃક્ષને ‘અશ્વત્થ’ એટલે કે પીપળાના વૃક્ષ સાથે સરખાવવામાં આવ્યું છે. અને સમગ્ર જીવાત્માને પ્રભુના અંશ તરીકે વર્ણવવામાં આવ્યા છે. અને બાકીના 16થી 20 શ્લોકમાં ક્ષર અને અક્ષરના વિષયને આવરી લેવામાં આવ્યો છે. અહીં આપણે સંસારરૂપી અશ્વત્થ વૃક્ષોની ચર્ચા કરીશું.
ગીતાજીના દસમાં અધ્યાય વિભૂતિયોગ માં કહ્યું છે કે- “અશ્વત્થ: સર્વ વૃક્ષાણામ”.. એટલે કે વૃક્ષોમાં પીપળો હું છું. આમ ભગવાન શ્રીકૃષ્ણએ સ્વમુખે જ પોતાનો પીપળામાં વાસ હોવાની પુષ્ટિ કરી છે.
પીપળો લાંબુ આયુષ્ય ધરાવે છે. વાતાવરણને શુદ્ધ રાખવા માટેનું ખૂબ જ મોટું યોગદાન છે. પળેપળે પ્રાણવાયુ છોડનાર આ વૃક્ષ વાતાવરણ નો કાર્બન ડાયોક્સાઈડ શોષી ને મોટા પ્રમાણમાં ઑક્સિજનનું વહન કરે છે. તેમાંથી નીકળતી શુદ્ધ અને સાત્વિક ઉર્જા આપણા તન- મનને અદ્ભુત શક્તિ પ્રદાન કરે છે. અને તેથી જ તો આપણા ઋષિ-મુનિઓએ પીપળાના પૂજનનો મહિમા ગાયો છે. ઘણા કાર્યોમાં પીપડે પાણી રેડવાની, પીપળાનું પૂજન કરવાની અને તેની પ્રદક્ષિણા કરવાની પ્રેરણા આપી છે.
હવે વાત કરીએ આ સંસારરૂપી ઊંધા લટકતા અશ્વત્થ વૃક્ષની. આ સંસારરૂપી અશ્વત્થ ના મૂળ ઉપર બ્રહ્માંડમાં રહેલા છે. અને તેની શાખાઓ તથા પાંદડાં નીચે ની તરફ ફેલાયેલા છે જે છેક પાતાળલોક સુધી વિસ્તરેલા છે.
શ્રીભગવાનુવાચ
ઊર્ધ્વમૂલ મધઃ શાખ..(શ્ર્લોક-1)
“જેનું આદિપુરુષ પરમેશ્વર રૂપી ઊર્ધ્વમૂલ છે, જેની નીચે રહેલી બ્રહ્માંડ રૂપી મુખ્ય શાખા છે.તથા વેદો જેના પાંદડાઓ છે, એવા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે.જે આ વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે તે વેદોના તાત્પર્ય ને જાણનાર છે.”
ભગવાને સ્વમુખે કહેલા આ વાંઙમય સ્વરૂપ ને સમજવું, સમજાવવું કે તેનું વિસ્તરણ કરવું એ મારા જેવા અલ્પમતિ નું કામ નથી. પરંતુ આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નતમસ્તક થઈને વંદન કરીએ.
ગીતાજીના આ પંદરમા અધ્યાય ને જ્ઞાન મંદિરનો કળશ માનવામાં આવે છે. તેનો નિત્ય પઠન કરનારને સમગ્ર પાઠ કર્યાનું, એટલે કે 18 અધ્યાય પઠન કર્યાનું ફળ મળે છે. તો ચાલો ઘરમાં રહેલા ગીતાજીના આ પંદરમા અધ્યાય નું પઠન કરીને પુરુષોત્તમ માસમાં પુરૂષોત્તમ ભગવાનને પ્રસન્ન કરીએ..
-અસ્તુ
Related