જીવનના અસલ સ્વરૂપને જો યથાર્થ રીતે સમજીએ તો જીવન એક સર્કસથી વિશેષ કશું જ નથી. સર્કસ એટલે તમાશો જેમાં મનુષ્ય, પશુ-પક્ષી જેવા અનેક જીવ કોઈના ઇશારે પરફોર્મ કરે અર્થાત કરતબ દેખાડે. જીવનપર્યંત આમ તો આપણે બધા આપણા દૈનિક જીવનમાં અભિનયથી વિશેષ બીજું કરીએ છીએ પણ શું અને એ પણ કોઈના ઇશારે, હર પલ નવો તમાશો જીવન દેખાડે છે અને આપણે કટપુતળીની જેમ નાચ્યા કરીએ છીએ. સર્કસ શબ્દનો એક અર્થ છે જુદા-જુદા અભિનયકારોનો સમૂહ. તમને નથી લાગતું આ સંસારમાં પણ અનેકવિધ લોકોનો જ શંભુમેળો જામ્યો છે, દરેક પોતાનો રોલ અદા કરી રહ્યા છે, ક્યારેક સાથે મળીને તો ક્યારેક છૂટા પડીને ક્યારેક પ્રેમથી તો ક્યારેક ઝઘડીને, આમ પણ બધા જ્યારે ગ્રુપમાં અભિનય કરે ત્યારે પ્રકૃતિ ભિન્ન હોવાને કારણે થોડી અથડામણ તો સ્વાભાવિક જ છે. સર્કસ શબ્દનો એક અન્ય અર્થ થાય છે “noisy confused activity” એટલે ઘોંઘાટયુક્ત મૂંઝવણભરી પ્રવૃત્તિ. સમગ્ર સંસારનું જો સૂક્ષ્મ તાત્વિક અધ્યયન કરવામાં આવે તો સમજાશે કે ચારેબાજુ ઇચ્છાઓ તમન્નાઓનો ઘોંઘાટ છે. ઈચ્છાપૂર્તિ માટેના સાધનો મેળવવાનો ઘોંઘાટ છે, વિરોધાભાસી વૃત્તિ-પ્રવૃત્તિ સ્વભાવ અને સંઘર્ષનો ઘોંઘાટ છે, અન્યને પછાડી આગળ વધવાની ક્રિયાનો ઘોંઘાટ છે. આવા તમામ પ્રકારના ઘોંઘાટ સાથે અનેક પ્રકારની મૂંઝવણ પણ છે જેમ કે સાચું શું અને ખોટું શું, સારું શું અને ખરાબ શું, મારું કોણ અને પારકુ કોણ, દોસ્ત કોણ અને દુશ્મન કોણ, જીવન અને મરણ અંગેની મૂંઝવણ, વળી ક્ષણેક્ષણ હું શું કરું તેની મૂંઝવણ તો ખરી જ, ઉપરાંત સંબંધોને સમજવાની મૂંઝવણ, આવી અનેક મૂંઝવણ જીવનભર આપણને સતાવતી રહે છે. ટૂંકમાં સમગ્ર સંસારમાં ઘોંઘાટયુક્ત મૂંઝવણભરી પ્રવૃત્તિઓથી વિશેષ કશું છે જ નથી એટલા માટે જ હું કહું છું કે જીવન એક સર્કસ છે.
આપણું જીવન ત્રણ અધ્યાયનું નાટક કે ત્રણ કલાકનું સર્કસ છે. પહેલો અધ્યાય બચપણ બીજો અધ્યાય યુવાની અને ત્રીજો વૃદ્ધાવસ્થા. દરેક અવસ્થાની પોતાની મૂંઝવણ છે અને દરેક તબક્કાનો પોતાનો ઘોંઘાટ છે જેમ કે બાલ્યાવસ્થામાં કાચી સમજણનો ઘોંઘાટ અને અનેક મૂંઝવણ છે, યુવાનીમાં ક્રોધ અને શક્તિનો અતિરેક અનેક ઘોંઘાટ અને મુંઝવણ સર્જે છે જ્યારે વૃદ્ધાવસ્થામાં જરાજીર્ણ શરીર અનેક મુશ્કેલીઓ મૂંઝવણ અને ઘોંઘાટનું સર્જન કરે છે. વિદ્યાર્થીઓને અઘરા પ્રશ્નો મૂંઝવે છે તેમ યુવાનોને સંબંધો મૂંઝવે છે અને પુખ્ત કે વૃધ્ધ લોકોને કલહ અને કંકાસ મૂંઝવે છે, પ્રતિકૂળતાઓ મૂંઝવે છે. ટૂંકમાં જીવનના આ ત્રણ અધ્યાયના નાટકમાં કે ત્રણ કલાકના સર્કસમાં સતત મૂંઝવણ અને ઘોંઘાટ છે.
નાટક કે સર્કસની એક બીજી વિશેષતા એ છે કે તમારે કોઈકના ઇશારે નાચવું પડે છે, કોઈના કહેવા પ્રમાણે પોતાનો રોલ અદા કરવો પડે છે, ડિરેક્ટર જેમ કહે તેમ તેના નિર્દેશનમાં કામ કરવું પડે છે. સર્કસમાં કાર્યરત દરેક જીવ પછી ભલે તે મનુષ્ય હોય કે પ્રાણી રીંગમાસ્ટરના ઈશારા પર નાચે છે, પરફોર્મ કરે છે અને સતત કાર્યરત રહે છે. સર્કસનો દરેક આર્ટિસ્ટ પપેટથી વિશેષ કશું જ નથી એ જ રીતે જીવનરૂપી સર્કસમાં પણ આપણે સૌ અન્ય પાવરફુલ લોકોના ઇશારે નાચ્યા જ કરીએ છીએ જેમ કે પત્ની પતિના ઈશારે, કર્મચારી ઓફિસરના ઈશારે, સંતાનો માતા-પિતાના આદેશ અનુસાર ઈચ્છાએ કે અનિચ્છાએ પપેટની જેમ કાર્યરત રહે છે. સમગ્ર બ્રહ્માણ્ડ કે પ્રકૃતિની વાત કરીએ તો સમગ્ર અસ્તિત્વ પણ ઈશ્વરના ઈશારે કટપૂતળીની જેમ નાચે છે. કોઈના ઈશારે નાચવું આમ તો કોઈને પસંદ નથી પડતું (પછી એ મનુષ્ય હોય કે પશુપક્ષી) પરંતુ જીવનની અનેક મજબૂરી પ્રાણી માત્રને કોઈના ઇશારે નાચવા મજબૂર કરે છે. આ સંસારમાં સ્વતંત્ર કોઈ છે જ નહીં. દરેકે દરેક જીવ માત્રની ઈચ્છા પોતાની મરજીથી પોતાના સ્વગગનમાં વિહાર કરવાની છે પરંતુ કર્મો, પ્રારબ્ધ અને વિવશતા જેવા અનેક કારણોને લીધે જીવ માત્ર કટપૂતળી બની ગયો છે. આ જ રીતે અવિરત જીવ્યા કરે છે. કેટલું જીવવું, કેવું જીવવું, ક્યાં જીવવું, ક્યારે જીવવું કશું પણ એના હાથમાં નથી. મનુષ્યને લાંબું જીવવાની ઈચ્છા હોય તો પણ ઈશ્વરના આદેશને માન્ય રાખવો પડે છે અને ટૂંકા જીવન સાથે વિદાય પણ લેવી પડે છે જેમ નાટકમાં તમારે લાંબો રોલ મેળવવાની ઈચ્છા હોય પરંતુ ડિરેક્ટર કોઈ કારણસર રોલ ટૂંકાવી નાંખે અને આર્ટિસ્ટ કંઈ જ ન કરી શકે એવી જ પરિસ્થિતિ જીવનની પણ છે. સર્કસમાં પણ જાનવરોને કરતબ કરવાની કોઇ ઇચ્છા ના હોય પરંતુ રીંગમાસ્ટરની ચાબુકના ઇશારે તેણે કરતબ કરવા પડે નહીતો ચાબુક ખાવી પડે અને ખાવા પણ ન મળે. એ જ રીતે આપણને પણ જીવનમાં ખોરાકની શોધ, ચાબુકનો ડર સતત નચાવે છે અને થકવી નાખે છે. પરંતુ એક વાત ભૂલવા જેવી નથી કે જે જીવ ભૂખ અને ચાબુકના મારથી ડરતો નથી તે માસ્ટરના ઇશારે નાચવા મજબૂર પણ નથી.
સર્કસની દરેક લાક્ષણિકતા કે વિશેષતા સાંસારિક જીવનમાં જોવા મળે છે. ચારે તરફ ઘોંઘાટ અને મૂંઝવણનો માહોલ છે જે સર્કસની સાચી વ્યાખ્યા છે. ભિન્ન-ભિન્ન કલાકારોનો સમૂહ કાર્યરત છે જે સર્કસમાં હોય છે. દરેક પોતાનું બેસ્ટ આપી પ્રેક્ષકોની વાહ-વાહ જીતવા માંગે છે અને તેના માટે સમગ્ર જીવન હોડમાં મૂકી દે છે. આપણે આપણા વાસ્તવિક જીવનમાં આ બધુ જ કરીએ છીએ. ક્યારેક સંજોગોવસાત સર્કસમાં કોઈના ઈશારે નાચતા નાચતા અને કરતબ દેખાડતા દેખાડતા મૃત્યુશૈયાની પ્રાપ્તિનો સમય પણ આવી જતો હોય છે. કમનસીબી તો એ છે કે દર્શકો મૃત્યુને પણ કરતબ કે અભિનય સમજી તાળીઓના ગડગડાટ સાથે મૃત્યુને વધાવે છે. આમ એક તરફ તાળીઓના ગડગડાટ અને બીજી તરફ મૂંઝવણભર્યું ઘોંઘંટયુક્ત સર્કસરૂપી જીવનનો અંત આવે છે પરંતુ આ જીવનરૂપી અનંત નાટક કે સર્કસ બીજા આર્ટિસ્ટ દ્વારા પણ અવિરત ચાલ્યા જ કરે છે.
સર્કસના અનેક બીજા સમાનાર્થી શબ્દો પણ છે જેમકે સર્કસ એટલે કાર્નિવલ જેનો અર્થ થાય છે આનંદોત્સવ કે મનોરંજન મેલા, જે એક પ્રકારનો પબ્લિક ફેસ્ટિવલ છે કે શેરીઓમાં સંગીત અને નૃત્ય સાથે ભજવવામાં આવે છે. આપણા જીવનમાં ક્ષણેક્ષણ તમને નથી લાગતું આવો જ સુખ-દુખ ભરેલો કાર્નિવલ તો જોવા મળે છે. સર્કસ માટે એક બીજો શબ્દ છે ફેર(મેળો) એક ફિલોસોફરે કહ્યું છે કે “દુનિયા એક મેલા હૈ મેલે મે યે દિલ અકેલા હે” આમ સર્કસ એટલે ફેસ્ટિવલ, ઉત્સવ, એન્ટરટેઇનમેન્ટ (મનોરંજન). સર્કસ માટે એક શબ્દ છે “cabaret” જેનો અર્થ છે ભોજન સમયનો નૃત્ય-સંગીતનો કાર્યક્રમ. આ ઉપરાંત સર્કસ એટલે “cirque” જેનો અર્થ છે “દંગલ” વિચારો આ જીવનથી મોટું દંગલ કયું હોઈ શકે? સર્કસ શબ્દ માટે એક બીજો સમાનાર્થી શબ્દ છે “Amphitheater” એટલે લાર્જ સ્ટેડિયમ કે જેમાં અલગ-અલગ લોકો ભેગા થઇ રીંગમાસ્ટરના ઈશારે પોતાના કરતબ કે ટેલેન્ટનું પ્રદર્શન કરે. આવા અનેક અર્થો દ્વારા એ સ્પષ્ટપણે સમજાય છે કે દરેક અર્થ જીવનની વિશેષતાઓ તરફ જ ઈશારો કરે છે.
ટૂંકમાં સર્કસ એ બધાનો સંયુક્ત શંભુમેળો છે, જ્યાં સતત ઘોંઘાટ અને મૂંઝવણનું અસ્તિત્વ છે. વળી અહી કોઈનું વ્યક્તિગત રૂપે કોઈ જ મહત્વ નથી, બધા ભેગા થાય ત્યારે જ તેની અગત્યતા વધે છે, તેની કિંમત વધે છે, મનોરંજન પ્રગટ થાય છે. બાકી વ્યક્તિગત રીતે બધું જ નગણ્ય અને વ્યર્થ છે. આમ પણ જીવનની ઊંડી તાત્વિક સમજણ જે ધરાવે છે તે જાણે છે કે separation અલગતામાં વિનાશ નક્કી છે. એ દૃષ્ટિએ સર્કસ અને જીવનમાં ગેહરી સામ્યતા છે. “Circus refers to the roundabout around which the traffic circulated”. સર્કસના આ અર્થ અનુસાર સર્કલની આજુબાજુ બધો ટ્રાફિક ગોળ-ગોળ ફર્યા કરે છે. વાસ્તવમાં “circus” શબ્દ લૅટિન શબ્દ “circle” પરથી આવ્યો છે જ્યાં ગોળાકાર વર્તુળમાં ગ્રુપમાં પ્રવૃત્તિઓ થાય છે. આમ જુઓ તો સમગ્ર બ્રહ્માંડ પણ ગોળાકાર છે, પૃથ્વી ગોળ છે, સતત તે ગોળ-ગોળ ફરે છે, જીવન અને મરણનું ચક્ર પણ આ જ રીતે એકસરખી રીધમથી સતત અવિરત ગોળ-ગોળ ફર્યા કરે છે. ટૂંકમાં સમગ્ર અસ્તિત્વ આ જ રીતે રાઉન્ડ રાઉન્ડ ફર્યા કરે છે અને સૌથી મહત્વની કે કમનસીબ વાત તો એ છે કે આ ગોળ-ગોળ ફરવામાં ક્યાય પ્રગતિ નથી માત્ર ગતિ છે. જેમ ઘાંચીનો બળદ ગોળ-ગોળ આજીવન ફરે અને ગોળ-ગોળ ફરતાફરતા જ મૃત્યુ પામે છે, એના જીવનમાં એક સેકન્ડ પણ પ્રગતિનો ક્યારેય આવતો નથી. એ જ રીતે કહેવાતા બુદ્ધિશાળી મનુષ્યો પણ આ જ રીતે પ્રગતિ વગરની ગતિ જીવનમાં સતત કર્યા કરે છે અને એ પણ કોઈ કારણ વગર કેમકે આપણે આવું સતત અવિરત ગોળગોળ શા માટે ફરીએ છીએ એ પણ ક્યાં જાણીએ છીએ.
સર્કસમાં કામ કરતા વ્યક્તિને “cirky” કહે છે અથવા circus employee” કહે છે. સાચું પૂછો તો જીવનરૂપી સર્કસમાં પણ આપણે એમ્પ્લોયીની ભૂમિકામાં જ તો છીએ. સામાજિક, આર્થિક, આત્મિક, શારીરિક કે માનસિક રોજગારી મેળવવાના ઘોંઘાટ અને મૂંજવણમાં જ તો જીવન પૂરું કરીએ છીએ. “cirky” શબ્દ “carny” શબ્દનો કાઉન્ટરપાર્ટ છે જેનો અર્થ થાય છે cloud swing દોરડા પર ચાલનાર. સર્કસ કે જીવન બંનેની ખાસિયત એ છે કે આપણે સતત જોખમ અને ખતરાના દોરડા પર નાચ્યા કરીએ છીએ. આપણું જીવન પણ તલવારની ધાર પર ચાલવા જેવું જ છે. “carny” શબ્દનો એક બીજો અર્થ છે મનાવવું, ફૂસલાવવું, ખુશામત કરવી. સર્કસમાં કામ કરનાર સરકીને હંમેશા મનાવવા પડતા હોય છે કારણકે મજબૂરીમાં નાચવું તેમ જ કોઈ બીજાના ઇશારે નાચવું અંગત રીતે કોઈને પસંદ હોતું નથી એટલા માટે તેને લાલચ આપવી પડે અથવા ડરાવવા કે ધમકાવવા પડે, મનાવવા કે પટાવવા પડે. બરાબર એ જ રીતે સંસારના દરેક સંબંધમાં ખુશામતની જરૂર પડે છે, મનાવવાની અને ફૂસલાવવાની જરૂર પડે છે. પશુ-પક્ષી જગતનું અવલોકન કરતાં જણાશે કે મોર કળા કરીને ઢેલને આકર્ષવાનો કે પટાવવાનો જ પ્રયત્ન કરતો હોય છે, જેવી રીતે આપણા ત્યાં યુવાન છોકરાઓ છોકરીઓને ફોસલાવે છે. ટૂંકમાં બિલકુલ સર્કસની જેમ જ આ સંસાર ચાલે છે.
આ સંસારના ઘોંઘાટ મૂંઝવણ અને પરાધીનતામાંથી છૂટવું હોય તો સર્કસના વિરોધી શબ્દ “stillness” તરફ ધ્યાન આપવું પડે. “stillness” નો મતલબ છે “સ્થિરતા” એટલે absence of movement and sound. જો જીવનમાં પ્રગતિ જોઈતી હોય (માત્ર ગતિ નહીં) તો સર્કસના આ સર્કલને તોડવાનો ભગીરથ પુરુષાર્થ કરવો પડે. મુમેન્ટ અને સાઉન્ડની ચુંગલમાંથી છૂટી શાંત અને સ્થિર થવું પડે તો જ રીંગમાસ્ટરના ચાબુકથી બચી શકાય અને કોઈના ઇશારે નાચવામાંથી મુક્તિ કાયમી ધોરણે મળી જાય અને સ્વતંત્રતાનો સાચો આનંદ માણી શકાય. સ્ટીલનેસ એટલે સ્થિરતાનું જીવનમાં ખૂબ મહત્વ છે. કામ-ક્રોધ-લોભ-અહંકાર-માયા-ઈર્ષા જેવા દુર્ગુણો આપણને જીવનમાં સ્થિર થવા દેતા નથી, એને દૂર કરી સ્થિરતા હાંસલ કરવાનો પ્રયત્ન થવો જોઈએ જેથી કદી કોઈના ઇશારે નાચવાનો વારો ન આવે. સ્થિરતાનો એક અન્ય અર્થ છે પ્રતિક્રિયાનો અભાવ અથવા પ્રતિક્રિયાની ગેરહાજરી. સામાન્ય રીતે આપણે પ્રતિક્રિયાની બાબતમાં ખૂબ ત્વરિત હોઈએ છીએ, જેના કારણે બિનજરૂરી અનેક હાનિકારક કાર્યો આપણાથી થઈ જાય છે અને પસ્તાવવાનું પ્રારબ્ધ બંધાઈ જાય છે. જો જીવનમાં સ્થિરતા શીખી લઈએ, પ્રતિક્રિયાની શૂન્યતાને સમજી લઈએ, શીખી લઈએ તો આપણને કોઈ રીંગ માસ્ટર નચાવી શકે નહીં.
આપણે જાણીએ છીએ કે સર્કસમાં રીંગમાસ્ટરના ઈશારે નાચતા પ્રાણીઓ ડરથી, આહારની લાલચમાં કે માલિક સાથેની વફાદારી જેવા અનેક કારણોસર નાચતા હોય છે પરંતુ જો આ જાનવરો સ્થિરતા શીખી લે ચાબુક પર કોઈ પ્રતિક્રિયા ન કરે, થોડો માર સહન કરી લે અને રીંગમાસ્ટરના ઈશારે નાચે નહીં તો તેને આપોઆપ સર્કસમાંથી દૂર કરવામાં આવે અને તેને બદલે બીજાને ટ્રેઇન કરવામાં આવે. આ રીતે તે સર્કસરૂપી ઘોંઘાટ, મૂંઝવણ, પરતંત્રતા અને અસહ્ય પીડામાંથી મુક્ત થઈ શકે. પરંતુ આહારની જરૂરિયાત, ડર, વફાદારીનો ભ્રમ વગેરે દરેક જીવને નાચવા મજબૂર કરે છે. મનુષ્યજીવનમાં પણ તમને નથી લાગતું સંબંધો પ્રતિ કર્તવ્યની ભાવના, ધનની લાલચ, કુટુંબની જરૂરિયાત અને અનેક પ્રકારના ભય વ્યક્તિને અન્યના ઈશારા પર નાચવા મજબૂર કરે છે, દોડાવે છે અને થકવી નાખે છે. જો આપણે આવી વ્યર્થ કર્તવ્યની ભાવના, બેકારના ડર અને લાલચથી મુક્ત થઈ જઈએ તો દુનિયાના કોઈ સંબંધો રીંગમાસ્ટર બની આપણને આપણી ઇચ્છા વિરુદ્ધ નચાવી શકે નહીં. પ્રતિક્રિયા શૂન્ય બની શાંતિ અને સ્થિરતા સાથે જીવનના સાચા આનંદ સમાન સ્વત્રંતતા અને નિર્ભયતાને અવશ્ય પામી શકાય. ટૂંકમાં સર્કસરૂપી જીવનમાંથી મુક્તિ જોઈતી હોય તો સર્કસના વિરોધી શબ્દ “stillness” સ્થિરતાનો અભ્યાસ કરવો પડે. પ્રતિક્રિયાને શૂન્ય કરવી પડે. કાર્ય કપરું ચોક્કસ છે જેના માટે કઠિન તપશ્ચર્યાની જરૂર પણ છે પરંતુ તે અશક્ય તો નથી જ. આખી જિંદગી કોઈના ઈશારે નાચતા રહેવું એના કરતા તપશ્ચર્યા દ્વારા તકલીફને ઓછી કરવી બુદ્ધિમત્તા નથી લાગતી?