આમ તો ગુજરાતમાં ઘણાં એવા સ્થળો છે જે પોતાની ખુબસૂરતીને લીધે પ્રખ્યાત છે. જેમાં સાપુતારા ,ઇડરગઢ, ગિરનાર અને ડાંગ જીલ્લાની આસપાસ આવેલા ઘણાં સ્થળો પોતાની વનરાજી અને વન્યસૃષ્ટિ માટે પ્રખ્યાત છે, તેવું જ એક સ્થળ છે ચાંપાનેર. ચાંપાનેર ભારત દેશનાં ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા હાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે ૪ થી ૫ કિલોમીટરના અંતરે માંચી ગામ આવેલ છે, જે ઐતિહાસિક ગામ છે.
ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી, જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો દ્વારા થઇ રહ્યું છે, અહી પ્રસિધ્ધ કિલ્લો આવેલો છે અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે. અહી ઐતિહાસિક કીલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે, જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે. અહીં પર્વતારોહકો પર્વતારોહણ દ્વારા પાવાગઢ તેમજ આસપાસનાં નાની ટેકરીઓ સર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે. ચોમાસામાં અને ચોમાસા પછીના દિવસોમાં ચાંપાનેરનો નજારો ખુબ જ જોવાલાયક હોય છે.અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ, જાંબુઘોડા અભ્યારણ્ય જેવા અનેક નાના મોટા સ્થળ છે.
ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ ૮મી સદીમાં કરી હતી. તેણે શહેરનું નામ તેના મિત્ર અને સેનાપતિ ચાંપા (જે પાછળથી ચાંપરાજ તરીકે ઓળખાયો) પરથી પાડ્યું હતું. ૧૫મી સદી સુધીમાં ચાંપાનેર શહેરની ઉપરના પાવાગઢ કિલ્લાનો કબ્જો ચૌહાણ રાજપૂતો પાસે હતો. ગુજરાતનાં સુલ્તાન સુલતાન મહમદ બેગડાએ ચાંપાનેર પર ૪ ડિસેમ્બર ૧૪૮૨માં આક્રમણ કર્યું અને ચાંપાનેરની સેનાને હરાવીને શહેર કબ્જે કર્યું અને પાવાગઢના કિલ્લા પર કબ્જો મેળવ્યો, જ્યાં રાજા જયસિંહે શરણ લીધું હતું. બેગડાએ લગભગ ૨૦ મહિનાની ઘેરબંધી પછી ૨૧ નવેમ્બર ૧૪૮૪માં કિલ્લાનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ તેણે ૨૩ વર્ષો સુધી ચાંપાનેરની ફરી વસાવવાનું કામ કરાવ્યું.