સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે.આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે.
અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે.
સાપુતારા સંગ્રહાલય : આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે.વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે.
ગિરા ધોધ : સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે એને ‘ગુજરાતનો નાયગ્રા’ કહેવાય છે.
VR Dhiren Jadav